શિવરાજપુર બીચમાં બે વર્ષમાં 13.5 લાખથી વધુ પ્રવાસીઓ ઉમટ્યા
ગુજરાતમાં ફરવા માટે દરિયાકાંઠાના સ્થળોનું મહત્વ હંમેશા વિશેષ રહ્યું છે, પરંતુ છેલ્લા બે વર્ષમાં એક નામ ખાસ ચર્ચામાં છે–શિવરાજપુર. આ દરિયાકિનારે 13.5 લાખથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે અને સ્વચ્છ પાણી સાથે સમુદ્રની લહેરોનો શાંતિભર્યો આનંદ અનુભવ્યો છે. બ્લૂ ફ્લેગ બીચની યાદીમાં સામેલ થવાના કારણે અહીંનું પાણી એકદમ સ્વચ્છ રહે છે અને સ્કુબા ડાઇવિંગ જેવી રસપ્રદ પ્રવૃત્તિઓ માટે પણ અનુકૂટળ છે. ખાસ કરીને દ્વારકાની યાત્રા માટે આવતા શ્રદ્ધાળુઓ માટે આ સ્થળ નજીક હોવાથી વધુ લોકપ્રિય બની રહ્યું છે.
દ્વારકાથી માત્ર 12 કિમી દૂર, શિવરાજપુર બન્યું આંતરરાષ્ટ્રીય આકર્ષણ
શ્રીકૃષ્ણનગરી દ્વારકાથી માત્ર 12 કિલોમીટર અંતરે સ્થિત શિવરાજપુર બીચ આજે વૈશ્વિક સ્તરે ઓળખ મેળવી ચૂક્યુ છે. 2023 અને 2024ને ઉમેરતા અહીં કુલ 13 લાખ 58 હજારથી વધુ લોકો આવી ચૂક્યા છે. પ્રવાસીઓની સતત વધતી સંખ્યાએ સ્થાનિક વ્યવસાયને મજબૂત કર્યો છે અને રોજગારીના નવા માર્ગો ખોલ્યા છે. રાજ્યના સાંસ્કૃતિક વારસા અને કુદરતી સૌંદર્યને વિશ્વ સુધી પહોંચાડવામાં આ બીચ મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે.
2020માં મળ્યું બ્લૂ ફ્લેગ સર્ટિફિકેશન, અનેક પ્રવૃત્તિઓથી પ્રવાસીઓને મળે વિશેષ અનુભવ
ગુજરાત પ્રવાસન વિકાસ નિગમના આંકડા મુજબ, 2023માં 6,78,647 અને 2024માં 6,80,325 પ્રવાસીઓ અહીં ફરવા આવ્યા હતા. 2020માં બ્લૂ ફ્લેગ સર્ટિફિકેશન મળ્યા બાદ આ બીચ દેશના શ્રેષ્ઠ દરિયાકિનારોમાં ગણાય છે. પાણીની શુદ્ધતા, પર્યાવરણની સંભાળ, સુરક્ષા અને સેવાઓ સહિત કુલ 32 માપદંડોને પહોંચી વળ્યા બાદ આ પ્રમાણ આપવામાં આવે છે. અહીં સ્કુબા ડાઇવિંગ, બોટિંગ અને સ્કિઇંગ જેવી વોટર સ્પોર્ટ્સ સુવિધાઓ ઉપલબ્ધ હોવાથી પરિવાર સાથે ટૂર માટે આ સ્થળ વધુ આકર્ષક બને છે.
‘દેખો અપના દેશ’ અભિયાન સાથે વધતું સ્થાનિક પ્રવાસન
શિવરાજપુરની સફળતા દેશવ્યાપી ‘દેખો અપના દેશ’ પહેલને વધુ મજબૂતી આપે છે. આ અભિયાનનો હેતુ આધ્યાત્મિક, સંસ્કૃતિ-વારસો, પ્રકૃતિ-વન્યજીવન, એડવેન્ચર અને અન્ય ક્ષેત્રોમાં દેશના આંતરિક પ્રવાસનને પ્રોત્સાહિત કરવાનો છે. જાન્યુઆરી 2020માં શરૂ થયેલી આ પહેલ અંતર્ગત શિવરાજપુરે પોતાની છાપ ઊંડી કરી છે. આ સ્થળનો વિકાસ માત્ર પર્યટન નહીં, પરંતુ ગામડાના સમાજ અને આર્થિક માળખામાં પણ સકારાત્મક અસર ઊભી કરી છે.
વિકાસ તરફ મજબૂત પગલા–VGRC માં શિવરાજપુર પર વિશેષ ધ્યાન
રાજ્ય સરકારે પણ આ વિસ્તારમાં રોકાણ અને પ્રવાસન વિકાસ માટે મોટા પગલા લીધા છે. ક્ષેત્ર વિશિષ્ટ રોકાણને આકર્ષવા માટે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સનું આયોજન હાથ ધરાયું છે. તેની બીજી આવૃત્તિ રાજકોટમાં 8-9 જાન્યુઆરીએ યોજાશે, જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છ ક્ષેત્રના પ્રવાસન મોડલને ખાસ પ્રસ્તુતિ મળશે. શિવરાજપુર જેવા કુદરતી આકર્ષણો દર્શાવે છે કે ગુજરાત આયોજનબદ્ધ રીતે વિકસિત ગુજરાત@2047ના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું છે અને સ્થાનિક સંપત્તિઓને વૈશ્વિક મૂલ્ય આપી રહ્યું છે.

