ખામેનેઈ સામે ઈરાની યુવતીઓનો હલ્લાબોલ: સતત ત્રીજા દિવસે 3 યુનિવર્સિટીઓમાં ફેલાયો વિદ્રોહ
ઈરાનની રાજધાની તેહરાનમાં સોમવાર, 23 ફેબ્રુઆરીના રોજ સતત ત્રીજા દિવસે સરકાર વિરોધી પ્રદર્શનોએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. આ વિરોધ પ્રદર્શન માત્ર સડકો પર જ નહીં, પરંતુ તેહરાનની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓના કેમ્પસમાં પણ ફેલાઈ ગયો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે વિદ્યાર્થીનીઓ માસ્ક પહેરીને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરી રહી છે. આ પ્રદર્શનો એવા સમયે થઈ રહ્યા છે જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન પર પરમાણુ સમજૂતી માટે સૈન્ય દબાણ વધારી રહ્યા છે.
ત્રણ મુખ્ય યુનિવર્સિટીઓ બળવાનું કેન્દ્ર બની
રિપોર્ટ્સ અનુસાર, સોમવારે તેહરાનની ત્રણ મોટી યુનિવર્સિટીઓમાં સ્થિતિ તણાવપૂર્ણ રહી હતી:
- શરીફ યુનિવર્સિટી: અહીં વિદ્યાર્થીઓ કેન્ટીન પાસે એકઠા થયા હતા અને નિર્વાસિત ક્રાઉન પ્રિન્સ રેઝા પહલવીના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. આ દરમિયાન ઈરાનના અર્ધલશ્કરી દળ ‘બસીજ’ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઉગ્ર અથડામણ થઈ હતી.
- તેહરાન યુનિવર્સિટી: અગાઉના પ્રદર્શનોમાં માર્યા ગયેલા વિદ્યાર્થીઓની યાદમાં આયોજિત કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ “ઔરત, ઝિંદગી, આઝાદી” ના નારા લગાવ્યા અને ખામેનેઈને સત્તા પરથી હટાવવાની માંગ કરી.
- અલ ઝહરા યુનિવર્સિટી: આ માત્ર મહિલાઓની યુનિવર્સિટી છે, જ્યાં વિદ્યાર્થિનીઓએ ખૂબ જ હિંમતપૂર્વક રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.
શું ઈરાનમાં ખામેનેઈનો ડર ખતમ થઈ રહ્યો છે?
લાંબા સમયથી ઈરાનમાં કડક શાસન અને ધાર્મિક નિયમો વિરુદ્ધ અવાજ ઉઠાવનારાઓને જેલ કે મૃત્યુદંડની સજા આપવામાં આવે છે. તેમ છતાં, વિદ્યાર્થીઓનું આ રીતે રસ્તા પર ઉતરવું એ વાતનો સંકેત છે કે હવે યુવા પેઢીમાં સરકારનો ડર ઓછો થઈ રહ્યો છે. ‘બસીજ’ જેવા અર્ધલશ્કરી દળોના દમન છતાં વિદ્યાર્થીઓ પાછળ હટવા તૈયાર નથી. માનવાધિકાર સંગઠનોના મતે, આ આંદોલનોમાં અત્યાર સુધીમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા છે, છતાં વિદ્રોહની આગ ઠરવાનું નામ નથી લેતી.
અમેરિકા સાથેનો તણાવ અને પરમાણુ સમજૂતી
આ આંતરિક વિદ્રોહ એવા સમયે થયો છે જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે ઈરાન ઘેરાયેલું છે. ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપી છે કે જો પરમાણુ સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં નહીં આવે તો “ખૂબ જ ખરાબ પરિણામો” આવશે. આગામી ગુરુવારે જિનીવામાં આ મુદ્દે વાતચીત થવાની છે. એક તરફ બહારથી અમેરિકાનું દબાણ અને બીજી તરફ ઘર આંગણે યુવા પેઢીનો આક્રોશ – ખામેનેઈ સરકાર અત્યારે બેવડી મુસીબતમાં ફસાઈ છે.
માનવીય નુકસાનના આંકડા
મુજબ, તાજેતરના પ્રદર્શનો અને સરકારી કાર્યવાહીમાં અત્યાર સુધીમાં આશરે 7,015 લોકોના મોત થયા છે. જોકે, ઈરાન સરકાર આ આંકડાઓને હંમેશા નીચા બતાવે છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ સ્પષ્ટ કર્યું છે કે ઈરાન કોઈ પણ બાહ્ય હુમલાનો જડબાતોડ જવાબ આપશે, પરંતુ સવાલ એ છે કે પોતાના જ દેશના નારાજ યુવાનો સાથે સરકાર કેવી રીતે પનારો પાડશે?

