રાજ્યમાં અનેક લોકો એવા છે કે જેઓને બે ટાઈમનું ભોજન ખાવા મળતું નથી ત્યારે ગરીબો માટે ફળવેલુ અનાજ ગોડાઉનમાં પડ્યું પડ્યું સડી ગયું હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.
રાજકોટમાં પુરવઠા વિભાગની અતિગંભીર બેદરકારીના કારણે ગરીબ લોકોને આપવાનું અનાજ પડ્યુ પડ્યું જ સડી ગયું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
મહત્વનું છે કે દોઢ વર્ષ પહેલાં રાજકોટ પુરવઠા તંત્રએ લાખો રૂપિયાનો ઘઉં અને ચોખાનો અનાજનો જથ્થો કાળા બજારમાં જાય તે પહેલાં ઝડપી પાડ્યો હતો અને અનાજનો જથ્થો સિઝ કર્યા બાદ પુરવઠા ગોડાઉનમાં મૂકવામાં આવ્યો હતો જોકે ત્યારબાદ એક મહિના પછી આ જથ્થો તત્કાલિન કલેક્ટરે વિતરણમાં મૂકવા માટે આદેશ આપ્યો હતો તેમછતાં સ્થાનિક પુરવઠા નિગમે જથ્થો વિતરણમાં મૂક્યો નહોતો અને હવે તે આદેશ થયાને દોઢ વર્ષ વીતી જતા જથ્થો સડી ગયો છે.
172 કટ્ટા ઘઉં અને 452 કટ્ટા ચોખા દોઢ વર્ષથી ગોડાઉનમાં વિતરણ કર્યા વગરના પડ્યા રહ્યા હતા જેમાં 172 કટ્ટા ઘઉં સડી ગયા હોવાનું એફએસએલના રિપોર્ટમાં પુરવાર થતા આ અનાજ બગડી ગયું અને ગરીબોને મળ્યું ન હતુ.
આમ,સંકલનના અભાવે લાખ્ખો રૂપિયાનું અનાજ બગાડ કરનારા જવાબદાર અધિકારીઓ સામે કોણ પગલાં ભરશે?