ડેપ્યુટી સીએમ પદ માટે કવાયત શરૂ! સીએમ ફડણવીસને મળવા બંગલે પહોંચ્યા NCPના 3 દિગ્ગજ નેતાઓ
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના અવસાન બાદ રાજ્યના રાજકારણમાં ભારે ઉથલપાથલ મચી છે. નવા ડેપ્યુટી સીએમ કોણ બનશે અને NCP (અજિત પવાર જૂથ)ની કમાન કોના હાથમાં આવશે, તેને લઈને અનેક અટકળો ચાલી રહી છે. આ દરમિયાન શુક્રવારે NCPના દિગ્ગજ નેતાઓએ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે તેમના નિવાસસ્થાને મહત્વની બેઠક કરી હતી.
વર્ષા બંગલે પહોંચ્યા NCPના માંધાતાઓ
મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને મળવા માટે NCP અજિત પવાર જૂથના વરિષ્ઠ નેતાઓ પ્રફુલ્લ પટેલ, સુનીલ તટકરે અને છગન ભુજબળ સીએમના સત્તાવાર નિવાસસ્થાન ‘વર્ષા’ બંગલે પહોંચ્યા હતા.
સૂત્રોના જણાવ્યા મુજબ, આ નેતાઓએ મુખ્યમંત્રીને એક પત્ર સોંપ્યો છે, જેમાં સુનેત્રા પવારને નાયબ મુખ્યમંત્રી બનાવવાની અને અજિત પવાર પાસે જે વિભાગો હતા તે NCP પાસે જ રાખવાની માંગ કરવામાં આવી છે. અજિત પવારના વારસા અને પક્ષની મજબૂતી માટે આ પગલું મહત્વનું માનવામાં આવે છે.
અજિત પવારની અંતિમ ઈચ્છા: વિલયનું સપનું
બારામતીમાં પ્લેન ક્રેશમાં અજિત પવારના નિધન બાદ શુક્રવારે તેમની અસ્થિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પરિવારના નજીકના સાથી કિરણ ગુજરે ‘દાદા’ની અંતિમ ઈચ્છા વિશે ખુલાસો કર્યો હતો. તેમણે જણાવ્યું કે, અજિત પવારની છેલ્લી ઈચ્છા હતી કે NCPના બંને જૂથો એક થઈ જાય (વિલય થાય) અને આખો પરિવાર ફરી એકસાથે આવે. આ બાબતે અત્યારે પવાર પરિવારમાં ગંભીર ચર્ચાઓ ચાલી રહી છે.
મહારાષ્ટ્ર વિધાનસભાનું સમીકરણ
ગત વિધાનસભા ચૂંટણીમાં NCP (અજિત પવાર જૂથ) એ ભાજપના ગઠબંધન એટલે કે ‘મહાયુતિ’ સાથે મળીને ચૂંટણી લડી હતી અને શાનદાર દેખાવ કર્યો હતો. ૨૮૮ બેઠકોના પરિણામો કંઈક આ મુજબ હતા:
- ભાજપ: ૧૩૨ બેઠકો
- શિવસેના (શિંદે): ૫૭ બેઠકો
- NCP (અજિત પવાર): ૪૧ બેઠકો
નવી સરકારમાં ગઠબંધન ધર્મ મુજબ અજિત પવાર અને એકનાથ શિંદેને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા હતા. હવે અજિત પવારની ખાલી પડેલી જગ્યા પર કોની પસંદગી થાય છે, તેના પર સૌની નજર ટકેલી છે.
મહારાષ્ટ્રનું રાજકારણ અત્યારે ભાવનાત્મક અને વ્યૂહાત્મક વળાંક પર છે. સુનેત્રા પવારનું નામ ડેપ્યુટી સીએમ તરીકે મોખરે છે, પરંતુ શરદ પવાર સાથેના વિલયની શક્યતાઓ પણ નકારી શકાતી નથી.

