જસ્ટિસ યશવંત વર્મા સામેના ત્રણેય ગંભીર આરોપો સાબિત: સરકારી નિવાસસ્થાનેથી મળી આવી હતી કરોડોની રોકડ રકમ
દિલ્હી હાઈકોર્ટના જજ જસ્ટિસ યશવંત વર્મા સામે ચાલી રહેલી તપાસ સમિતિએ પોતાનો આખરી અહેવાલ સોંપી દીધો છે. આ તપાસ અહેવાલમાં જસ્ટિસ વર્મા સામે મૂકવામાં આવેલા તમામ ત્રણ ગંભીર આરોપોને સંપૂર્ણપણે સાબિત થયેલા ગણાવ્યા છે.
આ સમગ્ર વિવાદ માર્ચ ૨૦૨૫ માં ત્યારે પ્રકાશમાં આવ્યો હતો જ્યારે દિલ્હી સ્થિત તેમના સત્તાવાર સરકારી નિવાસસ્થાનના સ્ટોર રૂમમાં અચાનક આગ લાગી હતી. ઘટનાસ્થળે પહોંચેલા દિલ્હી પોલીસ અને ફાયર બ્રિગેડના અધિકારીઓને ત્યાંથી રૂ. ૫૦૦ ની ચલણી નોટોના અધજળેલા, બળેલા અને વિખરાયેલા મોટા જથ્થાના પુરાવા મળ્યા હતા.
સમિતિએ તેના રિપોર્ટમાં સ્પષ્ટપણે નોંધ્યું છે કે જસ્ટિસ વર્માના નિયંત્રણ હેઠળના સરકારી બંગલાના સ્ટોર રૂમમાં મોટી માત્રામાં રોકડ મળી આવી હતી, પરંતુ આ નોટોના વાસ્તવિક સ્રોત (મૂળ) કે માલિકી હક અંગે જસ્ટિસ વર્મા કોઈ તાર્કિક કે સંતોષકારક ખુલાસો આપી શક્યા નથી.
આગ લાગવાની ઘટના અને સ્થળ પરથી મળેલી રોકડ
અહેવાલ અનુસાર, ૧૪ અને ૧૫ માર્ચ ૨૦૨૫ ની મધ્યરાત્રિએ દિલ્હીના ૩૦ તુઘલક ક્રેસન્ટ સ્થિત જસ્ટિસ વર્માના સત્તાવાર સરકારી બંગલાના સ્ટોર રૂમમાં આગ લાગી હતી. આગ બુઝાવવા માટે જ્યારે દિલ્હી પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ અંદર પહોંચી ત્યારે ત્યાંનું દ્રશ્ય ચોંકાવનારૂં હતું. સ્ટોર રૂમમાં મોટી સંખ્યામાં રૂ. ૫૦૦ ની નવી નોટો સળગતી, અડધી સળગેલી, ભીની અને ચારેય તરફ વિખરાયેલી હાલતમાં મળી આવી હતી.

તપાસ સમિતિએ પોતાના રિપોર્ટમાં નોંધ્યું છે કે સ્થળ પર હાજર અનેક ઉચ્ચ અધિકારીઓના નિવેદનો, ફોટોગ્રાફ્સ અને વિડીયો રેકોર્ડિંગ્સ આ વાતની પૂરેપૂરી પુષ્ટિ કરે છે કે ત્યાં મોટી રકમમાં રોકડ હાજર હતી.
કેટલી રોકડ રકમ હતી તે સ્પષ્ટ થઈ શક્યું નહીં
તપાસ સમિતિએ રિપોર્ટમાં એક મહત્વની બાબતનો ઉલ્લેખ કર્યો છે કે ઘટનાના દિવસે સ્થળ પરથી નોટોને જપ્ત કરવામાં આવી નહોતી, ન તો તેમની સત્તાવાર ગણતરી કરવામાં આવી હતી કે ન તો કોઈ યાદી (પંચનામું) બનાવવામાં આવ્યું હતું. આ બેદરકારીને કારણે રિપોર્ટમાં રોકડની ચોક્કસ રકમનો આંકડો આપવો શક્ય બન્યો નથી.
જોકે, સમિતિએ સ્પષ્ટ કર્યું છે કે સત્તાવાર ગણતરી ન થવાનો અર્થ એવો બિલકુલ નથી કે ત્યાં ઓછી રકમ હતી. ઉપલબ્ધ તમામ પુરાવા અને પ્રત્યક્ષદર્શીઓના નિવેદનોથી એ સાબિત થાય છે કે સ્ટોર રૂમમાં મોટા પ્રમાણમાં ૫૦૦ રૂપિયાની નોટોનો જથ્થો છુપાવવામાં આવ્યો હતો.
