જયા બચ્ચને VIP કલ્ચર વિરુદ્ધ ઉઠાવ્યો અવાજ, પૂછ્યું- ‘રાજનેતાઓના કાફલા માટે સામાન્ય જનતાને કેમ પરેશાન કરો છો?’
સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ જયા અમિતાભ બચ્ચને સોમવારે દેશમાં વધી રહેલા VIP કલ્ચર (અતિ વિશિષ્ટ વ્યક્તિ સંસ્કૃતિ) પર આકરી નારાજગી વ્યક્ત કરી છે. તેમણે સંસદમાં શૂન્યકાળ દરમિયાન આ મુદ્દો ઉઠાવતા કહ્યું કે, મોટા નેતાઓ અને અધિકારીઓની અવરજવરને કારણે ટ્રાફિક જામ થાય છે, જેનાથી સામાન્ય નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.
વિશ્વભરમાં ક્યાંય આવું VIP કલ્ચર નથી: જયા બચ્ચન
પોતાના સંબોધનમાં જયા બચ્ચને જણાવ્યું હતું કે, તેમણે વિશ્વના અનેક દેશોની મુસાફરી કરી છે, પરંતુ ભારતમાં જે રીતે VIP લોકોના કાફલા નીકળે છે અને રસ્તાઓ રોકી દેવામાં આવે છે, તેવું બીજે ક્યાંય જોવા મળતું નથી. તેમણે કહ્યું કે, “મેં આખી દુનિયા ફરી છે, પરંતુ આટલી મોટી સંખ્યામાં VIP અને તેમના કાફલા ક્યાંય જોયા નથી. અન્ય દેશોમાં નેતાઓની અવરજવર માટે સામાન્ય લોકોનો રસ્તો રોકવામાં આવતો નથી.”
સંસદમાં સભ્યોના અપમાનનો ઉલ્લેખ
જયા બચ્ચને તાજેતરની એક ઘટનાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, નવા સંસદ ભવનમાં શાર્દુલ દ્વારથી બહાર નીકળતા રાજ્યસભાના સભ્યોને પણ રોકી દેવામાં આવ્યા હતા, કારણ કે મુખ્ય દ્વાર પર કોઈ VIP મૂવમેન્ટ ચાલી રહી હતી. તેમણે આકરા શબ્દોમાં કહ્યું કે, “સંસદમાં મારા 22 વર્ષના કાર્યકાળમાં અમે ક્યારેય આવું અપમાન સહન કર્યું નથી. અમે કોઈપણ VIP, ખાસ કરીને રાજકીય વર્ગ માટે કોઈ ખતરો નથી, તો પછી અમને કેમ રોકવામાં આવે છે?”
એમ્બ્યુલન્સ પણ જામમાં ફસાય છે
સમાજવાદી પાર્ટીના સાંસદે એ વાત પર પણ ભાર મૂક્યો કે પ્રભાવશાળી રાજકીય વ્યક્તિઓના નિવાસસ્થાનની આસપાસના રસ્તાઓ અવારનવાર બંધ કરી દેવામાં આવે છે. આ VIP મૂવમેન્ટને કારણે માત્ર સામાન્ય નાગરિકો જ નહીં, પરંતુ ઈમરજન્સી સેવાઓ જેવી કે એમ્બ્યુલન્સ પણ ટ્રાફિકમાં ફસાઈ જાય છે, જે કોઈના જીવન માટે જોખમી બની શકે છે.
ઉપરાષ્ટ્રપતિને હસ્તક્ષેપ કરવા વિનંતી
જયા બચ્ચને સભાપતિ સી. પી. રાધાકૃષ્ણનને આગ્રહ કર્યો કે તેઓ આ ગંભીર મુદ્દે સરકાર સાથે વાત કરે. તેમણે કહ્યું કે, “સર, તમે આ દેશના ઉપરાષ્ટ્રપતિ છો, સરકાર સાથે વાત કરો. આ VIP સંસ્કૃતિનો અંત આવવો જોઈએ જેથી આ દેશના કરદાતાઓ (Taxpayers) ને સન્માન મળી શકે, જેમના કારણે આજે આપણે આ સદન સુધી પહોંચ્યા છીએ.”

