ભાજપના ધારાસભ્ય દ્વારા હવે કારખાનામાં કામ કરતા લેબરને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. હિંમતનગરના ભાજપના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડાનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં રાજેન્દ્રસિંહે પરપ્રાંતિય(હિન્દીભાષી-ઉત્તર ભારતીય) સામે ખુલ્લેઆમ ચમીકી ઉચ્ચારી છે. રાજેન્દ્રસિંહે કહ્યું છે કે જો કારખાનાઓમાં 80 ટકા સ્થાનિક ગુજરાતીઓને રોજગારી આપવામાં નહીં તો આંદોલન કરવાની ફરજ પડશે.
સાબરકાંઠા જિલ્લાના ઢુંઢર ગામમાં બનેલી એક ચકચારી દુષ્કર્મની ઘટના બાદ પરપ્રાંતિઓ ઉપર હુમલા થવાની ઘટનાઓ વધી ગઇ હતી. પરપ્રાંતિઓ ઉપર હુમલાઓની ઘટનાઓ બાદ રાજકીય નેતાઓ આમને સામને આવી ગયા છે. વિપક્ષનેતાઓ આ મુદ્દે ગુજરાત સરકારને ઘેરવાનો પ્રયત્ન કરી રહ્યા છે તો બીજી તરફ સરકારે પોતાની રીતે ખુલાસા કર્યા છે.
ધારાસભ્ય રાજેન્દ્રસિંહે કહ્યું કે સ્થાનિક લોકોએ રોજગાર નહીં અપાય અને જો બહારના લોકોને રોજગાર અપાશે તો હું વિરોધ કરીશ એવું વીડિયોમાં દેખાઇ રહ્યું છે.
તેમણે જણાવ્યું હતું કે, “આ માનવીય સંવેદનાની વાત છે. આ સંવેદનાના આધારે સમગ્ર ટીમ અહીં બેઠી છે. અને બીજી વાત યુવાનોની એ હતી કે ફેક્ટરીઓમાં પરપ્રાંતિઓને લોકો છે. પરંતુ સરકારે હમણાં જ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ જાહેર કર્યું કે જે કોઇપણ ફેક્ટરીઓમાં 80 ટકા સ્થાનિક લોકો હોવા જોઇએ અને હું તત્કાલ ફેક્ટરીઓનો સરવે કરાવીશ અને જો 80 ટકા સ્થાનિકોને રોજગારી નહીં મળે તો હું જાહેરમાં 50 ગામના લોકો અહીં હાજર છે ત્યારે કહું છું કે, હું લો એન ઓર્ડરની સાથે આંદોલન કરવું પડશે તો હું કરીશ. સમગ્ર ટીમને સાથે રાખીને બેસીશ. પરંતુ એવી રીતે સ્થાનિકોને રોજગારી નહીં મળે તો અમે નહીં ચલાવી લઇએ.” ભાજપના ધારાસભ્ય દ્વારા હિન્દી ભાષી કામદારો, કારીગરો અંગે કરાયેલા વિવાદાસ્પદ નિવેદનના ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે.
એક તરફ ભાજપે હિન્દી ભાષીઓ અંગે અલ્પેશ ઠાકોર અને ઠાકોર સેનાને ધેરી લીધા છે તો બીજી તરફ ભાજપના ધારાસભ્ય દ્વારા હિન્દીભાષીઓને નિશાન બનાવવામાં આવતા રાજકીય વિવાદ વધુ ઘૂમરાઈ જવાની શક્યતા નકારી શકાતી નથી.