NCERT પુસ્તક વિવાદ પર PM મોદી લાલઘૂમ: કહ્યું- ‘બાળકોને શું ભણાવવામાં આવે છે, તેનું ધ્યાન રાખવું જ જોઈએ’
NCERTના ધોરણ 8ના પાઠ્યપુસ્તકમાં ન્યાયતંત્ર વિરુદ્ધ વિવાદાસ્પદ સામગ્રી પીરસવાના મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારે નારાજગી વ્યક્ત કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મંગળવારે મળેલી કેબિનેટ બેઠકમાં પીએમ મોદીએ આ મુદ્દે કડક વલણ અપનાવ્યું હતું. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, “બાળકોને શિક્ષણમાં શું પીરસવામાં આવી રહ્યું છે, તેની કાળજી રાખવી ખૂબ જ જરૂરી છે.” આ બેઠક બાદ જ પીએમ ઇઝરાયેલ પ્રવાસે ગયા હતા, અને હવે તેમના પરત ફર્યા બાદ આ મામલે જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહીના સંકેત મળી રહ્યા છે.
ન્યાયતંત્ર પરના પ્રહારોથી સુપ્રીમ કોર્ટ નારાજ
આ વિવાદની શરૂઆત NCERTના આઠમા ધોરણના સામાજિક વિજ્ઞાનના પુસ્તકથી થઈ છે. જેમાં એક પ્રકરણમાં ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે આ મામલાને ગંભીરતાથી લેતા કહ્યું કે, આ ન્યાયિક સંસ્થાને નબળી પાડવાનો અને તેની ગરિમાને ઠેસ પહોંચાડવાનો એક ‘સુનિયોજિત પ્રયાસ’ હોય તેમ જણાય છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી બેન્ચે આ પુસ્તક પર ‘સંપૂર્ણ પ્રતિબંધ’ લગાવી દીધો છે અને તેની તમામ ડિજિટલ નકલો દૂર કરવાનો આદેશ આપ્યો છે.
સામાજિક વિજ્ઞાનના તમામ પુસ્તકો જપ્ત કરવાનો આદેશ
અદાલતે માત્ર પ્રતિબંધ જ નથી લગાવ્યો, પરંતુ તમામ ભૌતિક નકલો જપ્ત કરવાનો પણ હુકમ કર્યો છે. સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી હતી કે, “તેમણે આઘાત કર્યો છે, ન્યાયતંત્ર ઘાયલ થયું છે.” કોર્ટે NCERTના ડાયરેક્ટર અને શાળા શિક્ષણ વિભાગના સચિવને કારણદર્શક નોટિસ ફટકારી છે અને પૂછ્યું છે કે શા માટે તેમની સામે અદાલતની અવમાનનાની કાર્યવાહી ન કરવી જોઈએ?
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું આશ્વાસન: ‘જવાબદારી નક્કી થશે’
કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આ મામલે ખેદ વ્યક્ત કર્યો છે. તેમણે જમશેદપુરમાં પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું કે, સરકાર ન્યાયતંત્રનું સંપૂર્ણ સન્માન કરે છે અને અમારો ઈરાદો સંસ્થાનું અપમાન કરવાનો ક્યારેય નહોતો. તેમણે ખાતરી આપી છે કે, “આ પ્રકરણ તૈયાર કરનારા અને તેની મંજૂરી આપનારા લોકો સામે તપાસ કરવામાં આવશે અને કડક કાર્યવાહી થશે. પુસ્તકોનું વિતરણ તાત્કાલિક ધોરણે અટકાવી દેવામાં આવ્યું છે.”
લોકશાહીમાં ન્યાયતંત્રની સર્વોપરિતા
શિક્ષણ મંત્રીએ ભારપૂર્વક કહ્યું કે ભારત જેવા લોકશાહી દેશમાં ન્યાયતંત્ર સર્વોપરી છે. પુસ્તકમાં ભ્રષ્ટાચાર અને કેસોના પડતર હોવા જેવી બાબતોને નકારાત્મક રીતે રજૂ કરવા બદલ સરકાર અત્યંત નારાજ છે. સુપ્રીમ કોર્ટની કડક ચેતવણી બાદ NCERT એ પોતાની વેબસાઈટ પરથી આ પુસ્તક હટાવી દીધું છે અને માફી પણ માંગી છે. હવે જોવાનું એ રહેશે કે શિક્ષણ વિભાગ આ ગંભીર બેદરકારી બદલ કયા મોટા અધિકારીઓ પર ગાજ પાડે છે.

