ઉદયનિધિ સ્ટાલિનનું ફરી વિવાદિત નિવેદન: વિધાનસભામાં કહ્યું- ‘લોકોને વહેંચતી સનાતન વ્યવસ્થા સમાપ્ત થવી જોઈએ’
તમિલનાડુના રાજકારણમાં સત્તાનું સુકાન બદલાયા બાદ હવે વિધાનસભાના દ્રશ્યો પણ બદલાયા છે. અભિનેતામાંથી નેતા બનેલા વિજયની આગેવાનીમાં નવી સરકારની રચના થઈ ચૂકી છે અને વર્ષો સુધી સત્તા ભોગવનાર ડીએમકે (DMK) ને હવે વિપક્ષમાં બેસવાનો વારો આવ્યો છે. વિધાનસભા સત્રના બીજા દિવસે વિપક્ષના નેતા ઉદયનિધિ સ્ટાલિને ફરી એકવાર ‘સનાતન ધર્મ’ પર નિશાન સાધીને રાજકીય ગરમાવો વધારી દીધો છે.
વિપક્ષના નેતા તરીકે ઉદયનિધિની નવી ભૂમિકા
વિધાનસભાના સત્ર દરમિયાન વિપક્ષના નેતા તરીકે ઉદયનિધિ સ્ટાલિને પોતાના સંબોધનની શરૂઆત નવા વરાયેલા સ્પીકર જે.સી.ટી. પ્રભાકર અને ડેપ્યુટી સ્પીકર રવિકુમારને અભિનંદન આપીને કરી હતી. તેમણે આશા વ્યક્ત કરી હતી કે સ્પીકર પોતાની ભૂમિકામાં નિષ્પક્ષતા જાળવી રાખશે. ઉદયનિધિએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, તેમની પાર્ટી ડીએમકે ગૃહમાં માત્ર વિરોધ કરવા ખાતર વિરોધ નહીં કરે, પરંતુ એક ‘રચનાત્મક વિપક્ષ’ તરીકે કામ કરશે.
સનાતન ધર્મ પર ફરી નિશાન
ઉદયનિધિ સ્ટાલિને ગૃહમાં પોતાના ભાષણના અંતે ફરી સનાતન ધર્મની ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે, “લોકોને વિભાજિત કરનારી અને ભેદભાવ રાખનારી સનાતન વ્યવસ્થાને ચોક્કસપણે ખતમ કરી દેવી જોઈએ.” ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ તેમના સનાતન વિરોધી નિવેદનોએ દેશભરમાં વિવાદ સર્જ્યો હતો. આ વખતે ખાસ વાત એ રહી કે જ્યારે તેઓ ગૃહમાં આ બોલી રહ્યા હતા ત્યારે મુખ્યમંત્રી વિજય કે સ્પીકર પ્રભાકર તરફથી કોઈ વિરોધ કે વાંધો જોવા મળ્યો નહોતો.
રાજકીય સભ્યતા અને ડીએમકેનો અનુભવ
મુખ્યમંત્રી વિજયના વખાણ કરતા ઉદયનિધિએ કહ્યું કે, વિજયે વ્યક્તિગત રીતે તમામ નેતાઓની મુલાકાત લીધી તે એક સારી ‘રાજકીય સભ્યતા’ છે અને આ પરંપરા વિધાનસભામાં પણ જળવાઈ રહેવી જોઈએ. જોકે, તેમણે નવી સરકારને ટકોર કરતા એમ પણ કહ્યું કે, તમિલનાડુમાં સરકાર ચલાવવાના મામલે ડીએમકે સૌથી વરિષ્ઠ અને અનુભવી પાર્ટી છે. 1967 થી સત્તામાં રહેવાનો અમારો અનુભવ અમે નવી સરકાર સાથે શેર કરવા તૈયાર છીએ અને સત્તાધારી પક્ષે તેને સ્વીકારવા પણ તૈયાર રહેવું જોઈએ.
અલ્પમતી સરકાર પર કટાક્ષ
ઉદયનિધિ સ્ટાલિને નવી સરકારના ગઠન પર કટાક્ષ કરતા તેને ‘અલ્પમતી સરકાર’ ગણાવી હતી. તેમણે કહ્યું, “તમિલનાડુની જનતાએ વિજયની પાર્ટીને સરકાર બનાવવા માટે જરૂરી બહુમતી આપી નથી. તેમ છતાં, ડીએમકેના નેતૃત્વ હેઠળના સાથી પક્ષોના ધારાસભ્યોની મદદથી જે સરકાર બની છે, તેને હું અભિનંદન આપું છું.” તેમણે યાદ અપાવ્યું કે લોકશાહી મૂલ્યો અને તંદુરસ્ત ચર્ચાઓ માટે તમિલનાડુ વિધાનસભા હંમેશા જાણીતી રહી છે અને તે ગરિમા જળવાઈ રહેવી જોઈએ.

