અફવા ફેલાવનારાઓથી સાવધ રહો: ગેસ સંકટ વચ્ચે પીએમ મોદીએ મંત્રીઓને આપી કડક સૂચના
ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા તણાવની અસર હવે ભારતીય બજાર અને સામાન્ય જનજીવન પર જોવા મળી રહી છે. દેશના અનેક ભાગોમાં એલપીજી (LPG) સિલિન્ડરની અછતને કારણે લાંબી કતારો જોવા મળી રહી છે. આ ગંભીર સ્થિતિ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગુરુવારે કેબિનેટ મંત્રીઓ સાથે મહત્ત્વની બેઠક યોજી હતી. પીએમ મોદીએ મંત્રીઓને સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે કે દેશમાં ગભરાટનું વાતાવરણ ઊભું કરનારા તત્વો પર કડક નજર રાખવામાં આવે.
વડાપ્રધાને જણાવ્યું હતું કે, કેટલાક લોકો વર્તમાન પરિસ્થિતિનો ગેરફાયદો ઉઠાવીને સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો દ્વારા અફવાઓ ફેલાવી રહ્યા છે. તેમણે મંત્રીઓને સોશિયલ મીડિયા પર સક્રિય રહેવા અને વિપક્ષ દ્વારા કરવામાં આવતા ભ્રામક પ્રચારોનો આક્રમક રીતે જવાબ આપવા તાકીદ કરી છે.
ભારતની તૈયારીઓ અન્ય દેશો કરતા વધુ મજબૂત: પીએમ મોદી
મંત્રીઓમાં આત્મવિશ્વાસ જગાવતા પીએમ મોદીએ કહ્યું કે, “આ વૈશ્વિક સંકટ છે જે માત્ર ભારતને જ નહીં પણ સમગ્ર વિશ્વને અસર કરી રહ્યું છે. જોકે, અન્ય પાડોશી દેશો અને વિકસિત રાષ્ટ્રોની સરખામણીએ ભારતની તૈયારીઓ ઘણી મજબૂત અને બહેતર છે.” તેમણે મંત્રીઓને સલાહ આપી હતી કે જનતા સાથે સંવાદ કરતી વખતે પૂરા આત્મવિશ્વાસ સાથે તથ્યો રજૂ કરે જેથી સામાન્ય લોકોમાં ડરનો માહોલ પેદા ન થાય.
આ અગાઉ તમિલનાડુમાં એક રેલી દરમિયાન પણ પીએમ મોદીએ જનતાને આશ્વાસન આપ્યું હતું કે સરકાર જનહિતની રક્ષા માટે કટિબદ્ધ છે. ખાસ કરીને કોમર્શિયલ ગેસની અછતને કારણે હોટલ ઉદ્યોગ પ્રભાવિત થયો છે, તેને પહોંચી વળવા માટે યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે.
હોર્મુઝની સામુદ્રધુનીમાંથી ભારતને મળી મોટી રાહત
વૈશ્વિક સ્તરે ચાલી રહેલા આર્થિક અને યુદ્ધના તણાવ વચ્ચે ભારત માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. ઈરાન દ્વારા ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ (Strait of Hormuz) માર્ગ બંધ કરવાની ધમકીઓ વચ્ચે ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે ઈરાની વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી સાથે ઉચ્ચ સ્તરીય વાતચીત કરી હતી.
આ રાજદ્વારી સફળતાને પરિણામે, ઈરાન ભારતીય ધ્વજ ધરાવતા ટેન્કરોને આ દરિયાઈ માર્ગેથી પસાર થવા દેવા માટે સંમત થયું છે. અહેવાલો અનુસાર, ભારતના બે મહત્વના ટેન્કરો, ‘પુષ્પક’ અને ‘પરિમલ’ સુરક્ષિત રીતે આ માર્ગ પરથી પસાર થઈ રહ્યા છે. આ સમજૂતીને કારણે આગામી દિવસોમાં દેશમાં ગેસ અને તેલનો પુરવઠો સામાન્ય થવાની આશા છે.

