‘વિશ્વ અશાંતિની આગમાં સળગી રહ્યું છે… મહાવીરનો સંદેશ સૌના માટે છે’, ‘સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’ના ઉદ્ઘાટન પ્રસંગે પીએમ મોદીનું સંબોધન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મહાવીર જયંતીના પવિત્ર અવસરે ગુજરાતના ગાંધીનગર સ્થિત કોબા ગામમાં નવનિર્મિત ‘સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’નું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, જે યુગમાં કેટલાક શાસકોએ હિંસાને હથિયાર બનાવીને શાસન કર્યું, તેવા સમયે સમ્રાટ સંપ્રતિએ સિંહાસન પર બેસીને અહિંસાનો વિસ્તાર કર્યો હતો. શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર ખાતે સ્થિત આ મ્યુઝિયમનું નામ સમ્રાટ સંપ્રતિ મહારાજ (ઈ.સ. પૂર્વે 224-215) ના નામ પરથી રાખવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા.
જૈન વિરાસત અને આધુનિકતાનો સંગમ
પીએમ મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, “હજારો વર્ષની ભારતીય વિરાસત, જૈન ધર્મનું શાશ્વત જ્ઞાન અને આપણી ધરોહરને આવનારી સદીઓ સુધી અમર બનાવવા માટે આપણા સંતોએ આ મ્યુઝિયમની સંકલ્પના કરી હતી. આજે આ સંકલ્પના એક ભવ્ય સ્વરૂપે સાકાર થઈ છે.” તેમણે ઉમેર્યું કે આ સંગ્રહાલય જૈન દર્શન અને ભારતીય સંસ્કૃતિનું એક પવિત્ર કેન્દ્ર બન્યું છે. વડાપ્રધાને આ અદ્ભુત પ્રયાસ માટે તમામ જૈન સંતોનું અભિનંદન પાઠવ્યું હતું.
હિંસા સામે અહિંસાનો વિજય
સમ્રાટ સંપ્રતિના શાસનકાળને યાદ કરતા પીએમ મોદીએ કહ્યું કે, તેમણે સત્ય, અસ્તેય અને અપરિગ્રહનો પ્રચાર-પ્રસાર કર્યો હતો. નિઃસ્વાર્થ ભાવે શાસનને સેવાનું માધ્યમ માનીને જીવવાની શીખ આપણને ભારતના ભૂતકાળમાંથી મળે છે. તેમણે વધુમાં જણાવ્યું કે આજે જ્યારે વિશ્વ અસ્થિરતા અને અશાંતિની આગમાં સળગી રહ્યું છે, ત્યારે આ મ્યુઝિયમનો સંદેશ માત્ર ભારત માટે જ નહીં પરંતુ સમગ્ર માનવજાત માટે અત્યંત મહત્વનો છે.
વડાપ્રધાનના ’10 સંકલ્પો’
આ પવિત્ર અવસરે પીએમ મોદીએ દેશવાસીઓને 10 વિશેષ સંકલ્પો દોહરાવવાની અપીલ કરી હતી:
- પાણી બચાવવાનો સંકલ્પ
- એક વૃક્ષ માના નામે વાવવાનો સંકલ્પ
- સ્વચ્છતા મિશનને આગળ ધપાવવું
- વોકલ ફોર લોકલ – સ્વદેશી અપનાવવું
- દેશ દર્શન – પર્યટનને પ્રોત્સાહન
- પ્રાકૃતિક ખેતી અપનાવવી
- સ્વસ્થ જીવનશૈલી જીવવી
- યોગ અને રમતગમતને જીવનનો હિસ્સો બનાવવો
- ગરીબોની સહાયતા કરવી
- ભારતની વિરાસત પર ગર્વ કરવો
Today, I had the opportunity to visit a few galleries such as Adinath-Neminath Gallery, Parshvanath Gallery, a gallery dedicated to Bhagwan Mahavir and a gallery showing exhibits from Raja Kumarpal to the Simhsuri Period. The attention to detail, aesthetic beauty and aspects from… pic.twitter.com/oqDrkfKfW1
— Narendra Modi (@narendramodi) March 31, 2026
2,000થી વધુ દુર્લભ કલાકૃતિઓનું સંગ્રહસ્થાન
સરકારી યાદી મુજબ, આ મ્યુઝિયમમાં સદીઓ જૂની અને દુર્લભ જૈન કલાકૃતિઓ રાખવામાં આવી છે. જેમાં પથ્થર અને ધાતુની કોતરણીવાળી મૂર્તિઓ, લઘુચિત્રો, ચાંદીના રથ, પ્રાચીન સિક્કા અને હસ્તપ્રતોનો સમાવેશ થાય છે. મ્યુઝિયમમાં અનેક વિશાળ હોલ છે જેમાં 2,000થી વધુ વસ્તુઓ પ્રદર્શિત કરવામાં આવી છે. આ સંગ્રહાલય મુલાકાતીઓને જૈન ધર્મના વિકાસ અને તેના સાંસ્કૃતિક પ્રભાવ વિશે ઊંડી સમજ પૂરી પાડશે.
