રમઝાનના નામે પાકિસ્તાની આતંકી સંગઠનનું નવું કાવતરું, હાફિઝ સઈદના સાગરીતો ‘જેહાદ’ માટે ઉઘરાવી રહ્યા છે ફંડ
પાકિસ્તાનના નાપાક આતંકી સંગઠનો પવિત્ર રમઝાન માસમાં પણ પોતાની હરકતોથી બાજ આવી રહ્યા નથી. પાકિસ્તાનમાં સક્રિય આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાના આકા હાફિઝ સઈદે આ મહિનામાં એક નવા અભિયાનની જાહેરાત કરી છે. આ અભિયાનને “મુકાબલા-એ-વફા” નામ આપવામાં આવ્યું છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય ધર્મના નામે સામાન્ય લોકો પાસેથી નાણાં એકઠા કરવાનો છે.
દાનના બહાને ‘જેહાદ’ માટે ભંડોળ
લશ્કર-એ-તૈયબાનું આ અભિયાન ખાસ કરીને જેહાદ માટે ફંડ એકઠું કરવા માટે ચલાવવામાં આવી રહ્યું છે. રમઝાન માસમાં મુસ્લિમ સમુદાયના લોકો નમાઝ અને રોઝાની સાથે દાન (ઝકાત) આપતા હોય છે. આતંકી સંગઠન લોકોની આ ધાર્મિક લાગણીઓનો ફાયદો ઉઠાવી તેને ચંદામાં ફેરવવા માંગે છે. રિપોર્ટ્સ મુજબ, આ ઝુંબેશ 7 મેના રોજ માર્યા ગયેલા આતંકીઓની યાદમાં શરૂ કરવામાં આવી છે, જેથી લોકોની સહાનુભૂતિ જીતી શકાય અને તેમની પાસેથી પૈસા માંગી શકાય. સંગઠન દ્વારા બહાર પાડવામાં આવેલા પત્રોમાં ‘અલ્લાહના રસ્તે એક થવા’ અને મદદ કરવાની અપીલ કરવામાં આવી છે.
ઓપરેશન સિંદૂરથી લશ્કરની કમર તૂટી
જાણકારોનું માનવું છે કે આતંકી સંગઠનો દ્વારા ફંડ ઉઘરાવવાની આ ઉતાવળ પાછળ ભારતીય સેનાનો પ્રહાર જવાબદાર છે. પહેલગામ હુમલા બાદ ભારતીય સેનાએ દુશ્મનોને જડબાતોડ જવાબ આપવા માટે ‘ઓપરેશન સિંદૂર’ લોન્ચ કર્યું હતું. આ ઓપરેશનમાં પાકિસ્તાની સીમાની અંદર સ્થિત આતંકી ઠેકાણાઓને તબાહ કરવામાં આવ્યા હતા, જેમાં અંદાજે 100 જેટલા આતંકીઓ માર્યા ગયા હતા. આ આતંકીઓ ભારત પર મોટા હુમલાની ફિરાકમાં હતા.
ફંડની તાતી જરૂરિયાત પાછળનું કારણ
‘ઓપરેશન સિંદૂર’ ને કારણે લશ્કર-એ-તૈયબા જેવા સંગઠનોને મોટું આર્થિક અને માળખાગત નુકસાન થયું છે. તેમના ટ્રેનિંગ સેન્ટરો ધ્વસ્ત થઈ ગયા છે અને હથિયારોનો જથ્થો પણ નાશ પામ્યો છે. આ આતંકી નેટવર્કને ફરીથી બેઠું કરવા માટે મોટા પાયે ફંડની જરૂર છે. આથી જ હાફિઝ સઈદની ટોળકી હવે રમઝાનના પવિત્ર મહિનાનો ઉપયોગ પોતાના નાપાક ઈરાદાઓ માટે ભંડોળ ભેગું કરવા કરી રહી છે. ભારતીય સુરક્ષા એજન્સીઓ આ ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખી રહી છે.

