સુરત મહાનગર પાલિકા ખાતે મળેલી સાંસદ, ધારાસભ્યોની સંકલન બેઠકમાં દારૂનો મુદ્દો ગાજયો હતો.
વરાછા વિસ્તારમાં ધરમનગર, નર્મદ નગર, જમના નગર ખાતેના શાંતિકુંજ વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો હોય અહીં દારૂની બોટલો મળી આવે છે ઉપરાંત રાત્રી દરમિયાન ગાર્ડનમાં દારૂડિયા રાવટીઓ જમાવતા જમાવતા હોય લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવા ધારાસભ્ય કુમાર કાનાણીએ રજૂઆત કરતા આ વિસ્તારમાં છૂટથી દારૂ મળતો હોવાની અને કોઈ કાર્યવાહી થતી નહિ હોવાની વાત સપાટી ઉપર આવી છે.
સાથેજ ધારાસભ્ય કુમાર કાનાણી દ્વારા છ મહિનાથી વરાછા ચીકુવાડી બ્રિજનું કામ બંધ હોવા મુદ્દે ઉગ્ર રજૂઆત કરી ઝડપથી કામગીરી પૂર્ણ કરવા કહ્યું હતું.
મહત્વનું છે કે બ્રિજની કામગીરી પૂર્ણ નહિ થતાં આજની બેઠકમાં વરાછા વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાનાણીએ આ અંગે ઉગ્ર રજૂઆત કરી બ્રિજની કામગીરી ક્યારે પૂર્ણ થશે તેનો લેખિતમાં જવાબ આપવા જણાવ્યું હતું.