જીવામૃત અને પરંપરાગત ઉપાયો વડે સતત ઉત્પાદન: ખેડૂતને રોજની આવક
હાલના સમયમાં અનેક ખેડૂતો રાસાયણિક ખેતીના વધતા ખર્ચ, ઘટતા ઉપજ અને નફામાં ઘટાડાના કારણે પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધી રહ્યા છે. પ્રાકૃતિક ખેતી ન માત્ર ઓછા ખર્ચે શક્ય છે, પરંતુ યોગ્ય આયોજન સાથે કરવામાં આવે તો તેનું ઉત્પાદન પણ બમણું મળી શકે છે. ઘણા વિસ્તારોમાં ખેડૂતો વર્ષ દરમ્યાન વિવિધ શાકભાજી અને અનાજના પાકોથી લાખો રૂપિયાનું ઉત્પાદન મેળવી રહ્યા છે. બદલાતા સમય સાથે ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતી એક વિશ્વસનીય વિકલ્પ બની રહી છે.
મોરચુપણા ગામના સોમભાઈનો પ્રાકૃતિક ખેતીનો સફળ પ્રયાસ
ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના મોરચુપણા ગામના ખેડૂત સોમભાઈ મોભે વર્ષ 2020થી સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી શરૂ કરી છે. પહેલાં તેઓ રાસાયણિક પદ્ધતિઓનો ઉપયોગ કરતા હતા, પરંતુ મિત્રની સલાહ બાદ તેમણે પ્રાકૃતિક ખેતી અપનાવવાનો નિર્ણય કર્યો. હાલમાં 2.5 વીઘા જમીનમાં તેમણે મોડેલ ફાર્મ તૈયાર કર્યું છે, જેમાં 14 થી વધુ શાકભાજીના પાકોનું વાવેતર કરીને સતત ઉત્પાદન મેળવવામાં આવે છે. આ મોડેલ હવે અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યું છે.
સોમભાઈ દ્વારા સ્વીકૃત વિવિધ શાકભાજી મોડેલ
સોમભાઈએ જણાવ્યું કે તેઓ બાળપણથી ખેતી સાથે જોડાયેલા રહ્યા છે, પરંતુ પ્રાકૃતિક ખેતી શરૂ કર્યા બાદ તેમના અનુભવ અને પરિણામ બંનેમાં મોટો ફેરફાર આવ્યો છે. તેઓએ અઢી વીઘા વિસ્તારમાં ટામેટા, રીંગણા, મરચા, કોબીજ, દુધી, ફ્લાવર, કાકડી અને તુરિયા જેવી શાકભાજીનું એક સાથે વાવેતર કર્યું છે. આ તમામ પાકો મિત્ર પદ્ધતિ મુજબ ગોઠવવામાં આવ્યા છે, જેથી એક પાક પૂર્ણ થાય તેની સાથે બીજો પાક તૈયાર થઈ જાય અને ઉત્પાદનની સતત શ્રેણી ચાલુ રહે.
જીવામૃત અને પ્રાકૃતિક ઉપાયો વડે વધતું ઉત્પાદન
પ્રાકૃતિક ખેતીમાં સોમભાઈ મુખ્યત્વે જીવામૃત, ઘનજીવામૃત, બીજામૃત અને 10 પર્ણી અર્ક જેવા દૈહિક ઉપચારનો ઉપયોગ કરે છે. હાલ કાકડી અને દુધી જેવા પાકોનું ઉત્પાદન શરૂ થઈ ગયું છે અને તેની સપ્લાય સુરત, અમદાવાદ, ભાવનગર સહિતના શહેરોમાં કરવામાં આવે છે. આ આયોજનબદ્ધ ખેતી પદ્ધતિને કારણે તેઓને દરરોજ આવક મળતી રહે છે. શાકભાજીના જુદા જુદા પાકો એક પછી એક તૈયાર થતા રહે છે, જેના કારણે ઉત્પાદન ક્યારેય અટકતું નથી.
પ્રાકૃતિક ખેતી ખેડૂતો માટે આર્થિક રીતે ફાયદાકારક
સોમભાઈનું કહેવુ છે કે આ મોડેલ પ્રથમ વખત બનાવ્યુ છે અને તેનું ઉત્પાદન આશાથી વધારે મળશે તેવી અપેક્ષા છે. પ્રાકૃતિક ખેતી ચાર મુખ્ય નિયમો સાથે કરવામાં આવે તો ખેડૂતોને ઓછા ખર્ચે ઉત્તમ અને શુદ્ધ ઉત્પાદન મળે છે. તેઓ અન્ય ખેડૂતોને પણ પ્રોત્સાહિત કરતાં કહે છે કે પ્રાકૃતિક ખેતી આજના સમયમાં માત્ર વિકલ્પ નથી, પરંતુ ખેડૂતના ભવિષ્યને મજબૂત બનાવતી જરૂરિયાત છે.

