૧૫ લાખનું રોકાણ અને ૫ વર્ષમાં ₹૫.૫૫ લાખનું વ્યાજ: પોસ્ટ ઓફિસની માસિક આવક યોજના
જો તમે તમારા સખત પરિશ્રમથી કમાયેલા નાણાં માટે કોઈ એવું સુરક્ષિત રોકાણ શોધી રહ્યા છો, જ્યાં એકવાર રકમ જમા કરાવ્યા પછી દર મહિને કોઈ પણ પ્રકારના જોખમ વગર નિશ્ચિત આવક થતી રહે, તો ભારતીય પોસ્ટ ઓફિસની ‘માસિક આવક યોજના’ (Monthly Income Scheme – MIS) તમારા માટે ઉત્તમ વિકલ્પ સાબિત થઈ શકે છે. વર્તમાન સમયમાં આ યોજના પર વાર્ષિક ૭.૪ ટકાનું આકર્ષક વ્યાજ આપવામાં આવી રહ્યું છે. જો તમે તમારા પરિવારના સભ્યો સાથે મળીને આ સ્કીમમાં રોકાણ કરો છો, તો દર મહિને ₹૯,૨૫૦ ની બેઠ્ઠી આવક મેળવી શકો છો.
દર મહિને ગેરંટીડ આવકની સુવિધા
પોસ્ટ ઓફિસ માસિક આવક યોજનાનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ એ છે કે તેમાં મળતું વ્યાજ દર મહિને ગણાય છે અને તમારા સેવિંગ્સ એકાઉન્ટમાં આપોઆપ જમા થઈ જાય છે. આ સ્કીમનો લોક-ઈન પિરિયડ એટલે કે મૂળ મુદત ૫ વર્ષની હોય છે. ૫ વર્ષ દરમિયાન તમને વ્યાજના દરમાં થતા કોઈ પણ ફેરફાર વગર સતત એકસરખી માસિક આવક મળતી રહે છે. નિવૃત્ત કર્મચારીઓ, સિનિયર સિટિઝન્સ અથવા ઘરના નિયમિત ખર્ચાઓને પહોંચી વળવા માગતા લોકો માટે આ એક અત્યંત સુરક્ષિત અને ભરોસાપાત્ર માર્ગ છે.

કેટલું રોકાણ કરી શકાય અને કેટલી થશે કમાણી?
પોસ્ટ ઓફિસની આ યોજનામાં રોકાણકાર પોતાની અનુકૂળતા મુજબ સિંગલ (એકલ) અથવા જોઈન્ટ (સંયુક્ત) એકાઉન્ટ ખોલાવી શકે છે. નિયમો અનુસાર:
સિંગલ ખાતામાં: તમે વધુમાં વધુ ₹૯ લાખ સુધીનું રોકાણ કરી શકો છો.
જોઈન્ટ ખાતામાં: બે કે ત્રણ વ્યક્તિઓ મળીને મહત્તમ ₹૧૫ લાખ સુધી જમા કરાવી શકે છે.
જો કમાણીની ગણતરી કરીએ તો, જો તમે જોઈન્ટ એકાઉન્ટ ખોલાવીને તેમાં મહત્તમ ₹૧૫ લાખનું રોકાણ કરો છો, તો ૭.૪ ટકાના વાર્ષિક વ્યાજ દર મુજબ તમને દર મહિને બરાબર ₹૯,૨૫૦ ની માસિક આવક મળશે. આ હિસાબે તમે એક વર્ષમાં ફક્ત વ્યાજ પેટે ₹૧.૧૧ લાખ મેળવશો. આ રીતે પૂરા ૫ વર્ષના સમયગાળા દરમિયાન તમારી કુલ વ્યાજની કમાણી ₹૫.૫૫ લાખ થઈ જશે. ૫ વર્ષની મુદત પૂરી થયા બાદ તમારી મૂળ થાપણ એટલે કે ₹૧૫ લાખ તમને પૂરેપૂરા સલામત પાછા મળી જાય છે.

માત્ર ₹૧,૦૦૦ થી કરી શકાય છે રોકાણની શરૂઆત
આ યોજનામાં ખાતું ખોલાવવાની પ્રક્રિયા ખૂબ સરળ રાખવામાં આવી છે. સામાન્ય નાગરિકો પણ આ યોજનાનો લાભ લઈ શકે તે માટે લઘુત્તમ રોકાણ મર્યાદા માત્ર ₹૧,૦૦૦ રાખવામાં આવી છે. ત્યારબાદ ₹૧,૦૦૦ ના ગુણાંકમાં ગમે તેટલી રકમ ઉમેરી શકાય છે. ૧૮ વર્ષથી વધુ વયની કોઈ પણ ભારતીય વ્યક્તિ પોતાના નજીકના પોસ્ટ ઓફિસમાં જઈને આ ખાતું ખોલાવી શકે છે.
અધવચ્ચે ખાતું બંધ કરાવવાના નિયમો
આ યોજના ૫ વર્ષ માટે હોય છે, પરંતુ જો રોકાણકારને ઈમરજન્સીમાં નાણાંની જરૂર પડે તો મુદત પૂરી થતાં પહેલાં પણ ખાતું બંધ કરાવી શકાય છે. જો ખાતું ખોલાવ્યાના ૧ થી ૩ વર્ષની અંદર બંધ કરવામાં આવે તો જમા રકમમાંથી ૨ ટકા રકમ પેનલ્ટી તરીકે કાપવામાં આવે છે. જ્યારે ૩ થી ૫ વર્ષની વચ્ચે ખાતું બંધ કરાવવા પર ૧ ટકો રકમ કાપીને બાકીની રકમ પરત કરવામાં આવે છે. તેથી રોકાણ કરતા પહેલા આ નિયમો ધ્યાને રાખવા જરૂરી છે.
