ઈઝરાયેલનો મોટો સપાટો: હોર્મુઝ સામુદ્રધુની બ્લોક કરનાર ઈરાની નેવી કમાન્ડર તંગસિરીની હત્યા
ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સના જણાવ્યા અનુસાર, ઈરાનની ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) ના નેવી કમાન્ડર અલીરેઝા તંગસિરી એક ચોક્કસ ઓપરેશનમાં માર્યા ગયા છે. તંગસિરી એ જ વ્યક્તિ હતા જેમના નેતૃત્વમાં ઈરાને છેલ્લા 20 દિવસથી હોર્મુઝ સ્ટ્રેટને લગભગ બંધ કરી રાખ્યું હતું. ‘ટાઈમ્સ ઓફ ઈઝરાયેલ’ ના અહેવાલ મુજબ, ઈઝરાયેલે ગુપ્ત માહિતીના આધારે બંદર અબ્બાસ પર હુમલો કર્યો હતો, જેમાં તંગસિરીનું મોત નીપજ્યું છે. જોકે, ઈરાન તરફથી હજુ સુધી આ બાબતે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
શું હવે હોર્મુઝનો રસ્તો દુનિયા માટે ખુલશે?
અલીરેઝા તંગસિરીની હત્યા બાદ હવે સૌથી મોટો પ્રશ્ન એ ઉભો થયો છે કે શું હોર્મુઝની સામુદ્રધુની ફરીથી વ્યાપાર માટે ખુલી જશે? તંગસિરીને આ માર્ગ બંધ કરવાના મુખ્ય સુત્રધાર માનવામાં આવતા હતા. અગાઉ જાન્યુઆરી 2026 માં પણ ઈઝરાયેલે તેમને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે સમયે તેઓ બચી ગયા હતા. હવે તેમના મૃત્યુ બાદ ઈરાની નેવીના મનોબળ પર મોટી અસર પડી શકે છે અને આંતરરાષ્ટ્રીય દબાણ હેઠળ આ રસ્તો ખુલી શકે છે.
શા માટે મહત્વનો છે હોર્મુઝનો આ માર્ગ?
હોર્મુઝ સ્ટ્રેટ એ પર્શિયન ગલ્ફ (ફારસની ખાડી) અને ઓમાનની ખાડીને જોડતો એક સાંકડો પણ અત્યંત મહત્વનો સમુદ્રી રસ્તો છે. વૈશ્વિક તેલના વેપાર માટે આ માર્ગ કરોડરજ્જુ સમાન છે, કારણ કે દુનિયાના કુલ તેલ પુરવઠાનો 20 ટકાથી વધુ હિસ્સો આ જ રસ્તેથી પસાર થાય છે. છેલ્લા 20 દિવસથી આ રસ્તો બંધ હોવાને કારણે વિશ્વભરમાં ઇંધણના ભાવ અને પુરવઠા પર માઠી અસર પડી રહી હતી.
ઈઝરાયેલની વ્યૂહાત્મક જીત
ઈઝરાયેલ માટે આ એક મોટી સફળતા માનવામાં આવે છે. ઈરાન આ રસ્તાનો ઉપયોગ કરીને પશ્ચિમી દેશો અને ઈઝરાયેલ પર દબાણ બનાવી રહ્યું હતું. તંગસિરી જેવા ઉચ્ચ સ્તરીય કમાન્ડરને હટાવીને ઈઝરાયેલે સંદેશ આપ્યો છે કે તેઓ ઈરાનની અંદર ઘૂસીને પણ ઓપરેશન પાર પાડી શકે છે. હવે જોવાનું એ રહેશે કે ઈરાન આ નુકસાનનો બદલો લેવા માટે શું પગલાં ભરે છે અને શું ખરેખર સમુદ્રી માર્ગો પરથી તણાવ ઓછો થાય છે.

