NCERT વિવાદ પર સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ફેંસલો: વિવાદાસ્પદ પ્રકરણ લખનારાઓ પર તરાપ
NCERTના પાઠ્યપુસ્તકોમાં ન્યાયતંત્ર સાથે જોડાયેલા વિવાદાસ્પદ પ્રકરણના મામલે સુપ્રીમ કોર્ટે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. ચીફ જસ્ટિસની બેન્ચે આ મામલે માત્ર નારાજગી જ વ્યક્ત નથી કરી, પરંતુ ભવિષ્યમાં શિક્ષણ અને ન્યાયતંત્ર વચ્ચેના તાલમેલને લઈને એક નવી રૂપરેખા પણ નક્કી કરી છે. અદાલતે વિવાદાસ્પદ અંશો લખનારાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાના આદેશો જારી કર્યા છે.
લેખકો પર ‘પ્રતિબંધ’ અને સરકારી પ્રોજેક્ટ્સમાંથી હકાલપટ્ટી
સુપ્રીમ કોર્ટે પાઠ્યપુસ્તકોમાં ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર સાથે જોડાયેલા પ્રકરણને તૈયાર કરનાર ત્રણ મુખ્ય વ્યક્તિઓ વિરુદ્ધ સીધા પગલાં લેવા નિર્દેશ આપ્યો છે. અદાલતે પ્રોફેસર મિશેલ ડેનિનો, સુપર્ણા દિવાકર અને આલોક પ્રસન્ન કુમારને તાત્કાલિક અસરથી તમામ સરકારી પ્રોજેક્ટ્સ અને જાહેર ભંડોળ સાથે જોડાયેલી જવાબદારીઓમાંથી મુક્ત કરવા આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે આ વ્યક્તિઓને ભવિષ્યમાં અભ્યાસક્રમ તૈયાર કરવાની કોઈ પણ પ્રક્રિયામાં સામેલ કરવા જોઈએ નહીં.
નવો અભ્યાસક્રમ અને નિષ્ણાત સમિતિની રચના
કોર્ટે કેન્દ્ર સરકાર અને NCERTને આદેશ આપ્યો છે કે જો ‘Chapter IV’ (પ્રકરણ-4) ફરીથી લખવામાં આવ્યું હોય, તો નિષ્ણાત સમિતિની મંજૂરી વગર તેને પ્રકાશિત ન કરવું. ન્યાયતંત્ર સાથે સંબંધિત અભ્યાસક્રમ માટે સરકારે એક અઠવાડિયામાં ઉચ્ચ સ્તરીય સમિતિ બનાવવી પડશે. આ સમિતિમાં નીચે મુજબના સભ્યોનો સમાવેશ કરવા સૂચન અપાયું છે:
- એક વરિષ્ઠ નિવૃત્ત ન્યાયાધીશ
- એક અગ્રણી વિદ્વાન (Scholar)
- એક પ્રતિષ્ઠિત વકીલ અથવા ન્યાયશાસ્ત્રી
મીડિયા અને ટીકા અંગે કોર્ટની કડક ટિપ્પણી
અદાલતે સ્પષ્ટતા કરી છે કે આ નિર્ણય ન્યાયતંત્રની રચનાત્મક આલોચના પર રોક લગાવવા માટે નથી. જોકે, આ મામલે સંવેદનહીન અને અપમાનજનક ટિપ્પણી કરનારા મીડિયા સંસ્થાઓ સામે કોર્ટ કડક મૂડમાં છે. સરકારને એવા મીડિયા વર્ગોની ઓળખ કરવા માટે કહેવામાં આવ્યું છે જેમણે ન્યાયતંત્રની ગરિમાને ઠેસ પહોંચાડી હોય. કોર્ટે ચેતવણી આપી છે કે આવા લોકો ભલે દેશમાં હોય કે વિદેશમાં, તેમની સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.

