ઈરાનના નવા સર્વોચ્ચ નેતા: શા માટે મોજતબા ખામેનીની પસંદગી થઈ? IRGC ના દબાણની શું છે ભૂમિકા?
ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેનીના અવસાન બાદ દેશમાં નેતૃત્વને લઈને સર્જાયેલી અનિશ્ચિતતા હવે અંતિમ તબક્કામાં હોય તેમ જણાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઈરાનની ‘એક્સપર્ટ્સ એસેમ્બલી’ એ અલી ખામેનીના પુત્ર મોજતબા હુસૈની ખામેનીને દેશના આગામી સુપ્રીમ લીડર તરીકે પસંદ કર્યા છે. એવું માનવામાં આવે છે કે આ મહત્વપૂર્ણ નિર્ણય પાછળ ઈરાનની સૌથી શક્તિશાળી સૈન્ય સંસ્થા IRGC (ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ) નું ભારે દબાણ હતું.
36 વર્ષના શાસનનો અંત
આયાતુલ્લા અલી ખામેનીએ 1989 થી સતત 36 વર્ષ સુધી ઈરાનની કમાન સંભાળી હતી. 86 વર્ષની વયે તેમનું નિધન અમેરિકા અને ઈઝરાયેલના સંયુક્ત હુમલા દરમિયાન થયું હતું. આ સમાચારની પુષ્ટિ સૌપ્રથમ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર કરી હતી અને ત્યારબાદ ઈરાની શાસને સત્તાવાર નિવેદન જાહેર કર્યું હતું. તેમના અવસાન બાદ ઈરાનમાં સત્તાના વારસાને લઈને મોટો પ્રશ્નાર્થ ઉભો થયો હતો.
કોણ નક્કી કરે છે નવો સુપ્રીમ લીડર?
ઈરાનના બંધારણ મુજબ, નવા સર્વોચ્ચ નેતાની પસંદગી કરવાની જવાબદારી ‘એક્સપર્ટ્સ એસેમ્બલી’ (Assembly of Experts) ની હોય છે. આ એક અત્યંત શક્તિશાળી ધાર્મિક સંસ્થા છે, જે સર્વોચ્ચ નેતાની દેખરેખ રાખે છે અને તેમની નિમણૂક કરે છે. જોકે, આ વખતે આ પ્રક્રિયામાં IRGC ની ભૂમિકા નિર્ણાયક રહી છે. IRGC માત્ર સૈન્ય જ નહીં પરંતુ ઈરાનની રાજનીતિ અને અર્થતંત્રમાં પણ ઉંડા મૂળ ધરાવે છે. પ્રાદેશિક તણાવ અને સુરક્ષાના કારણોસર આ સંસ્થાએ મોજતબાના નામ પર મહોર મારવા દબાણ કર્યું હોવાનું મનાય છે.
મોજતબા ખામેની જ કેમ?
મોજતબા ખામેની લાંબા સમયથી પડદા પાછળ રહીને ઈરાનની સત્તામાં પ્રભાવશાળી રહ્યા છે. સુરક્ષા એજન્સીઓ અને કટ્ટરપંથી જૂથો સાથેના તેમના નજીકના સંબંધો તેમને અન્ય દાવેદારો કરતા આગળ રાખે છે. વર્તમાન યુદ્ધ જેવી સ્થિતિમાં IRGC એવા નેતા ઈચ્છતું હતું જે સૈન્યના હિતોને સમજે અને દેશમાં સ્થિરતા જાળવી શકે. મોજતબાને તેમના પિતાના સાચા વારસદાર તરીકે જોવામાં આવે છે.
અંતિમ સંસ્કારની તૈયારીઓ
મીડિયા અહેવાલો મુજબ, અલી ખામેનીના પાર્થિવ દેહને તેમના વતન શહેર મશહદમાં દફનાવવામાં આવશે. તેમના પિતાની કબર પણ મશહદના પવિત્ર ઈમામ રઝા તીર્થસ્થળમાં આવેલી છે. જોકે, સુરક્ષાના કારણોસર અંતિમ સંસ્કારની ચોક્કસ તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી.

