થરાદથી પાલનપુર સુધી મેવાણી વિરુદ્ધ રેલીઓ
ધરાસભ્ય જિગ્નેશ મેવાણીના પોલીસ પટ્ટા ઉતારવાના નિવેદન બાદ સમગ્ર ગુજરાતમાં પોલીસ પરિવારોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. પોલીસ પરિવારના સભ્યોનું કહેવું છે કે મેવાણીના શબ્દો સમાજમાં અશાંતિ ફેલાવનાર અને પોલીસની છબી ખરડનાર છે. થરાદ, પાટણ, પાલનપુર સહિત અનેક શહેરોમાં પોલીસ પરિવાર અને તેમના સમર્થકોએ રસ્તા પર ઉતરી મેવાણી વિરુદ્ધ રેલી કાઢી હતી. અનેક સ્થળોએ ધારાસભ્યના રાજીનામાની માંગ સાથે બેનરો પ્રદર્શિત કરાયા અને પોલીસ વિભાગે પણ મુદ્દાને ગંભીરતા પૂર્વક જોવાની જાહેરાત કરી છે.
થરાદ અને પાલનપુરમાં ઉગ્ર પ્રદર્શન, મેવાણી માફી માંગે એવો દબાવ
પાલનપુરમાં મોટી સંખ્યામાં પોલીસ પરિવારના લોકો SP કચેરી સામે એકત્ર થયા અને સુત્રોચાર કર્યા. રેલી દરમિયાન માંગ ઉઠી કે જિગ્નેશ મેવાણી થરાદ પોલીસ મથકે જઈ જાહેરમાં માફી માગે. પાટણમાં પણ વિશાળ રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. રેલીમાં પોલીસ પરિવાર યુનિફોર્મ, પટ્ટા-ટોપી પરના નિવેદન વિરુદ્ધ નારા લગાવતો જોવા મળ્યો. “જિગ્નેશ મેવાણી રાજીનામું આપે” જેવી માંગણી સાથે બેનરો સમગ્ર માર્ગ પર દેખાઈ રહ્યા હતા.
થરાદ પોલીસે જારી કરી પ્રેસનોટ, મેવાણી પર લોકોને ઉશ્કેરવાનો આરોપ
થરાદ પોલીસ મથકે જાહેર કરેલા પ્રેસનોટમાં જણાવાયું છે કે મેવાણી દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી સુનિયોજિત રીતે પોલીસ પર દબાણ બનાવવા માટે હતી. તાજેતરમાં જ 32 લાખના દારૂના કેસમાં એક પોલીસ કર્મચારીની અટકાયત થઈ હતી અને મેવાણી તેના પરિવારજનો સાથે પ્રોહિબિશન કેસને આધાર બનાવી સૂત્રોચાર કરવા પહોંચ્યા હતા. પ્રેસનોટમાં મેવાણી દ્વારા પોલીસ સામે ગેરવાજબી અને અપ્રમાણભૂત ભાષાનો ઉપયોગ કરાયો હોવાનું પણ ઉલ્લેખાયો છે. પોલીસ વિભાગે જણાવ્યું કે આવા વર્તનને પ્રોત્સાહન આપવામાં નહીં આવે અને કાનૂની પગલાં પર વિચારણા ચાલી રહી છે.
ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેવાણી વિરુદ્ધ વિરોધની લહેર
થરાદ અને આસપાસના ગામોમાં પણ પોલીસ પરિવાર તેમજ સ્થાનિક લોકોએ મેવાણીના વાણીવિલાસ વિરુદ્ધ પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. ગામમાં પોસ્ટર લગાવવામાં આવ્યા છે જેમાં ‘પટ્ટા-ટોપી ઉતારવાની વાત કરનારાઓ સાવધાન’ જેવા સંદેશા જોવા મળ્યા. વેપારીઓએ પોલીસ પરિવારોના સમર્થનમાં દુકાનો બંધ રાખી અને મેવાણી વિરુદ્ધ રોષ વ્યક્ત કર્યો. વડગામ વિસ્તારમાં પણ લોકો પોલીસને સમાજનો અગત્યનો ભાગ ગણાવી મેવાણીના વર્તનની નિંદા કરી રહ્યા છે.
હર્ષ સંઘવીનું નિવેદન અને રાજકીય ઘર્ષણ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જાહેર કાર્યક્રમમાં આ મુદ્દે પ્રતિસાદ આપતા જણાવ્યું કે આજના સમયમાં કેટલાક લોકો સોશિયલ મીડિયા માટે સરકારી કચેરીઓમાં હલ્લા-ગુલ્લા કરે છે. તેમણે કહ્યું કે આવા લોકો ભણેલા હોવા છતાં બેદરકારીપૂર્વક વર્તે છે. સંઘવીએ આ નિવેદનમાં મેવાણી પર આડકતરૂ નિશાન સાધ્યુ, જેના કારણે રાજકીય ચર્ચાઓ વધુ ઉગ્ર બની રહી છે.

