મોહમ્મદ નબીએ કાબુલ હુમલાને ગણાવ્યો અત્યંત પીડાદાયક, સોશિયલ મીડિયા પર આક્રોશ.
૧૭ માર્ચ, ૨૦૨૬ ના રોજ કાબુલની ધરા નિર્દોષોના લોહીથી ખરડાઈ છે. પાકિસ્તાની વાયુસેના દ્વારા કરવામાં આવેલા ભીષણ હવાઈ હુમલાએ સમગ્ર અફઘાનિસ્તાનને હચમચાવી દીધું છે. આ દુર્ઘટનામાં ૪૦૦ થી વધુ લોકોના મોત અને હોસ્પિટલના વિનાશથી માત્ર રાજનેતાઓ જ નહીં, પરંતુ રમતજગતના સિતારાઓ પણ અત્યંત વ્યથિત થયા છે. અફઘાનિસ્તાનના ગૌરવ સમાન ક્રિકેટરો રાશિદ ખાન અને મોહમ્મદ નબીએ આ ઘટનાને ‘યુદ્ધ અપરાધ’ ગણાવી વૈશ્વિક તપાસની માંગ કરી છે.
ગઈકાલે રાત્રે ૯ વાગ્યે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં પાકિસ્તાની વાયુસેના દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલાએ ભયાનક વિનાશ નોતર્યો છે. એક હોસ્પિટલ અને રહેણાંક વિસ્તારોને નિશાન બનાવીને કરવામાં આવેલા આ બોમ્બમારામાં અત્યાર સુધીમાં ૪૦૦ થી વધુ લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે ૨૫૦ થી વધુ લોકો જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. આ અમાનવીય ઘટના પર અફઘાનિસ્તાનના સ્ટાર ક્રિકેટરો રાશિદ ખાન અને મોહમ્મદ નબીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોતાનો રોષ અને દુઃખ ઠાલવ્યું છે.
રાશિદ ખાનની આકરી પ્રતિક્રિયા: ‘આ યુદ્ધ અપરાધ છે’
વિશ્વના શ્રેષ્ઠ સ્પિનરોમાંના એક રાશિદ ખાને અત્યંત ગમગીન હૈયે આ ઘટનાની નિંદા કરી છે. રાશિદે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, “કાબુલમાં નાગરિકોના મોતના અહેવાલો અત્યંત હૃદયદ્રાવક છે. શૈક્ષણિક સંસ્થાઓ, રહેણાંક ઘરો અને તબીબી સુવિધાઓને નિશાન બનાવવી એ આકસ્મિક હોય કે જાણી જોઈને, તે સ્પષ્ટપણે ‘યુદ્ધ અપરાધ’ (War Crime) છે.”
રાશિદે વધુમાં ઉમેર્યું કે, “રમઝાનના પવિત્ર મહિનામાં માનવ જીવન પ્રત્યેની આ પ્રકારની અવગણના ચિંતાજનક છે. આવી ક્રૂરતા સમાજમાં માત્ર નફરત અને વિભાજનને જ જન્મ આપશે.” તેમણે સંયુક્ત રાષ્ટ્ર (UN) અને આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંગઠનોને વિનંતી કરી છે કે તેઓ આ ઘટનાની તટસ્થ તપાસ કરે અને જવાબદારોને કડક સજા અપાવે. રાશિદે મુશ્કેલ સમયમાં અફઘાન પ્રજા સાથે ખડેપગે રહેવાની ખાતરી આપી હતી.

મોહમ્મદ નબીની કરુણ રજૂઆત: ‘હોસ્પિટલની બહાર માતાઓની ચીસો’
અફઘાનિસ્તાનના પૂર્વ કેપ્ટન મોહમ્મદ નબીએ હોસ્પિટલ પર થયેલા હુમલાની ભયાનકતા વિશે લખતા લાખો લોકોની આંખો ભીની કરી દીધી હતી. નબીએ પોતાની પોસ્ટમાં લખ્યું, “ગઈકાલે રાત્રે કાબુલની હોસ્પિટલ પર થયેલા બોમ્બમારાએ અનેક આશાઓને ધૂંધળી કરી નાખી છે. જે યુવાનો ત્યાં સારવાર માટે આવ્યા હતા, તેઓ શબ બનીને બહાર નીકળ્યા છે.”
નબીએ વધુમાં હૃદયસ્પર્શી વર્ણન કરતા કહ્યું કે, “હોસ્પિટલની બહાર અનેક માતાઓ પોતાના પુત્રોના નામ પોકારી રહી હતી, પરંતુ રમઝાનની ૨૮મી રાત્રે તેમના જીવનનો અકાળે અંત લાવી દેવામાં આવ્યો હતો. આ પીડા શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી.”

કાબુલમાં ભય અને બચાવ કામગીરી
તાલિબાનના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, હુમલો એટલો ભીષણ હતો કે હોસ્પિટલની આખી ઇમારત ધરાશાયી થઈ ગઈ છે. ૨૩ મિનિટ સુધી ચાલેલા આ બોમ્બમારામાં પાકિસ્તાની વાયુસેનાના વિમાનોએ ભારે વિસ્ફોટકોનો ઉપયોગ કર્યો હતો. કાબુલના સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ મુજબ, કાટમાળ નીચેથી હજુ પણ મૃતદેહો કાઢવામાં આવી રહ્યા છે, જેના કારણે મૃત્યુઆંક વધવાની આશંકા છે.
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેના યુદ્ધમાં જ્યારે નિર્દોષ નાગરિકો અને હોસ્પિટલો નિશાન બને છે, ત્યારે સમગ્ર વિશ્વની શાંતિ જોખમમાં મુકાય છે. રાશિદ ખાન અને મોહમ્મદ નબી જેવા વૈશ્વિક પ્રતીકો દ્વારા કરવામાં આવેલી તપાસની માંગ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે કેટલો પડઘો પાડે છે, તે જોવું રહ્યું.