રાજકોટમાં આગામી તા.7મી જાન્યુઆરીના રોજ ભારત અને શ્રીલંકા વચ્ચેની ટી-20 ક્રિકેટ સિરીઝની ત્રીજી મેચ રમાનાર છે ત્યારે રાજકોટમાં ક્રિકેટ રસિકોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
ભારતીય ટીમ કાલાવડ રોડ સ્થિત સયાજી હોટલમાં અને શ્રીલંકા ટિમ 150 ફૂટ રિંગ રોડ ખાતે આવેલી ફોર્ચ્યુન હોટેલમાં રોકાવાની હોય રાજકોટમાં ક્રિકેટ રસિયાઓમાં ભારે ઉત્સુકતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
આગામી 6 જાન્યુઆરી એટલે કે શુક્રવારે ભારત અને શ્રીલંકા બંને ટીમના ખેલાડીઓ રાજકોટ આવી પહોંચશે.
દરમિયાન બન્ને ટીમનું સ્વાગત કરવા આયોજન કરવામાં આવ્યું છે.
ભારત અને શ્રીલંકા ટી-20 શ્રેણીની શરૂઆત થઇ ચુકી છે ત્યાર રાજકોટમાં તો અત્યારથી જ ક્રિકેટ ફીવર જોવા મળી રહ્યો છે. હોટેલ બહાર તેમજ રસ્તા પર ટિમ ઇન્ડિયાના ખેલાડીઓને સ્વાગત સાથેના કટઆઉટસ અને વેલકમ બેનર હોર્ડિંગ્સ જોવા મળી રહ્યા છે.
રાજકોટના ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે અત્યાર સુધી કુલ 9 મેચ રમાઇ ચુક્યા છે જેમાં 2 ટેસ્ટ, 4 ટી-20 અને 3 વન-ડે મેચનો સમાવેશ થાય છે ત્યારે આગામી શનિવારના રોજ 10મો આંતરરાષ્ટ્રીય મેચ રાજકોટમાં યોજાતા રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્રના ક્રિકેટ રસિકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
મેચમાં આશરે 30 હજાર પ્રેક્ષકો વાહન સાથે આવનાર છે.
આ સ્ટેડિયમ રાજકોટ-જામનગર હાઇવે રોડ પર હોવાથી હાઈવે પર વાહનોનો ટ્રાફિક રહેતો હોઈ ક્રિકેટ મેચના દિવસ દરમિયાન ટ્રાફિકજામ નિવારવા માટે તા.07ના 05 કલાકથી તા.08ના 01:00 વાગ્યા સુધી જામનગરથી રાજકોટ તરફ આવતા મોટા વાહનોને( ટ્રક,ટેન્કર, ટ્રેલર વગેરે ) પડધરી- મોવૈયા સર્કલથી ડાયવર્ઝન આપી, ટંકારા થઈ રાજકોટ તરફ આવશે અથવા પડધરી-નેકનામ- મિતાણા થઈ રાજકોટ તરફ ડાયવર્ઝન દ્વારા આવશે તેમ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ,રાજકોટ કે.બી.ઠક્કર દ્વારા હુકમ કરવામાં આવેલ છે.