મણિપુરમાં ૧ વર્ષ બાદ રાષ્ટ્રપતિ શાસન હટાવવામાં આવ્યું, આજે સાંજે ૬ વાગ્યે યુમનામ સરકારના શપથ ગ્રહણ
મણિપુરમાંથી લગભગ એક વર્ષ બાદ રાષ્ટ્રપતિ શાસનનો અંત આવ્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ અંગેનું જાહેરનામું બહાર પાડી દીધું છે. આ સાથે જ રાજ્યમાં યુમનામ સરકાર બનાવવાનો માર્ગ મોકળો થયો છે. નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ આજે સાંજે ૬ વાગ્યે ઇમ્ફાલના લોકભવનમાં યોજાશે.
યુમનામ ખેમચંદ સિંહ બનશે મુખ્યમંત્રી
ભાજપના ધારાસભ્ય યુમનામ ખેમચંદ સિંહને બુધવારે જ ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓ આજે સાંજે મુખ્યમંત્રી પદના શપથ લેશે. શપથ ગ્રહણ સમારોહમાં NDA ના અન્ય ધારાસભ્યો, ભાજપ નોર્થ-ઈસ્ટના ઇન્ચાર્જ સંબિત પાત્રા, પ્રદેશ પ્રમુખ એ. શારદા દેવી અને ભાજપના ચૂંટણી નિરીક્ષક તરુણ ચુગ પણ હાજર રહેશે.
ધારાસભ્યોની ટીમ એરપોર્ટથી સીધી લોકભવન પહોંચી હતી અને રાજ્યપાલ અજય કુમાર ભલ્લા સમક્ષ સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો.
હિંસા અને રાષ્ટ્રપતિ શાસનનો ઇતિહાસ
મણિપુરમાં ૩ મે ૨૦૨૩ ના રોજ ચુરાચંદપુરમાં કુકી અને મૈતેઈ સમુદાય વચ્ચે અથડામણ થઈ હતી. ત્યારબાદ રાજ્યમાં હિંસા વધી ગઈ અને તત્કાલીન મુખ્યમંત્રી બીરેન સિંહે રાજીનામું આપી દીધું હતું. ૧૨ ફેબ્રુઆરી ૨૦૨૪ ના રોજ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું હતું.
હવે લગભગ એક વર્ષ બાદ આ શાસન સમાપ્ત થયું છે અને રાજ્યમાં લોકશાહી માળખા હેઠળ નવી સરકારની રચના કરવામાં આવી રહી છે.
કુકી-જો ધારાસભ્યો પ્રથમ વખત સામેલ
મણિપુરની વર્તમાન પરિસ્થિતિ વચ્ચે આ પ્રથમ વખત છે જ્યારે બે કુકી-જો ધારાસભ્યો, એલએમ ખૌટે અને ન્ગુર્સંગલુર સનાતે ઇમ્ફાલ પહોંચ્યા છે. નવી નેતૃત્વ ટીમના સ્વાગત અને શપથ સમારોહની તૈયારીઓ ભાજપ પ્રદેશ કાર્યાલયમાં જોરશોરથી ચાલી રહી છે.

