રાસાયણિક ખેતીને બદલે પ્રાકૃતિક પદ્ધતિથી મસાલા પાક ઉગાડવાથી ખેડૂતોને ખર્ચ ઓછો અને નફો વધારે
ઉનાળો શરૂ થતા જ ગુજરાતી ઘરોમાં આખા વર્ષ માટેના મસાલા ભરવાની તૈયારીઓ શરૂ થઈ જાય છે. અત્યારે ગૃહિણીઓ શુદ્ધતાનો આગ્રહ રાખતી થઈ છે, ત્યારે પ્રાકૃતિક કૃષિ દ્વારા પકવેલા મસાલાની માંગ અને કિંમત બજારમાં ખૂબ ઊંચી જોવા મળે છે. ભારતીય રસોડામાં મસાલા માત્ર સ્વાદ માટે જ નહીં, પણ આયુર્વેદિક ઔષધિ તરીકે પણ મહત્વના છે. જ્યારે ખેડૂત ઝેરમુક્ત ખેતી કરે છે, ત્યારે તે માત્ર પાક નથી પકવતો પરંતુ સમાજને ઉત્તમ સ્વાસ્થ્ય પીરસે છે. પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો માટે આ એક સુવર્ણ તક સાબિત થઈ રહી છે.
રાસાયણિક અને પ્રાકૃતિક મસાલા વચ્ચેનો મુખ્ય તફાવત
ગ્રાહકો હવે જાગૃત થયા છે અને રાસાયણિક ખેતીના ગેરફાયદા સમજી રહ્યા છે. રાસાયણિક ખાતરોથી પકવેલા મસાલામાં કુદરતી તેલીય તત્વો અને અસલી તીખાશનો અભાવ હોય છે, તેમજ તેમાં જાળી કે જીવાત વહેલી પડી જાય છે. સૌથી ગંભીર બાબત એ છે કે પેસ્ટીસાઈડના અવશેષો કેન્સર અને પેટની બીમારીઓ નોંતરે છે. તેની સામે પ્રાકૃતિક મસાલા એન્ટી-ઓક્સિડન્ટથી ભરપૂર, સુરક્ષિત અને કુદરતી રંગ-સુગંધ ધરાવે છે. રાસાયણિક મસાલાનો રંગ જાળવવા ઘણીવાર કેમિકલનો સહારો લેવો પડે છે, જ્યારે પ્રાકૃતિક મસાલાનો કુદરતી રંગ લાંબો સમય જળવાઈ રહે છે.
પ્રાકૃતિક પદ્ધતિથી મસાલા પકવવા માટે ખેડૂતોને માર્ગદર્શન
મરચાં, ધાણા, જીરું કે વરિયાળી જેવા મસાલા પાક પકવવા માટે પાયાના સિદ્ધાંતો અપનાવવા જરૂરી છે. વાવેતર પહેલા બીજને ‘બીજામૃત’નો પટ આપવાથી ફૂગજન્ય રોગો સામે રક્ષણ મળે છે. જમીનના પોષણ માટે રાસાયણિક ખાતરને બદલે દર ૧૫ દિવસે પિયત સાથે ‘જીવામૃત’ આપવું જોઈએ, જે અળસિયા અને સૂક્ષ્મ જીવોની સંખ્યા વધારે છે. જીરું અને ધાણા જેવા નાજુક પાકોમાં ભેજ જાળવવા ‘આચ્છાદન’ (મલ્ચિંગ) કરવું હિતાવહ છે. જીવાત નિયંત્રણ માટે દશપર્ણી અર્ક કે ખાટી છાશનો છંટકાવ કોકડવા અને ચરમી જેવા રોગો સામે અકસીર ઈલાજ છે.
આર્થિક ફાયદા અને મૂલ્યવર્ધન દ્વારા સમૃદ્ધિ
પ્રાકૃતિક ખેતીથી ખેડૂતોનો ઉત્પાદન ખર્ચ શૂન્ય થઈ જાય છે, કારણ કે ખાતર કે દવા બહારથી લાવવા પડતા નથી. ‘ફાર્મ ટુ હોમ’ મોડેલ અથવા સોશિયલ મીડિયાના ઉપયોગથી ગ્રાહકો સીધા ખેતરે આવીને ઊંચા ભાવે ખરીદી કરે છે, જેથી યાર્ડમાં જવાની જરૂર રહેતી નથી. આખા મસાલા વેચવાને બદલે તેનું ગ્રેડિંગ કરી, દળીને આકર્ષક પેકિંગમાં વેચવાથી ૨ થી ૩ ગણી વધુ કિંમત મળી શકે છે. આમ, પ્રાકૃતિક ખેતી એ પર્યાવરણની રક્ષાની સાથે ખેડૂતને દેવામાંથી મુક્ત કરવાનો શ્રેષ્ઠ માર્ગ છે.

