ગ્વાલિયર બનશે એજ્યુકેશન હબ: મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવે ‘ઋષિ ગાલવ વિશ્વવિદ્યાલય’નું ભૂમિપૂજન કર્યું
મધ્યપ્રદેશની વીરતા અને કલાની નગરી ગ્વાલિયર હવે શિક્ષણના ક્ષેત્રમાં એક નવી ઉંચાઈ સર કરવા જઈ રહી છે. મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવે ગ્વાલિયરમાં ઋષિ ગાલવના નામ પરથી સ્થાપિત થનારી આ યુનિવર્સિટીનો શિલાન્યાસ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, કોઈ પણ વિશ્વવિદ્યાલય માત્ર ડિગ્રી વહેંચવાનું કેન્દ્ર નથી, પરંતુ તે રાષ્ટ્રના ભવિષ્યનું ઘડતર કરતું પવિત્ર સ્થળ છે. ગ્વાલિયર તેની વિદ્વતા માટે પ્રાચીન કાળથી જાણીતું છે અને આ સંસ્થાન તે પરંપરાને આગળ ધપાવશે.
85 વર્ષની શિક્ષણયાત્રાનું પરિણામ
મુખ્યમંત્રીએ આ પ્રસંગે ‘મધ્ય ભારત શિક્ષણ સમિતિ’ના સ્થાપક શ્રદ્ધેય સદાશિવ ગણેશ ગોખલેના ત્યાગને યાદ કર્યો હતો. તેમણે કહ્યું કે, વર્ષ 1941માં જ્યારે દેશ ગુલામીની સાંકળોમાં જકડાયેલો હતો, ત્યારે માત્ર એક સ્કૂલથી શરૂ થયેલો આ પ્રવાસ આજે પાંચ શાળાઓ, ચાર કોલેજો અને એક સ્પોર્ટ્સ એકેડમી સુધી પહોંચ્યો છે. હવે આ સમિતિ વિશ્વવિદ્યાલયના રૂપમાં વટવૃક્ષ બની રહી છે, જ્યાં 5 હજારથી વધુ વિદ્યાર્થીઓ ભારતીય જ્ઞાન પરંપરાની સાથે આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજીનું શિક્ષણ મેળવશે.
નવી શિક્ષણ નીતિ: ચરિત્ર અને કૌશલ્ય પર ભાર
ડૉ. મોહન યાદવે ભારપૂર્વક જણાવ્યું કે, નવી શિક્ષણ નીતિ (NEP) માત્ર પુસ્તકિયા જ્ઞાન પૂરતી મર્યાદિત નથી. તે વિદ્યાર્થીઓમાં યોગ્યતા, કાર્યક્ષમતા અને ચરિત્ર નિર્માણ પર વિશેષ ધ્યાન આપે છે. તેમણે ભગવાન શ્રીકૃષ્ણ અને સુદામાની મિત્રતાનું ઉદાહરણ આપતા કહ્યું કે, શિક્ષણ એવું હોવું જોઈએ જે ગરીબ અને અમીર વચ્ચેના અંતરને દૂર કરે. ઉજ્જૈનની સાંદીપનિ આશ્રમની પરંપરાને અનુસરીને રાજ્ય સરકાર વિદ્યાર્થીઓને એવા નાગરિક બનાવવા માંગે છે જેઓ સમાજ પ્રત્યે ઉત્તરદાયી હોય.
શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિકારી નવાચારો: કુંલગુરુ અને ભારતીય વેશભૂષા
મુખ્યમંત્રીએ તેમના કાર્યકાળ દરમિયાન શિક્ષણ ક્ષેત્રે લાવેલા મહત્વના પરિવર્તનોનો ઉલ્લેખ કર્યો હતો:
કુલગુરુ સંબોધન: યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર (VC) ને હવે ‘કુલપતિ’ ને બદલે આદરણીય ‘કુલગુરુ’ તરીકે સંબોધવામાં આવે છે.
દીક્ષાંત સમારોહમાં પરિવર્તન: ગુલામીની માનસિકતાના પ્રતીક સમાન ‘કાળા કોટ’ ને તિલાંજલિ આપીને હવે ભારતીય પરંપરા મુજબ સાફા અને ભારતીય વેશભૂષામાં દીક્ષાંત સમારોહ યોજવાની પરંપરા શરૂ કરવામાં આવી છે.
ગુરુ પૂર્ણિમાની ઉજવણી: સમગ્ર રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓમાં ગુરુ પૂર્ણિમાનું આયોજન કરીને ગુરુ-શિષ્ય પરંપરાને પુનર્જીવિત કરવામાં આવી છે.
ક્રાંતિવીરોના નામ પર વિશ્વવિદ્યાલયોની સ્થાપના
રાજ્ય સરકાર ઈચ્છે છે કે શિક્ષણની સાથે નવી પેઢી આપણા વાસ્તવિક નાયકોને ઓળખે. આ હેતુથી:
ગુનામાં તાત્યા ટોપે વિશ્વવિદ્યાલય ની સ્થાપના કરવામાં આવી.
ખરગોનમાં ક્રાંતિસૂર્ય ટંટ્યા ભીલ વિશ્વવિદ્યાલય શરૂ કરાયું.
સાગરમાં રાણી અવંતીબાઈ લોધી વિશ્વવિદ્યાલય ની શરૂઆત કરવામાં આવી.
આ ઉપરાંત, રાજ્યના તમામ 55 જિલ્લાઓમાં ‘PM કોલેજ ઓફ એક્સેલન્સ’ ની સ્થાપના કરવામાં આવી છે, જે અત્યાધુનિક સુવિધાઓ અને બહુ-શાખાકીય શિક્ષણથી સજ્જ છે.

