ભાજપ નેતાના દબાણ સામે પાલિકાનું ‘સુરાતન’ ગાયબ! કતારગામમાં 2 કલાકમાં થયો મોટો ખેલ
સુરત મહાનગરપાલિકાનું તંત્ર જ્યારે કોઈ સામાન્ય નાગરિકના ઘર પર બુલડોઝર ફેરવે છે, ત્યારે તેની કડકાઈ જોવા જેવી હોય છે. પણ જ્યારે વાત સત્તાધારી પક્ષના રાષ્ટ્રીય કક્ષાના નેતાની આવે, ત્યારે આ જ તંત્રના તેવર બદલાઈ જાય છે. તાજેતરમાં સુરતના કતારગામ વિસ્તારમાં જે ઘટના સામે આવી છે, તેણે ફરી એકવાર સાબિત કરી દીધું છે કે કાયદો સૌ માટે સમાન નથી. માત્ર બે કલાકની આ ‘રમતે’ પાલિકા તંત્રની પારદર્શિતા અને નિષ્પક્ષતા સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે.
શું હતી સમગ્ર ઘટના?
કતારગામ વિસ્તારમાં આવેલ સિંગણપોર વિસ્તારમાં સુરત મહાનગરપાલિકાની તોડફોડ (ડીમોલ્યુશન) ટીમે એક ગેરકાયદેસર પતરાનું બાંધકામ તોડી પાડ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન પાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓએ ભારે ઉત્સાહ સાથે પતરાં હટાવ્યા, સામાન જપ્ત કર્યો અને તેને પાલિકાની ગાડીમાં ભરીને લઈ ગયા. આ દ્રશ્યો જોઈને લાગ્યું કે તંત્ર પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી રહ્યું છે. જોકે, આ આખી કાર્યવાહી માત્ર એક ‘દેખાડો’ સાબિત થવાની હતી, જેનો ખેલ પડદા પાછળ ચાલી રહ્યો હતો.
View this post on Instagram
એક કલાક અને 51 મિનિટનો રાજકીય ખેલ
ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જે અત્યંત ચોંકાવનારા છે. જે બાંધકામ તોડીને સામાન જપ્ત કરવામાં આવ્યો હતો, તે ભાજપના રાષ્ટ્રીય કિસાન મોરચાના મહામંત્રી બાબુ જેબલિયાના ફ્લેટનું હતું. પાલિકાની ટીમ સામાન લઈ ગઈ તેના ગણતરીના સમયમાં જ રાજકીય ફોનનો દોર શરૂ થયો હોવાનું જણાય છે. સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ દેખાય છે કે, જે સામાન જપ્ત કરીને પાલિકાના અધિકારીઓ લઈ ગયા હતા, તે માત્ર એક કલાક અને 51 મિનિટની અંદર ફરી એ જ જગ્યાએ પરત મૂકી દેવામાં આવ્યો.
સરકારી ગાડીમાં લાવેલો સામાન તે જ જગ્યાએ પાછો ઉતારવામાં આવ્યો અને પાલિકાના અધિકારીઓ જાણે કંઈ બન્યું જ ન હોય તેમ ત્યાંથી રવાના થઈ ગયા. આટલી ઝડપથી તંત્રનું સરેન્ડર થવું તે કાયદાના શાસન પર મોટો પ્રશ્નાર્થ ચિન્હ છે.
બેવડા ધોરણો અને સામાન્ય પ્રજાની લાચારી
સુરત મનપાની કામગીરી પર ઉઠેલા સવાલો વ્યાજબી છે. એક તરફ નાસીર નગર જેવા વિસ્તારોમાં જ્યારે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના મકાનો તોડવાની વાત આવે છે, ત્યારે પાલિકાના અધિકારીઓ પોતાનું પૂરેપૂરું ‘સુરાતન’ બતાવે છે. ત્યારે તેઓ કાયદાનું પાલન કરાવવામાં કોઈ કસર છોડતા નથી અને સામાન્ય લોકોની આજીવિકા કે આશરો છીનવતા જરા પણ અચકાતા નથી.
પરંતુ, જ્યારે વાત ભાજપના નેતા કે વગદાર વ્યક્તિના ગેરકાયદે બાંધકામની આવે, ત્યારે આ જ અધિકારીઓ નતમસ્તક થઈ જાય છે. શું કાયદો માત્ર સામાન્ય નાગરિકો માટે જ છે? શું સત્તા પક્ષના નેતાઓ કાયદાની ઉપર છે? આ ઘટનાએ સુરતના સામાન્ય નાગરિકોના મનમાં પાલિકા પ્રત્યે રોષ પેદા કર્યો છે.
અધિકારીઓની લાચારી કે રાજકીય દબાણ?
આ સમગ્ર પ્રકરણમાં પાલિકાના અધિકારીઓની ભૂમિકા શંકાના દાયરામાં છે. જો બાંધકામ ગેરકાયદે હતું, તો તે તોડ્યા પછી સામાન પાછો મૂકવાની ફરજ કોણે પાડી? શું અધિકારીઓ એટલા લાચાર છે કે તેઓ રાજકીય નેતાઓના ઈશારે ગમે તે કરવા તૈયાર થઈ જાય છે?
આ ઘટના દર્શાવે છે કે પાલિકાના તંત્રમાં રાજકીય હસ્તક્ષેપ કેટલો ગંભીર છે. અધિકારીઓ ભલે ગમે તેટલી સફાઈ આપે, પણ સીસીટીવીમાં કેદ થયેલા દ્રશ્યો જૂઠું બોલતા નથી. આ કિસ્સો સુરત મનપાની પોલ ખોલી નાખવા માટે પૂરતો છે. આજે બાબુ જેબલિયાના ફ્લેટ માટે નિયમો બાજુ પર મુકાયા, તો આવતીકાલે અન્ય નેતાઓ માટે પણ આવું જ થશે.