‘સ્ત્રીના શરીર અને પસંદગી પર પુરુષશાહીનું વર્ચસ્વ કેમ?’: સુપ્રીમ કોર્ટનો સમાજને આકરો સવાલ
ભારત આઝાદીના સાત દાયકા વટાવી ચૂક્યું છે. આપણે ટેકનોલોજી, અર્થતંત્ર અને શિક્ષણમાં હરણફાળ ભરી છે, પરંતુ શું સ્ત્રીઓ ખરેખર સ્વતંત્ર છે? સુપ્રીમ કોર્ટે એક ચુકાદા દરમિયાન જે સવાલો ઉઠાવ્યા છે તે દરેક ભારતીય નાગરિકને આત્મમંથન કરવા મજબૂર કરે છે. જસ્ટિસ સંજય કરોલ અને જસ્ટિસ એન. કોટીશ્વર સિંહની બેન્ચે નોંધ્યું કે, ભારતમાં લિંગ સમાનતા માટે કડક કાયદાઓ અને અનેક પ્રગતિશીલ ચુકાદાઓ હોવા છતાં, પિતૃસત્તાક માનસિકતા (Patriarchy) આજે પણ સમાજના મૂળમાં ઉંડે સુધી ઘર કરી ગઈ છે.
સંવિધાનના આદર્શો અને વરવી વાસ્તવિકતા વચ્ચેની ખાઈ
અદાલતે કહ્યું કે ભારતનું બંધારણ સમાનતા, ભેદભાવમુક્ત વાતાવરણ અને જીવન જીવવાની સ્વતંત્રતાની ખાતરી આપે છે. પરંતુ, જ્યારે કોઈ પત્નીને તેના જ ઘરમાં દહેજ માટે કે અન્ય ક્ષુલ્લક કારણોસર સળગાવી દેવામાં આવે છે, ત્યારે બંધારણીય અધિકારો માત્ર કાગળ પર રહી ગયા હોય તેવું લાગે છે. કોર્ટે પ્રશ્ન કર્યો કે, “આટલા બધા વર્ષો પછી પણ મહિલાઓના શરીર, તેમની પસંદગી અને તેમના જીવન પર નિયંત્રણ રાખવાની વૃત્તિ સમાજમાં આટલી ઊંડે સુધી કેમ વ્યાપેલી છે?”
આ કેસ રાજસ્થાનનો છે, જ્યાં એક પતિએ ઘરકંકાસ અને દહેજની લાલચમાં પોતાની પત્ની પર કેરોસીન છાંટી તેને આગ ચાંપી દીધી હતી. કોર્ટે આ ઘટનાને માત્ર એક ગુનો નહીં, પણ સમાજમાં વ્યાપ્ત ‘પિતૃસત્તાક રોગ’નું લક્ષણ ગણાવ્યું છે.
આંકડાકીય આઘાત: કાયદો છે પણ ડર નથી
સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં આંકડાઓ ટાંકીને જણાવ્યું કે પરિસ્થિતિ કેટલી ગંભીર છે. વર્ષ 2023માં મહિલાઓ વિરુદ્ધ 4,48,000 થી વધુ ગુનાઓ નોંધાયા હતા. દહેજ સંબંધિત હિંસા આજે પણ દર વર્ષે 6,000 થી વધુ મહિલાઓનો ભોગ લે છે. અદાલતે આઘાત સાથે નોંધ્યું કે જે પ્રથાઓ દાયકાઓ પહેલા કાયદા દ્વારા નાબૂદ કરવામાં આવી છે, તે આજે પણ કોઈને કોઈ સ્વરૂપે અસ્તિત્વમાં છે.
સૌથી વિરોધાભાસી બાબત એ છે કે મહિલાઓ માટે ઘર સૌથી સુરક્ષિત જગ્યા હોવી જોઈએ, પરંતુ આંકડા દર્શાવે છે કે મોટાભાગની હિંસા ‘ઘરની ચાર દીવાલ’ની અંદર જ થાય છે. ડોમેસ્ટિક વાયોલન્સ (ઘરેલું હિંસા) ની ફરિયાદો આજે પણ ટોચ પર છે.
પ્રગતિનો વિરોધાભાસ: ભણેલા સમાજમાં ગણેલી અસમાનતા
કોર્ટે એક ‘પેરાડોક્સ’ (વિરોધાભાસ) તરફ ધ્યાન દોર્યું. એક બાજુ મહિલાઓની સાક્ષરતા વધી રહી છે, તેઓ આર્થિક રીતે સધ્ધર બની રહી છે અને શિક્ષણ તથા નોકરીઓમાં તેમની ભાગીદારી વધી રહી છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં લિંગ ભૂમિકાઓ બદલાઈ રહી છે. પરંતુ, દેશના મોટાભાગના ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારોમાં સ્થિતિ હજુ પણ જેવી છે તેવી જ છે.
અદાલતે નિરીક્ષણ કર્યું કે, “ઘરની અંદર સત્તા આજે પણ મોટાભાગે પુરુષોના હાથમાં છે. મહિલાઓની સ્વાયત્તતા ઘણીવાર શરતી હોય છે.” એટલે કે, સ્ત્રીને નોકરી કરવાની છૂટ મળે છે, પણ ઘરના નિર્ણયો કે પોતાના શરીર પર તેનો અધિકાર આજે પણ મર્યાદિત છે. કામકાજી મહિલાઓ પર ઘરકામનો બોજ પણ અપ્રમાણસર છે.
હિંસા એ કોઈ છૂટીછવાઈ ઘટના નથી
સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે મહિલાઓ પર થતા અત્યાચારોને આપણે ‘છૂટીછવાઈ ઘટના’ તરીકે ન જોવી જોઈએ. આ ગુનાઓ એક ઊંડી માળખાગત સમસ્યાનું પરિણામ છે. જ્યારે કોઈ પત્નીને સળગાવવામાં આવે છે, ત્યારે તે માત્ર એક ગુનેગારની વિકૃતિ નથી, પરંતુ એક એવા સામાજિક વ્યવસ્થાનો પુરાવો છે જે સ્ત્રીને પુરુષની મિલકત સમજે છે.

