માર્ક કાર્નીની ભારત મુલાકાત: ટ્રુડો અને હાર્પરની પરંપરાનો અંત
કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની ગુરુવારથી ભારતની ચાર દિવસીય મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાતની સૌથી નોંધપાત્ર બાબત એ છે કે કાર્ની તેમના પુરોગામી જસ્ટિન ટ્રુડો અને સ્ટીફન હાર્પરની જેમ પંજાબની મુલાકાત લેવાના નથી. ભૂતકાળમાં કેનેડાના નેતાઓ જ્યારે પણ ભારત આવતા ત્યારે શીખ સમુદાય અને ખાસ કરીને કેનેડામાં રહેલા શીખ વોટબેંકને ખુશ કરવા અમૃતસરના સુવર્ણ મંદિરની મુલાકાત અવશ્ય લેતા હતા. જોકે, માર્ક કાર્નીએ આ વખતે મુંબઈ અને નવી દિલ્હી પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
વોટબેંકને બદલે આર્થિક હિતોને પ્રાધાન્ય
કાર્નીના આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ કેનેડાની જૂની ‘તુષ્ટિકરણની નીતિ’ થી દૂર જવાનું માનવામાં આવે છે. કેનેડાના વડાપ્રધાન કાર્યાલય (PMO) ના જણાવ્યા અનુસાર, આ પ્રવાસનો મુખ્ય હેતુ વેપાર, રોકાણ, ઉર્જા, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને સંરક્ષણ ક્ષેત્રે ભાગીદારી મજબૂત કરવાનો છે. જ્યારે પંજાબ ન જવા અંગે પૂછવામાં આવ્યું ત્યારે પ્રેસ સેક્રેટરીએ સ્પષ્ટ કર્યું હતું કે વડાપ્રધાન આર્થિક સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવા માંગે છે. આ પગલું દર્શાવે છે કે કાર્ની ભારત સાથેના બગડેલા સંબંધોને સુધારવા માટે ગંભીર છે.
ટ્રુડોના સમયની કડવાશ અને ખાલિસ્તાન વિવાદ
જસ્ટિન ટ્રુડોના કાર્યકાળ દરમિયાન ભારત-કેનેડાના સંબંધો ઈતિહાસના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થયા હતા. ટ્રુડોએ કેનેડાની સંસદમાં હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતનો હાથ હોવાનો પાયાવિહોણો આક્ષેપ કર્યો હતો, જેને ભારતે સખત શબ્દોમાં નકારી કાઢ્યો હતો. આ વિવાદ એટલો વધ્યો હતો કે બંને દેશોએ એકબીજાના રાજદ્વારીઓને હાંકી કાઢ્યા હતા. ભારતીય અધિકારીઓનું માનવું છે કે ટ્રુડોએ પોતાની સત્તા ટકાવી રાખવા માટે કેનેડામાં રહેલા કટ્ટરપંથી તત્વોને પ્રોત્સાહન આપ્યું હતું, જેની કિંમત બંને દેશોના દ્વિપક્ષીય સંબંધોએ ચૂકવવી પડી હતી.
કેનેડાની રાજનીતિમાં શીખ સમુદાયનું વર્ચસ્વ
કેનેડાની કુલ વસ્તીના આશરે 2 ટકા એટલે કે 7.71 લાખથી વધુ શીખ સમુદાયના લોકો છે. ઓન્ટારિયો અને બ્રિટિશ કોલંબિયા જેવા પ્રાંતોમાં તેમની મોટી સંખ્યા હોવાને કારણે તેઓ કેનેડાની ચૂંટણીઓમાં ‘કિંગમેકર’ની ભૂમિકા ભજવે છે. 2015માં ટ્રુડોની લિબરલ પાર્ટીની જીતમાં શીખ સાંસદોનો મોટો ફાળો હતો. આ વોટબેંકને જાળવી રાખવા માટે અગાઉની સરકારો ખાલિસ્તાની સમર્થકો પ્રત્યે નરમ વલણ અપનાવતી હતી, જેના કારણે ભારત સાથેના સંબંધોમાં સતત તણાવ રહેતો હતો.
નવી શરૂઆતની આશા
માર્ક કાર્નીની આ મુલાકાત ભારત માટે એક સકારાત્મક સંકેત છે. પંજાબ પ્રવાસ ટાળીને તેમણે સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ કેનેડાની આંતરિક રાજનીતિને ભારત સાથેના વિદેશી સંબંધોમાં આડે આવવા દેવા માંગતા નથી. મુંબઈથી શરૂ થનારી આ યાત્રામાં મોટા બિઝનેસ કરારો થવાની સંભાવના છે, જે બંને દેશો વચ્ચે ફરીથી વિશ્વાસનું વાતાવણ ઊભું કરી શકે છે.

