શું રણવીર સિંહ બનશે ભગવાન શિવ? ‘ધ ઈમ્મોર્ટલ્સ ઓફ મેલુહા’ના રાઈટ્સ 40 કરોડમાં ખરીદ્યા હોવાની ચર્ચાનું શું છે સત્ય?
બોલિવૂડના પાવરહાઉસ ગણાતા રણવીર સિંહ અત્યારે સફળતાના સાતમા આસમાને છે. તેમની ફિલ્મ ફ્રેન્ચાઈઝી ‘ધુરંધર’ અને તેના બીજા ભાગ ‘ધ રિવિંજ’ એ બોક્સ ઓફિસ પર જે રીતે તરખાટ મચાવ્યો છે તે જોતા રણવીરનું નામ હવે ઈન્ડસ્ટ્રીના સૌથી મોટા પ્રોજેક્ટ્સ સાથે જોડાઈ રહ્યું છે. આ બંને ફિલ્મોએ મળીને 3000 કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ કર્યો છે. હવે સમાચાર આવ્યા હતા કે રણવીર સિંહ અમિશ ત્રિપાઠીની પ્રખ્યાત નોવેલ ‘ધ ઈમ્મોર્ટલ્સ ઓફ મેલુહા’ પર ફિલ્મ બનાવવા જઈ રહ્યો છે અને પોતે તેમાં ભગવાન શિવની ભૂમિકા ભજવશે. પરંતુ, શું આ વાતમાં ખરેખર દમ છે? ચાલો જાણીએ આ અહેવાલનું સંપૂર્ણ સત્ય.
શું રણવીરે ખરેખર 40 કરોડમાં રાઈટ્સ ખરીદ્યા?
તાજેતરમાં સોશિયલ મીડિયા અને કેટલાક ન્યૂઝ પોર્ટલ્સ પર એવા અહેવાલો વહેતા થયા હતા કે રણવીર સિંહે પોતાની પ્રોડક્શન કંપની ‘માં કસમ ફિલ્મ્સ’ હેઠળ અમિશ ત્રિપાઠીની શિવા ટ્રાયોલોજીના રાઈટ્સ અંદાજે 40 કરોડ રૂપિયાની માતબર રકમ આપીને ખરીદી લીધા છે. આ પ્રોજેક્ટ માટે તેણે બિરલા સ્ટુડિયો સાથે હાથ મિલાવ્યા હોવાની પણ ચર્ચાઓ હતી. ચાહકો તો રણવીરને શિવના અવતારમાં જોવા માટે અત્યારથી જ ઉત્સાહિત થઈ ગયા હતા, પરંતુ આ ખુશી લાંબો સમય ટકી શકી નથી.
લેખક અમિશ ત્રિપાઠીએ પોતે આપ્યો ખુલાસો
જ્યારે આ અફવાઓએ જોર પકડ્યું, ત્યારે નોવેલના લેખક અમિશ ત્રિપાઠીએ પોતે સામે આવીને સત્ય જાહેર કર્યું છે. એક ઈન્ટરવ્યુમાં અમિશ ત્રિપાઠીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, “શિવા ટ્રાયોલોજીના રાઈટ્સ બાબતે અત્યારે કોઈની પણ સાથે એગ્રીમેન્ટ કરવામાં આવ્યું નથી. આ પુસ્તકના રાઈટ્સ હજુ પણ મારી પાસે જ છે.”
તેમણે વધુમાં ઉમેર્યું કે, “હું રણવીર સિંહનો મોટો ફેન છું અને એક કલાકાર તરીકે તેમનું ખૂબ સન્માન કરું છું, પરંતુ રણવીરે આ રાઈટ્સ ખરીદ્યા છે અથવા તે આ ફિલ્મ કરી રહ્યો છે તેવી વાતોમાં બિલકુલ સત્ય નથી.” અમિશના આ નિવેદન બાદ રણવીર સિંહના ભગવાન શિવ બનવાની અટકળો પર અત્યારે તો પૂર્ણવિરામ મુકાઈ ગયું છે.
આ પ્રોજેક્ટનો ઈતિહાસ: કેમ વારંવાર અટવાય છે ‘મેલુહા’?
‘ધ ઈમ્મોર્ટલ્સ ઓફ મેલુહા’ પર ફિલ્મ બનાવવાની ઈચ્છા બોલિવૂડના ઘણા દિગ્ગજોએ વ્યક્ત કરી છે, પરંતુ દર વખતે કોઈને કોઈ કારણસર પ્રોજેક્ટ અટકી જાય છે:
કરણ જોહર (2012): સૌથી પહેલા કરણ જોહરે આના રાઈટ્સ ખરીદ્યા હતા અને કરણ મલ્હોત્રા તેને ડાયરેક્ટ કરવાના હતા, પરંતુ વાત આગળ વધી શકી નહીં.
સંજય લીલા ભણસાલી: ત્યારપછી સંજય લીલા ભણસાલીનું નામ પણ રાઈટ્સ હોલ્ડર તરીકે સામે આવ્યું હતું, પણ ત્યાં પણ કોઈ અપડેટ મળ્યું નહોતું.
વેબ સિરીઝ (2022): શેખર કપૂર અને સુપન વર્માએ જાહેરાત કરી હતી કે તેઓ આ નોવેલ પર વેબ સિરીઝ બનાવશે, પરંતુ તે પ્રોજેક્ટ પણ હજુ સુધી ઠેકાણે પડ્યો નથી.
રણવીર સિંહનો અત્યારનો પ્લાન શું છે?
ભલે રણવીર સિંહ અત્યારે ‘મેલુહા’ નથી કરી રહ્યો, પરંતુ તેની પાસે કામની કમી નથી. તે અત્યારે તેના આગામી મોટા પ્રોજેક્ટ ‘પ્રલય’ પર ધ્યાન આપી રહ્યો છે. આ ફિલ્મને રણવીર પોતે પ્રોડ્યુસ કરી રહ્યો છે અને તેનું નિર્દેશન જય મહેતા કરવાના છે. આ ફિલ્મમાં રણવીરની સાથે કલ્યાણી પ્રિયદર્શન લીડ રોલમાં જોવા મળશે. ‘ધુરંધર’ની ભવ્ય સફળતા બાદ રણવીર હવે માત્ર એવા જ પ્રોજેક્ટ્સ પસંદ કરી રહ્યો છે જે સ્કેલ અને વાર્તાની દ્રષ્ટિએ મોટા હોય.