પહેલો આરોપ: રોકડ રકમનો કોઈ સંતોષકારક જવાબ નહીં
જસ્ટિસ વર્મા સામેનો પ્રથમ આરોપ એ હતો કે તેમના સીધા નિયંત્રણ હેઠળના સરકારી પરિસરમાંથી મોટી માત્રામાં બિનહિસાબી રોકડ મળી આવી, જેનો કોઈ કાયદેસર સ્રોત કે માલિકી હક દર્શાવવામાં આવ્યો નથી.
તપાસ સમિતિએ આ આરોપને પૂરેપૂરો સાબિત થયેલો ગણાવ્યો છે. સમિતિના જણાવ્યા મુજબ, જસ્ટિસ વર્મા આટલી મોટી રકમ ક્યાંથી આવી અને તેનો માલિક કોણ હતો તે અંગે કોઈ વાજબી કે ગળે ઊતરે તેવો ખુલાસો આપવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા છે.
બીજો આરોપ: ઘટનાસ્થળ અને મહત્વના પુરાવા સુરક્ષિત ન રખાયા
બીજો આરોપ આગ બુઝાઈ ગયા પછી ઘટનાસ્થળ અને ત્યાં હાજર મહત્વના પુરાવાઓને સુરક્ષિત ન રાખવા સંબંધિત હતો. સમિતિએ આ આરોપને પણ સાબિત માનેલ છે. રિપોર્ટ અનુસાર, તપાસ એજન્સીઓ સ્થળની વિધિવત તપાસ કરે અથવા તે જગ્યાને સીલ કરે તે પહેલાં સ્ટોર રૂમની સ્થિતિમાં ફેરફાર કરી દેવામાં આવ્યો હતો અને બાદમાં ત્યાંથી નોટો પણ ગાયબ થઈ ગઈ હતી.
સમિતિએ નોંધ્યું છે કે આ આરોપ સાબિત કરવા માટે જસ્ટિસ વર્મા પોતે રૂબરૂ જઈને નોટો હટાવે તે જરૂરી નથી. તેમના નિયંત્રણ હેઠળના પરિસરમાંથી સીધા પુરાવા નષ્ટ થવા દીધા અથવા તેને સુરક્ષિત ન રાખ્યા તે તેમની જવાબદારી બને છે, જેનાથી એક અત્યંત મહત્વનો પુરાવો નાશ પામ્યો.

ત્રીજો આરોપ: અસ્પષ્ટ, અધૂરા અને ગેરમાર્ગે દોરનારા જવાબો
ત્રીજો આરોપ જસ્ટિસ વર્મા દ્વારા વખતોવખત આપવામાં આવેલા પરસ્પર વિરોધી અને અસ્પષ્ટ સ્પષ્ટતાઓને લગતો હતો. સમિતિના મતે, બંધારણીય પદ પર બેઠેલી વ્યક્તિ પાસેથી જે પારદર્શિતા અને જવાબદારીની અપેક્ષા રાખવામાં આવે છે, તે તેમના જવાબોમાં જોવા મળી નહોતી.
જસ્ટિસ વર્માએ ૨૨ માર્ચ ૨૦૨૫ ના રોજ આપેલા પ્રાથમિક જવાબમાં રોકડ વિશે કોઈ જાણકારી હોવાનો જ ઈનકાર કરી દીધો હતો. પરંતુ ત્યારબાદ તેમણે વલણ બદલીને સ્થળની જપ્તી, રોકડની ગણતરી અને બાદમાં થયેલી સફાઈ જેવા મુદ્દાઓ ઉઠાવ્યા હતા. તેમણે સ્ટાફની ભૂમિકા, નોટો ત્યાં મુકાવવા કે હટાવવા પાછળ કોઈ ષડયંત્ર હોવાની શંકાઓ પણ વ્યક્ત કરી હતી, પરંતુ આ દાવાઓને સમર્થન આપે તેવા કોઈ ચોક્કસ પુરાવા કે સાક્ષીઓ રજૂ કર્યા નહોતા. સમિતિએ તેમના આ જવાબોને ટાળમટોળ વાળા, અધૂરા અને તપાસને ગેરમાર્ગે દોરનારા ગણાવી ત્રીજો આરોપ પણ સાબિત માન્યો છે.