પાટણમાં પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના પરિવાર માટે બની આર્થિક સહારો, અચાનક અવસાન બાદ પત્નીને મળ્યા ₹2 લાખ
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના આજે અનેક પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. ખૂબ જ ઓછા પ્રીમિયમમાં મળતી આ યોજના અણધાર્યા સંજોગોમાં પરિવારને મોટી આર્થિક સુરક્ષા પૂરી પાડે છે. જો પરિવારના કમાતા સભ્યનું અચાનક અવસાન થાય, તો આ યોજના હેઠળ ₹2 લાખની વીમા સહાય મળે છે. પાટણના એક મધ્યમવર્ગીય પરિવાર માટે આ યોજના સંકટની ઘડીએ મોટો ટેકો બનીને સામે આવી છે.
પાટણના મોચી પરિવારને મળી ₹2 લાખની વીમા સહાય
પાટણના રહેવાસી રોહિતકુમાર મોચી સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના ગ્રાહક હતા અને દર વર્ષે માત્ર ₹436નું નજીવું પ્રીમિયમ ભરીને આ વીમા યોજનામાં જોડાયેલા હતા. હાર્ટ એટેકને કારણે તેમનું અચાનક અવસાન થતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. જોકે, તેમણે લીધેલા વીમાને કારણે તેમની પત્ની ગીતાબેનને ₹2 લાખની સહાય પ્રાપ્ત થઈ છે. આ રકમ તેમના બે બાળકોના ભવિષ્ય અને અભ્યાસ માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે.
માત્ર ₹436ના વાર્ષિક પ્રીમિયમમાં ₹2 લાખનું સુરક્ષા કવચ
સેન્ટ્રલ બેંક પાટણ બ્રાંચના મેનેજર મઘાભાઈ ચૌધરીએ જણાવ્યું કે, બેંક સ્ટાફ દ્વારા દરેક ગ્રાહકને આ સુરક્ષા યોજનાઓ વિશે માહિતગાર કરવામાં આવે છે. રોહિતભાઈના પરિવારે સમયસર પ્રીમિયમ ભર્યું હોવાથી આજે તેમને આર્થિક મુશ્કેલીમાં મદદ મળી શકી છે. રોજની માત્ર એક-દોઢ રૂપિયા જેવી રકમ ખર્ચીને ₹2 લાખનો વીમો મેળવવો એ સામાન્ય માણસ માટે શ્રેષ્ઠ બચત અને સુરક્ષા છે.
દરેક ખાતાધારકે વીમા યોજનાનો લાભ લેવો અનિવાર્ય
મૃતકના પરિવારજનોએ સરકાર અને બેંક સ્ટાફનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે, આ મદદ તેમના પરિવાર માટે મોટી આર્થિક હૂંફ સમાન છે. બેંક મેનેજરે અપીલ કરી છે કે દરેક ખાતાધારકે પોતાના પરિવારની સુરક્ષા માટે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનામાં અવશ્ય જોડાવું જોઈએ. આવી યોજનાઓ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને આકસ્મિક સંકટો સામે લડવાની શક્તિ આપે છે.
