પી.એન.જી. ધરાવતા ગ્રાહકો માટે એલ.પી.જી. કનેક્શન અને રિફિલિંગ પર પ્રતિબંધ
ભારત સરકારના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય દ્વારા દેશમાં ગેસ વિતરણ વ્યવસ્થાને વધુ પારદર્શક બનાવવા માટે ‘તરલીકૃત પેટ્રોલિયમ ગેસ સુધારા આદેશ, ૨૦૨૬’ અમલમાં મૂકવામાં આવ્યો છે. આવશ્યક વસ્તુ અધિનિયમ, ૧૯૫૫ હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને કેન્દ્ર સરકારે આ કડક નિયમો જાહેર કર્યા છે. આ નવા નિયમો ગત ૧૪ માર્ચ ૨૦૨૬થી દેશભરમાં સત્તાવાર રીતે લાગુ કરી દેવામાં આવ્યા છે, જેનો હેતુ ઈંધણના વિતરણમાં થતો બિનજરૂરી બગાડ અટકાવવાનો અને સંસાધનોનો ન્યાયી ઉપયોગ સુનિશ્ચિત કરવાનો છે.
PNG કનેક્શન ધરાવતા ગ્રાહકો માટે LPG પર પ્રતિબંધ
સરકારના નવા સુધારા મુજબ, જે નાગરિકોના ઘરે પાઇપ્ડ નેચરલ ગેસ (PNG) કનેક્શનની સુવિધા ઉપલબ્ધ છે, તેઓ હવેથી પોતાના નામે ઘરેલું LPG સિલિન્ડરનું કનેક્શન રાખી શકશે નહીં. આ નિયમ હેઠળ જે ગ્રાહકો પાસે હાલમાં પાઈપલાઈન ગેસ અને બાટલાનું કનેક્શન એમ બંને સુવિધાઓ છે, તેમણે તાત્કાલિક ધોરણે પોતાનું LPG કનેક્શન સરેન્ડર એટલે કે પરત કરવાનું રહેશે. હવેથી આવા ગ્રાહકો કોઈપણ સરકારી તેલ કંપની કે વિતરક પાસેથી ગેસ રિફિલ કરાવી શકશે નહીં, કારણ કે તેમને પાઈપલાઈન દ્વારા સતત ગેસ પુરવઠો મળી રહ્યો છે.
તેલ કંપનીઓ અને વિતરકો માટે નવી માર્ગદર્શિકા
નવા સરકારી આદેશમાં માત્ર ગ્રાહકો જ નહીં, પણ સરકારી તેલ કંપનીઓ માટે પણ કડક સૂચનાઓ જારી કરવામાં આવી છે. સુધારેલી માર્ગદર્શિકા મુજબ, જો કોઈ ગ્રાહક પહેલેથી જ PNG કનેક્શન ધરાવતો હોય, તો તેને નવું LPG જોડાણ આપવું અથવા ગેસ સિલિન્ડરનું રિફિલિંગ પૂરું પાડવું એ હવે કાયદેસર રીતે પ્રતિબંધિત કૃત્ય ગણાશે. આ સુધારા દ્વારા સરકાર એ ખાતરી કરવા માંગે છે કે ગેસ સિલિન્ડરનો જથ્થો એવા જરૂરિયાતમંદ પરિવારો સુધી પહોંચે જ્યાં હજુ સુધી પાઈપલાઈન ગેસની સુવિધા પહોંચી શકી નથી.
વડોદરા વહીવટી તંત્રની અપિલ અને કાયદેસરની કાર્યવાહી
વડોદરા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને આ નવા નિયમોનું સખતપણે પાલન કરવા અને વધારાના LPG કનેક્શન નિયત સમયમર્યાદામાં પરત કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. જો કોઈ ગ્રાહક જાણીબૂઝીને માહિતી છુપાવશે અથવા બંને કનેક્શન ચાલુ રાખશે, તો તેમની સામે આવશ્યક વસ્તુ અધિનિયમ હેઠળ કાયદેસરની શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. તંત્ર દ્વારા આગામી દિવસોમાં ડેટા વેરિફિકેશન પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી શકે છે જેથી ડબલ કનેક્શન ધરાવતા ગ્રાહકોને ઓળખી શકાય.

