“ચૂંટણી પતતા જ સંકટ યાદ આવ્યું?” – અખિલેશ યાદવનો પીએમ મોદી પર તીખો કટાક્ષ
ભારતની રાજનીતિમાં અત્યારે ‘સંયમ’ અને ‘સંકટ’ આ બે શબ્દો ચર્ચાના કેન્દ્રમાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે દેશની જનતાને તેલ, ગેસ અને સોનાના વપરાશમાં કાપ મૂકવા તેમજ ‘વર્ક ફ્રોમ હોમ’ અપનાવવાની જે અપીલ કરી, તેના પર વિપક્ષી નેતાઓ લાલઘૂમ થયા છે. સમાજવાદી પાર્ટીના મુખિયા અખિલેશ યાદવે આ મુદ્દે ભાજપ સરકારને આડે હાથ લેતા કહ્યું છે કે, “ચૂંટણી પૂરી થતાની સાથે જ સરકારને સંકટ યાદ આવી ગયું છે, જ્યારે સાચું સંકટ તો ભાજપ પોતે જ છે.”
અખિલેશનો સવાલ: “ચૂંટણીમાં વીડિયો કોન્ફરન્સિંગથી પ્રચાર કેમ ન કર્યો?”
અખિલેશ યાદવે સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટ શેર કરીને પીએમ મોદીની અપીલ સામે અનેક વેધક સવાલો ઉઠાવ્યા છે. તેમણે કટાક્ષ કરતા પૂછ્યું કે, જો દેશમાં ઈંધણનું આટલું મોટું સંકટ હતું, તો ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપના નેતાઓ હજારો ચાર્ટર પ્લેનમાં કેમ ઉડતા હતા?
તેમણે લખ્યું, “ચૂંટણી વખતે ભાજપના નેતાઓએ વીડિયો કોન્ફરન્સિંગથી પ્રચાર કેમ ન કર્યો? શું ત્યારે વિમાનો પાણીથી ચાલતા હતા? શું ત્યારે તેલ બચાવવાની કે સંયમ રાખવાની જવાબદારી નહોતી? બધી પાબંદીઓ અને ત્યાગના ઉપદેશો માત્ર જનતા માટે જ કેમ છે?” અખિલેશના મતે આ અપીલ એ સરકારની પોતાની નિષ્ફળતાનો સ્વીકાર છે.
“5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થાનું શું થયું?”
વડાપ્રધાને જનતાને સોનું ન ખરીદવા અને ખર્ચ ઘટાડવા કહ્યું છે, જેની સામે અખિલેશ યાદવે આર્થિક મોરચે સરકારને ઘેરી છે. તેમણે સવાલ કર્યો કે જો જનતા બધું જ ખરીદવાનું બંધ કરી દેશે અને બજારમાં મંદી આવશે, તો સરકાર જે ‘5 ટ્રિલિયન ડોલર’ની અર્થવ્યવસ્થાના સપના બતાવે છે, તે કેવી રીતે પૂરા થશે?
અખિલેશ યાદવે કહ્યું કે, “ડોલર અત્યારે આસમાને છે અને રૂપિયો પાતાળમાં જઈ રહ્યો છે. સરકારના હાથમાંથી અર્થતંત્રની લગામ છૂટી ગઈ હોય તેવું લાગે છે. જનતા તો પહેલેથી જ મોંઘવારીને કારણે સોનું ખરીદી શકતી નથી, તો આ અપીલ કોના માટે છે?”
સોનાની ખરીદી અને ભ્રષ્ટાચાર પર પ્રહાર
સોનું ન ખરીદવાની પીએમની અપીલ પર અખિલેશ યાદવે વધુ એક કટાક્ષ કર્યો. તેમણે કહ્યું કે પીએમ મોદીએ આ અપીલ સામાન્ય જનતાને નહીં, પણ પોતાના પક્ષના ભ્રષ્ટ લોકોએ કરવી જોઈએ. તેમણે આક્ષેપ કર્યો કે ભાજપના લોકો જ પોતાની કાળી કમાણીને સોનામાં ફેરવી રહ્યા છે.
તેમણે ઉમેર્યું કે, “લખનઉથી ગોરખપુર અને અમદાવાદથી ગુવાહાટી સુધી તપાસ કરી લો, ખબર પડી જશે કે કોણ સોનું ખરીદી રહ્યું છે. ગરીબ અને મધ્યમ વર્ગ તો દોઢ તોલું સોનું ખરીદવા માટે પણ ફાંફા મારી રહ્યો છે.”
