સુરત : ઉમરપાડાના અંતરિયાળ વિસ્તારમાં ખેતી કરતાં આદિવાસી ખેડૂતોને જૈવિક ખેતી, ટપક સિંચાઇ પધ્ધતિ, જીવાત નિયંત્રણ જેવા ખેતી અંગેના વિવિધ મુદ્દાઓને આવરી લઈને એક જાગૃતિ શિબિર સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના ચોખવાડા ગામ ખાતે યોજાઇ હતી. અદાણી ફાઉન્ડેશન, હજીરા દ્વારા આયોજિત આ ખેડૂત જાગૃતિ કાર્યક્રમમાં નવસારી યુનિવર્સિટી અંતર્ગત ચાલતા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સુરતના કૃષિ વૈજ્ઞાનિક, જીજીઆરસી અને અન્ય નિષણાંત વકતાઓએ ખેતી વિષયક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને ખેડૂતોના પ્રશ્નોના ઉત્તર આપ્યા હતા.
ખેડૂત જાગૃતિ અંગેના આ કાર્યક્રમમાં ઉમરપાડાના ચોખવાડા ગામના ખેડૂતોએ હાજર રહીને માર્ગદરશન મેળવ્યું હતું. કાર્યક્રમમાં નવસારી યુનિવર્સિટી અંતર્ગત ચાલતા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, સુરતના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડો.જનકભાઈ રાઠોડ, સુનિલ ત્રિવેદી, ભરતભાઇ અને જીજીઆરસી, વડોદરાના સંદીપ પંચાલ દ્વારા ગાય આધારિત પ્રાકૃતિક ખેતી, ખેતીમાં આવતી વિવિધ જીવાત નિયંત્રણ, ઉમરપાડા તાલુકા માં થતાં ડાંગર, મગ, તલ, મગફળી અને શેરડીમાં ખર્ચ ઘટાડી ઉત્પાદન કઈ રીતે વધારી શકાય તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
ખેડૂત જાગૃતતા કાર્યક્રમમાં ચોખવાડા ગામના સરપંચ, સભ્ય સહિત ખેડૂત અને પશુપાલકો ભાઈયો અને બહેનો હાજર રહ્યા હતા. હાજર સૌ ખેડૂતોને નવસારી કૃષિ યુનિવર્સિટીના કેવિકે,સુરત દ્વારા સેંદ્રિય પ્રવાહી પોષક તત્વો થી ભરપૂર નોવેલ નામની દવાની બોટલ નું વિતરણ કરવામાં આવ્યું હતું.