આજે સમગ્ર વિશ્વ જ્યારે પર્યાવરણને થઈ રહેલા નુકસાનના પગલે ગ્લોબલ વોર્મિંગ, એસિડ વર્ષા, ઋતુચક્રમાં ભયંકર અનિયમિતતા તથા જીવસૃષ્ટિનો નાશ જેવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે ત્યારે પર્યાવરણને બચાવવું ખૂબ જ અગત્યનું થઈ ગયું છે. આ સંજોગોને ધ્યાનમાં રાખીને તાજેતરમાં તા. 13/08/2020 ના રોજ પ્રકૃતિની જાળવણીને પ્રાધાન્ય અને પર્યાવરણની જાળવણી વિષે સંદેશો આપવા મહેસાણા જિલ્લાના લીંચ ગ્રામ પંચાયતના સરપંચ બળદેવભાઇ રામજીભાઇ પરમાર દ્વારા એક સુંદર કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. અર્થશાસ્ત્ર વિષય સાથે ગ્રેજ્યુએશન તથા ડિપ્લોમા ઇન લેબર સ્ટડીઝ સુધીની શૈક્ષણિક લાયકાત ધરાવતા અને સતત છ ટર્મથી લીંચ ગ્રામ પંચાયતના સભ્ય તરીકે ચૂંટાઇને ગામ વિકાસના કાર્યોમાં પોતાની સેવાઓ આપી રહેલા બળદેવભાઇએ 59માં જન્મદિવસે પ્રકૃત્તિનો આભાર માનવા પોતાના ગામમાં 2000 વૃક્ષની વાવણી કરીને પોતાના જન્મદિવસની ઉજવણી કરીને પર્યાવરણના જતનનું ઉત્કૃષ્ઠ ઉદાહરણ પૂરું પાડેલ છે.
આ અંગે લીંચ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી બળદેવભાઈ રામજીભાઈ પરમાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, જે તે રીતે ઔધોગિક વિકાસ થઈ રહ્યો છે અને પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે તે જોતા પર્યાવરણની જાળવણી એ આપણા સૌનું કર્તવ્ય છે. જે પ્રકૃત્તિ રોજેરોજ જીવવા માટે નવા શ્વાસ પુરા પાડે છે એની જાળવણી માટે વૃક્ષોની વાવણી કરવાથી મોટી જન્મદિવસની ઉજવણી કોઈ હોઇ જ ન શકે. જેથી સમગ્ર લીંચ ગામના વિવિધ વિસ્તારોમાં અલગ અલગ સંખ્યામાં કુલ બે હજાર વૃક્ષોની વાવણી કરવામાં આવી છે. આ પ્રસંગે ચેરમેન, મહિલા અને બાળકલ્યાણ સમિતિ તાલુકા ડેલિગેટ અશોકજી ઠાકોર તથા ગ્રામ પંચાયતના સદસ્યો અને ગ્રામજનો હજાર રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, જો આ જ રીતે દરેક લોકો પર્યાવરણનું જતન કરવાની નેમ લઈ લે તો વસુંધરા નંદનવન બની જાય અને માનવજાત જે પર્યાવરણને નુકસાન થવાની ઘાતક અસરોમાથી પસાર થઈ રહ્યું છે તેને નિવારી શકાય.