આજે બપોરે 2 વાગ્યે લોકસભામાં ગરજશે પીએમ મોદી: મિડલ ઈસ્ટ સંકટ અને ભારતીયોની સુરક્ષા પર આપશે મોટું નિવેદન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે લોકસભામાં મિડલ ઈસ્ટના વર્તમાન ગંભીર હાલાત પર મહત્વનું સંબોધન કરવાના છે. આ બાબતની ગંભીરતાને જોતા ભાજપ હાઈકમાન્ડે પોતાના તમામ સાંસદોને ગૃહમાં હાજર રહેવા માટે વ્હીપ જાહેર કર્યો છે. માનવામાં આવે છે કે પીએમ મોદી મિડલ ઈસ્ટમાં બદલાતી જતી સ્થિતિ પર ભારતનું વલણ સ્પષ્ટ કરશે, જેમાં રાજદ્વારી ભાગીદારી, પ્રાદેશિક સ્થિરતા અને વૈશ્વિક ઉર્જા માર્ગો પર થનારી અસરોનો સમાવેશ થાય છે.
વધતા તણાવ વચ્ચે ભારતની ચિંતા
વડાપ્રધાનનું આ ભાષણ એવા સમયે થઈ રહ્યું છે જ્યારે મિડલ ઈસ્ટમાં યુદ્ધ જેવી સ્થિતિને કારણે તણાવ ચરમસીમાએ છે. ખાસ કરીને હોર્મુઝ સ્ટ્રેટ સહિતના મહત્વના દરિયાઈ માર્ગોમાં અવરોધો ઉભા થઈ રહ્યા છે. આ વિસ્તારમાં વસતા લાખો ભારતીય નાગરિકો અને ભારતની અસ્કયામતોની સુરક્ષાને લઈને ચિંતાઓ વધી રહી છે. ઘણા અખાતી દેશોમાં ભારતીયો ફસાયેલા છે, જેમને પરત લાવવા માટે સરકાર દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. પીએમ મોદી આ ભારતીયોની સુરક્ષિત વાપસી અંગે પણ ગૃહને માહિતગાર કરી શકે છે.
ઉચ્ચ સ્તરીય બેઠકમાં પીએમની સૂચના
લોકસભામાં બોલતા પહેલા રવિવારે વડાપ્રધાન મોદીએ એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. આશરે સાડા ત્રણ કલાક ચાલેલી આ બેઠકમાં તેમણે પેટ્રોલિયમ, ક્રૂડ ઓઈલ, કુદરતી ગેસ અને ખાતર જેવા મહત્વના ક્ષેત્રોમાં ભારતની સજ્જતાની સમીક્ષા કરી હતી. પીએમએ સ્પષ્ટ શબ્દોમાં સૂચના આપી છે કે યુદ્ધ જેવી સ્થિતિનો લાભ ઉઠાવીને દેશમાં કોઈપણ પ્રકારની સંગ્રહખોરી કે કાળાબજાર સહન કરવામાં આવશે નહીં.
વિપક્ષના આરોપો અને સરકારનો જવાબ
નોંધનીય છે કે 28 ફેબ્રુઆરીથી અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે જે તણાવ શરૂ થયો છે, ત્યારથી વિપક્ષ સતત આ મુદ્દે ચર્ચાની માંગ કરી રહ્યો છે. વિપક્ષનો દાવો છે કે દેશમાં ગેસ અને ઈંધણની અછત સર્જાઈ શકે છે, જ્યારે કેન્દ્ર સરકારનું કહેવું છે કે સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે. પીએમ મોદી આજે પોતાના ભાષણ દરમિયાન વિપક્ષના આ તમામ આરોપોનો સચોટ જવાબ આપે તેવી પૂરેપૂરી શક્યતા છે.

