નિયમનો ભંગ થાય તો દંડ, ગ્રાહકોને મળશે પારદર્શિતા
રાજ્યમાં રેરાએ બાંધકામ ક્ષેત્રે ગ્રાહકોને સરળ સેવા મળે તે માટે મહત્વપૂર્ણ નિયમ અમલમાં મૂક્યો છે. હવે કોઈપણ ચાલુ પ્રોજેક્ટ વિશે માહિતી મેળવવા માટે બિલ્ડર, ઓફિસ અથવા વેબસાઈટ પર નિર્ભર રહેવું ફરજિયાત નહીં રહે. 1 ડિસેમ્બરથી અમલમાં આવેલા નવા નિયમ મુજબ દરેક સાઈટ પર માહિતી દર્શાવતું બોર્ડ ફરજિયાત રહેશે. તેમાં પ્રોજેક્ટ અને ડેવલપર સંબંધિત જરૂરી વિગતો સ્પષ્ટ રીતે દર્શાવવાની રહેશે.
પ્રોજેક્ટ સ્થળે માહિતી બોર્ડ અને QR કોડ ફરજિયાત
રેરાના નવા હુકમ મુજબ હવે દરેક બાંધકામ સાઈટ પર મોટું બોર્ડ લગાવવું પડશે, જેમાં પ્રોજેક્ટનું નામ, મંજૂરીના કાગળો, ડેવલપરની વિગતો સહિત QR કોડ મૂકવો ફરજિયાત થશે. ગ્રાહક કોડ સ્કેન કરી પ્રોજેક્ટ વિશે તમામ માહિતી મેળવી શકશે. જો બિલ્ડર આ નિયમનું પાલન ન કરે તો એની સામે દંડની કાર્યવાહી થઈ શકે છે. નિયમના અમલથી બિલ્ડર-ડેવલપર માટે પારદર્શિતા વધશે.
નિયમનો મુખ્ય હેતુ ગ્રાહકને સહુલિયત આપવાનો
હાલ સુધી પ્રોજેક્ટ વિશેની માહિતી મળવા માટે નાગરિકોને ઓફિસો પર જવું પડતું અથવા વેબસાઈટ શોધવી પડતી. ઘણી વખત પૂરતી વિગતો ન મળતાં તેમને પરેશાની અનુભવતી હતી. હવે એક નજરે પ્રોજેક્ટ વિશેની માહિતી પ્રોજેક્ટ સાઈટ પર જ ઉપલબ્ધ રહેશે. QR કોડ દ્વારા વધુ માહિતી તરત મેળવી શકાશે, જેમાંથી હેરાનગતિ ઘટશે.

