સુરતમાં રાજહંસ ગ્રુપે બેન્કનું કરોડોનું બૂચ માર્યું હોવાનું સામે આવતા ભારે હોહા મચી છે.
બેંક ઓફ બરોડા પાસેથી રાજહંસ ગ્રુપે 76 કરોડ રૂપિયાની ઠગાઇ કરતા ઠગ ટોળકી સામે સીબીઆઈ તપાસ શરૂ કરી છે.
બેંક પાસેથી લોન લઇને બૂચ મારવાનું પ્રકરણ સુરતમાં ભારે ગાજયું છે.
સંજય મોવલિયાએ તેમના ભાગીદારોએ સાથે મળીને બેંક ઓફ બરોડામાંથી 76 કરોડ રૂપિયાની લોન લીધા બાદ ફક્ત પાંચ કરોડ રુપિયા ભરી બાકીના પૈસા નહિ આપતા મામલો હવે સીબીઆઈ સુધી પહોંચ્યો છે.
સંજય મોવલિયાના પાર્ટનર પુખરાજ ગોકુલચંદ શાહ, આશિષ અજિત જૈન અને બેંકના અજાણ્યા જાહેર સેવકો અને ખાનગી વ્યક્તિઓને આરોપીઓ તરીકે દર્શાવવામાં આવ્યા છે.
જોકે,સુરત કલેકટર દ્વારા રાજહંસ ગ્રુપ સામે ફેબ્રુઆરી માસમાં જ કાર્યવાહીની સૂચના આપી દેવામાં આવી હતી.
બેંકમાંથી 84.95 કરોડની ડેવલોપમેન્ટ એન્ડ કંસ્ટ્રક્શન લોન મેળવ્યા બાદ માત્ર 5 કરોડની ભરપાઈ કરી બાકીની રકમ નહિ ભરતા 2020માં બેંકે ગ્રુપને નોટિસ આપી હતી, તેમ છતાં ચૂકવણી થઈ નથી.
આ ટોળકી સામે બેંક ઓફ બરોડાએ 2020માં નોટિસ ફટકારી હતી. પરંતુ રૂપિયાની ભરપાઇ નહી કરતા હવે રાજહંસ ગ્રુપ સામે સરફેસી એકટ હેઠળ કાર્યવાહીની સૂચના આપવામાં આવી છે.
જિલ્લા કલેકટર તરફથી મંજૂરી મળ્યા બાદ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. બેંક ઓફ બરોડાના આસિસ્ટન્ટ જનરલ મેનેજર ભોલાનાથ ત્રિવેદીએ દિલ્હી CBIમાં ફરિયાદ નોંધાવતા આ ઠગાઈ પ્રકરણમાં ચિટિંગ કરનારાઓ સામે ગુનો નોંધાયો છે અને તપાસ શરૂ થતાં ભર શિયાળે સંબંધીત વર્તુળોમાં પરસેવો છૂટી રહ્યાનું કહેવાય છે.