સુરત શહેરમાં મુશળધાર વરસાદ થવાના કારણે કતારગામ, ડભોલી, સ્વામી વિવેકાનંદ સર્કલ, કાદરશાની નાળ અને પાલનપુર વિસ્તારની કેટલીક સોસાયટીઓમાં પાણી ભરાયા હોવાના અહેવાલ છે.
વરસાદને કારણે સુરતમાં કેટલાય વિસ્તારમાં ઘુટણસમા પાણી ભરાઈ ગયા છે.
કોર્પોરેશનની ટીમ જે વિસ્તારમાં પાણીનો ભરાવો થઈ રહ્યો છે, ત્યાં જઈને ગટરના ઢાંકણું ખોલવાનું શરૂ કર્યું છે.
હજી પણ શહેરમાં વરસાદ વરસી રહ્યો હોય કોર્પોરેશન દ્વારા અલગ અલગ ઝોનમાં પાણીના નિકાલ માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે.
સુરતના બેગમપુરા સ્થિત હાથી ફળિયા ખાતે આવેલ જર્જરિત એક મકાનનો પતરાનો શેડનો ભાગ આજે તૂટી પડ્યો હતો. ઉપરના ભાગે પતરાના શેડનો કાટમાળ નીચે પડ્યો હતો.
આજે પણ સુરત શહેરમાં વહેલી સવારથી વરસાદી માહોલ છે. કાળા ડીબાંગ વાદળો સાથે વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. આ ઉપરાંત સુરતનો વિયરકમ કોઝવે પણ ઓવરફલો થતા વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે.
બારડોલીથી વહેતી મિઢોળા નદીના ઉપરવાસમાં ભારે વરસાદ અને ડોસવાડા ડેમમાંથી છોડાયેલા પાણીનો પ્રવાહ વધતાં બારડોલીના રામજી મંદિર પાછળ પાછળ આવેલ લો લેવલ કોઝવે પુલના તળિયાના ભાગે પાણી અડી ગયા હતા જેથી સુરક્ષાને ધ્યાને રાખી પાલિકાએ આ બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ કરાવ્યો હતો નદીના પાણીનું લેવલ ઊંચું જતા બારડોલી ના રામજી મંદિર પાછળ આવેલ નુર નગર, તલાવડી સહીત બારડોલી કોર્ટ સામે આવેલ ખાડા વસાહત ઝુપડપટ્ટીઓમાં પાણી ભરાતા આશરે 60 થી 70 ઘરોમાં પાણી ભરાયા હતા