સોનગઢમાં પ્રથમ વરસાદે જ પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખોલી મુખ્ય માર્ગો પાણી-પાણી

4 Min Read

સોનગઢ શુભમ ફેશન અને બિરસા મુંડા ચોક પાસે પાણી ભરાતા વાહનચાલકો-વિદ્યાર્થીઓ અટવાયા

હજુ તો ચોમાસાની સત્તાવાર શરૂઆત થઈ છે અને પહેલા જ વરસાદે સોનગઢ નગરપાલિકાના કરોડો રૂપિયાના વિકાસ કામો અને ટાઉન પ્લાનિંગના દાવાઓની હવા કાઢી નાખી છે. મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી પ્રકૃતિ ખીલી ઉઠી છે, પરંતુ સોનગઢના નાગરિકો માટે આ આનંદ મુશ્કેલીમાં ફેરવાઈ ગયો છે. પ્રથમ વરસાદ ખાબકતાની સાથે જ સોનગઢના મુખ્ય માર્ગો પર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા, જેને કારણે સમગ્ર જનજીવન પ્રભાવિત થયું છે.

મુખ્ય બજારો અને હાર્દ સમાન વિસ્તારો પાણીમાં ગરકાવ

વરસાદ શરૂ થતાં જ સોનગઢનો મુખ્ય માર્ગ, જે નગરની જીવાદોરી સમાન છે, તે તળાવમાં ફેરવાઈ ગયો હતો. ખાસ કરીને નગરના જાણીતા શોપિંગ સેન્ટર શુભમ ફેશન અને બિરસા મુંડા હોકર ઝોનની સામે રસ્તા પર ભારે પાણી ભરાઈ ગયા હતા. આ એવો વિસ્તાર છે જ્યાં દિવસભર હજારો લોકોની અવરજવર રહે છે.

- Advertisement -

s0.jpg

પાણીનો ભરાવો એટલો વ્યાપક હતો કે રસ્તા પરથી પસાર થવું અશક્ય બની ગયું હતું. આ દરમિયાન શાળાએથી છૂટેલા નાના-નાના વિદ્યાર્થીઓ અને નોકરી-ધંધેથી પરત ફરી રહેલા વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. કેટલાક દ્વિચક્રી વાહનો પાણીમાં બંધ પડી ગયા હતા, જેને કારણે વાહનચાલકોને પોતાના વાહનો ધકેલીને લઈ જવાની ફરજ પડી હતી. શાળાના બાળકો દફતર ઊંચા પકડીને ભયના ઓથા હેઠળ પાણીમાંથી પસાર થતા જોવા મળ્યા હતા, જે દ્રશ્યો સ્થાનિક તંત્રની નિષ્ફળતા ચાડી ખાતા હતા.

- Advertisement -

ખોરવાયેલું ટાઉન પ્લાનિંગ: કિલ્લા અને ટેકરાનું પાણી બજારમાં ઘૂસ્યું

સ્થાનિક રહીશો અને ભૌગોલિક સ્થિતિની સમજ ધરાવતા લોકોના મતે, આ સમસ્યા પાછળ પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થાનો અભાવ તો છે જ, પરંતુ સાથે સાથે કુદરતી વહેણને ધ્યાનમાં રાખ્યા વગર કરાયેલું બાંધકામ પણ જવાબદાર છે.

સોનગઢના ઊંચાણવાળા વિસ્તારો જેવા કે અલીફ નગર ટેકરા અને ઐતિહાસિક કિલ્લાની તળેટીમાંથી વહીને આવતું વરસાદી પાણી સીધું નીચે તરફ ધસી આવે છે. આ પાણીના નિકાલ માટે કોઈ આયોજનબદ્ધ ડ્રેનેજ લાઈન કે કેનાલ બનાવવામાં આવી નથી. પરિણામે, આ બધું જ પાણી ધોધની જેમ વહીને સોનગઢના મુખ્ય કેન્દ્ર સમાન શિવજી ચોક મેન બજાર સુધી પહોંચી જાય છે. જ્યારે કિલ્લાનું પાણી અને બજારનું પાણી એકસાથે ભેગું થાય છે, ત્યારે આખું બજાર જળબંબોળ થઈ જાય છે.

બસ સ્ટેન્ડ પાસે પાકા નિકાલની તાતી જરૂરિયાત

સ્થાનિક વેપારીઓ અને નાગરિકોના જણાવ્યા મુજબ, જો નગરપાલિકા ખરેખર આ કાયમી સમસ્યાનો ઉકેલ લાવવા માંગતી હોય, તો તેમણે બસ સ્ટેન્ડ પહેલા જ પાણીના નિકાલની કોઈ મોટી અને યોગ્ય વ્યવસ્થા કરવી પડે. જો બસ સ્ટેન્ડ નજીકથી જ પાણીને ડાયવર્ટ કરીને મોટા નાળા કે કોતરમાં વાળી દેવામાં આવે, તો દર વર્ષે ચોમાસામાં મેન બજાર અને મુખ્ય રસ્તાઓ પર ભરાતા પાણીની સમસ્યામાંથી કાયમી મુક્તિ મળી શકે તેમ છે. પરંતુ આ દિશામાં આજદિન સુધી કોઈ નક્કર આયોજન હાથ ધરવામાં આવ્યું નથી.

- Advertisement -

s.jpg

કરોડોનો ધુમાડો પણ પરિણામ શૂન્ય: જનતામાં ભારે રોષ

સોનગઢની જનતા હવે આ વાર્ષિક મુશ્કેલીથી કંટાળી ગઈ છે. લોકોમાં ચર્ચાઈ રહ્યું છે કે નગરપાલિકા દ્વારા દર વર્ષે પ્રિ-મોન્સૂન કામગીરીના નામે લાખો-કરોડો રૂપિયાના આંધણ કરવામાં આવે છે. રસ્તાઓ અને ગટર લાઈનો પાછળ સરકારી ગ્રાન્ટો વાપરી નાખવામાં આવે છે, છતાં પરિણામ હંમેશા ‘ઢાકના ત્રણ પાન’ જેવું જ રહે છે.

સ્થાનિક નાગરિકોએ તીખા આક્ષેપો કરતા જણાવ્યું છે કે:

“આ બધી સમસ્યા કોન્ટ્રાક્ટરો, નગરપાલિકાના એન્જિનિયરો અને ટાઉન પ્લાનિંગ કરનારાઓની ઘોર બેદરકારી અને ‘અન-આવડત’નું પરિણામ છે. ગ્રાઉન્ડ રિયાલિટી (વાસ્તવિક સ્થિતિ) જાણ્યા વિના, માત્ર AC ઓફિસોમાં બેસીને કાગળ પર નકશાઓ બનાવી કામ મંજૂર કરી દેવાની નીતિને કારણે જ આજે સોનગઢની આ દશા થઈ છે. જનતાના ટેક્સના કરોડો રૂપિયા ખર્ચાયા પછી પણ જો પહેલા વરસાદમાં જ રસ્તાઓ ડૂબી જતા હોય, તો આ એન્જિનિયરિંગ કયા કામનું?”

Share This Article