વિદેશ નીતિની નિષ્ફળતાનો આરોપ
અખિલેશ યાદવે પશ્ચિમ એશિયાના સંકટ માટે ભારતની વર્તમાન વિદેશ નીતિને પણ જવાબદાર ઠેરવી છે. તેમણે કહ્યું કે ભારતની પરંપરાગત ‘બિન-જોડાણવાદ’ (Non-Alignment) ની નીતિથી હટીને ભાજપ સરકાર કેટલાક ખાસ જૂથોના દબાણમાં કામ કરી રહી છે.
તેમના મતે, સરકારની આ ભૂલનું પરિણામ અત્યારે જનતાએ મોંઘવારી, બેરોજગારી અને આર્થિક મંદી તરીકે ભોગવવું પડી રહ્યું છે. ખેડૂતો, મજૂરો, યુવાનો અને ગૃહિણીઓ—દરેક વર્ગ અત્યારે આર્થિક કટોકટીમાં છે અને સરકાર મદદ કરવાને બદલે જનતામાં ડર ફેલાવી રહી છે.
चुनाव ख़त्म होते ही, ‘संकट’ याद आ गया!
दरअसल देश के लिए ‘संकट’ सिर्फ़ एक है और उसका नाम है : ‘भाजपा’
इतनी सारी पाबंदियां लगानी पड़ीं तो ‘पंच ट्रिलियन डॉलर की जुमलाई अर्थव्यवस्था’ कैसे बनेगी? लगता है भाजपा सरकार के हाथ से लगाम पूरी तरह छूट गयी है। डॉलर आसमान छू रहा है और देश का… pic.twitter.com/2f8utdxbLR
— Akhilesh Yadav (@yadavakhilesh) May 11, 2026
“નાકામી સ્વીકારો, દેશને બરબાદ ન કરો”
સપા પ્રમુખે ચેતવણી આપી છે કે સરકારની આવી અપીલથી બજારમાં ગભરાટ અને નિરાશા ફેલાશે, જે વેપાર-ધંધાને ચોપટ કરી નાખશે. સરકારનું કામ સંસાધનોનો સદુપયોગ કરીને આપત્તિમાંથી બહાર લાવવાનું હોય છે, નહીં કે અફરાતફરી મચાવવાનું.
તેમણે અંતમાં આકરા શબ્દોમાં કહ્યું કે, “ભાજપે નફરત ફેલાવીને સમાજને અને ચૂંટણીમાં ગરબડો કરીને લોકશાહીને પ્રદૂષિત કરી છે. હવે અર્થવ્યવસ્થાનો રોદણાં રડી રહ્યા છે. જો સરકાર ચલાવી શકતા નથી, તો પોતાની નાકામી સ્વીકારી લો. વોટ મળતા જ ભાજપનો ખોટ સામે આવી ગયો છે.”
પીએમ મોદીએ શું અપીલ કરી હતી?
ઉલ્લેખનીય છે કે, રવિવારે તેલંગાણાના એક કાર્યક્રમમાં પીએમ મોદીએ ખાડી દેશોમાં વધતા તણાવ અને ગ્લોબલ એનર્જી માર્કેટના દબાણનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે વિદેશી મુદ્રા બચાવવા માટે લોકોને તેલ અને ગેસનો ઉપયોગ ઘટાડવા, સોનાની ખરીદી એક વર્ષ ટાળવા અને ખાનગી વાહનોને બદલે મેટ્રો કે રેલવેનો ઉપયોગ કરવા વિનંતી કરી હતી. તેમજ કોરોના કાળની જેમ ‘વર્ક ફ્રોમ હોમ’ને ફરી પ્રાથમિકતા આપવા જણાવ્યું હતું જેથી ઈંધણની બચત થઈ શકે.
આ નિવેદન બાદ હવે દેશમાં ‘રાષ્ટ્રહિત’ અને ‘સરકારી નિષ્ફળતા’ વચ્ચે એક મોટું રાજકીય યુદ્ધ છેડાઈ ગયું છે. વિપક્ષ આને સરકારના નબળા આર્થિક સંચાલનનું પ્રમાણ ગણાવી રહ્યો છે.
