સંઘપ્રદેશ દાદરા નગરહવેલીની લોકસભાની ચૂંટણીમાં હોટ કેક બનેલા કોંગ્રેસના પ્રમુખ મોહન ડેલકરે કોંગ્રેસના ઉમેદવાર વિરુદ્વ અપક્ષ ઉમેદવારી કરતા મોડે-મોડે પણ કોંગ્રેસે મોહન ડેલકર સામે શિક્ષાત્મક કાર્યવાહી કરી છે.
સેલવાસમાં વડાપ્રધાન મોદીની સભામાં પહોંચ્યા બાદ મોહન ડેલકરની કોંગ્રેસ ત્યજવાની અટકળો ચાલી રહી હતી. મોહન ડેલકરે જે તે વખતે કોંગ્રેસ નહીં છોડવાનું જણાવ્યું હતું પરંતુ લોકસભા ચૂંટણી જાહેર થતાં જ મોહન ડેલકરે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. ચર્ચા ચાલી હતી કે મોહન ડેલકર ભાજપનો ભગવો ખેસ ધારણ કરશે પરંતુ ડેલકરે અપક્ષ ઉમેદવારી કરતાં સેલવાસમાં ત્રિપાંખીયો જંગ મંડાયો છે.
ટેરીટોરીયલ કમિટી ઓફ દાદરા નગર હવેલી( કો-ઓર્ડિનેશન કમિટી)ના વિક્રમસિંહ પરમાર, કેશુભાઈ પટેલ, મહેશ શર્મા અને પ્રભુ ટોકીયાની કોરમે નોંધ્યું છે કે મોહન ડેલકરે કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું ન હતું. કોંગ્રેસ પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું હતું. કોંગ્રેસે પ્રભૂ ટોકીયાને ઉમેદવાર તરીકે ચૂંટણીમાં ટીકીટ આપી છે અને મોહન ડેલકરે કોંગ્રેસ પાર્ટીનો આદેશ માન્યો નથી અને કોંગ્રેસના ઉમેદવાર પ્રભુ ટોકીયા સામે ઉમેદવારી કરી છે. આ સંજોગોમાં ગેરશિસ્ત ગણી પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ મોહન ડેલકર અને તેમને ટેકો આપતા કાર્યકરોને છ વર્ષ માટે કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.