NCERT પુસ્તક વિવાદ: સરકારની માફી છતાં CJI લાલઘૂમ, કહ્યું- ‘ત્યાં સુધી સંતોષ નહીં થાય જ્યાં સુધી…’
NCERTના ધોરણ 8 ના સામાજિક વિજ્ઞાનના પુસ્તકમાં ‘ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર’ નામના પ્રકરણને લઈને ગુરુવારે (26 ફેબ્રુઆરી, 2026) સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન દેશના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંત અત્યંત નારાજ જોવા મળ્યા હતા. સરકાર વતી સોલિસિટર જનરલ (SG) તુષાર મહેતાએ આ ભૂલ માટે બિનશરતી માફી માંગી હતી, પરંતુ CJI એ તેને પૂરતી ગણાવી ન હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે આ કોઈ સામાન્ય ભૂલ નથી, પરંતુ એક સુનિયોજિત કાવતરું છે.
ન્યાયતંત્ર પર નિશાન સાધવામાં આવ્યું છે: CJI
સુનાવણી દરમિયાન CJI સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વિપુલ એમ. પંચોલીની બેંચ સમક્ષ SG તુષાર મહેતાએ દલીલ કરી હતી કે આ પ્રકરણ તૈયાર કરનારા બે લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે અને તેમને ભવિષ્યમાં કોઈ પણ સરકારી મંત્રાલય કે UGCમાં કામ કરવા દેવામાં આવશે નહીં.
જોકે, CJI આ દલીલથી સહમત થયા ન હતા. તેમણે સખત શબ્દોમાં કહ્યું, “તમે જે કહી રહ્યા છો તે તો આ લોકો માટે વધુ સરળ થઈ જશે કે કોઈ પણ મોટી સજા વગર તેમને છોડી દેવામાં આવે. તેમણે ન્યાયતંત્ર પર ગોળી ચલાવી છે અને આજે ન્યાયતંત્ર લોહી વહાવી રહ્યું છે.” CJI એ વધુમાં ઉમેર્યું કે આ મામલે વિભાગ પહેલા બચાવ કરી રહ્યો હતો, જે ગંભીર બાબત છે.
ઓનલાઇન કન્ટેન્ટ હટાવવાની માંગ
સુનાવણી દરમિયાન સિનિયર એડવોકેટ કપિલ સિબ્બલ અને જસ્ટિસ બાગચીએ ધ્યાન દોર્યું હતું કે આ વિવાદિત પ્રકરણનો મોટો ભાગ હજુ પણ ડિજિટલ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. એડવોકેટ અભિષેક મનુ સિંઘવીએ પણ કહ્યું કે પુસ્તકોની હાર્ડ કોપી કરતા ઓનલાઇન કન્ટેન્ટ વધુ લોકો સુધી પહોંચી રહ્યું છે. સરકારે કોર્ટને ખાતરી આપી હતી કે બજારમાં ગયેલા પુસ્તકો પરત ખેંચી લેવામાં આવ્યા છે અને ઓનલાઇન મટીરીયલ હટાવવા માટે પણ કાયદેસરની સત્તાનો ઉપયોગ કરવામાં આવશે.
શિક્ષણ જગતમાં ખોટો સંદેશ જશે
મુખ્ય ન્યાયાધીશે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, “માત્ર માફી માંગી લેવી અને પ્રકરણ હટાવી લેવું પૂરતું નથી. આ પુસ્તક બજારમાં પહોંચી ચૂક્યું છે. બાળકો સિવાય શિક્ષકો અને વાલીઓ પણ તેને વાંચશે. આખા શૈક્ષણિક સમુદાયને એવું જ શીખવવામાં આવશે કે ભારતીય ન્યાયતંત્ર ભ્રષ્ટ છે અને ઘણા કેસો પેન્ડિંગ છે. આ ન્યાયતંત્રની છબી ખરડવાનું એક યોજનાબદ્ધ પગલું છે.”
તપાસ ચાલુ રહેશે
અંતમાં CJI સૂર્યકાંતે કડક વલણ અપનાવતા કહ્યું કે તેઓ આ સુનાવણી અત્યારે બંધ કરવાના નથી. તેમણે આદેશ આપ્યો કે આ પ્રકરણ પાછળ ખરેખર કોણ છે અને તેનો ઉદ્દેશ્ય શું હતો તેની ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ. તેમણે ભારપૂર્વક કહ્યું, “અમે જ્યાં સુધી આ તપાસથી સંતુષ્ટ નહીં થઈએ, ત્યાં સુધી આ મામલો ચાલતો રહેશે.”

