સુરત શહેરને આ વર્ષે સ્વચ્છતામાં બીજો ક્રમ મળતાં જ તંત્ર જાણે સ્વચ્છતા (cleanliness) કરવાનું ભૂલી ગયું છે. સુરતે સ્વચ્છતામાં પાછલાં બે વર્ષ સતત પછડાટ ખાધી હતી અને ત્યારબાદ સ્વચ્છતામાં બીજો ક્રમ આવતાં શાસકો તેમજ મનપા તંત્રએ પણ ખૂબ વાહવાહી મેળવી હતી. પરંતુ શહેરમાં ડોર-ટુ-ડોરની ગાડીઓ (Door to Door Garbage) જે-તે વિસ્તારમાં સમયસર ફરી રહી નથી અને કચરો ઊંચકવાની કામગીરી જાણે ભૂલી ગયા છે. શહેરમાં ઠેકઠેકાણે કચરાના ઢગ ત્રણ-ચાર દિવસ સુધી પડી રહેવા છતાં કોઈ કચરો ઊંચકવા આવી રહ્યું નથી. જેથી જે-તે વિસ્તારમાં સ્થાનિકો (Citizens) પણ ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. શહેરમાં અડાજણ પાટિયા વિસ્તારમાં મનપાના સ્પોર્ટસ કોમ્પ્લેક્સ પાસે જ ઘણા દિવસથી કચરાના ઢગ જેમને તેમ પડી રહેતાં સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે. અને ફરિયાદો (Complain) કરવા છતાં મનપાના અડાજણ વિસ્તારના એસ.આઈ. ટસના મસ થઈ રહ્યા નથી.
શહેરના અડાજણ પાટિયા વિસ્તારમાં શિશુવિહાર શાળાની ગલીમાં, જશવંતીનગરની સામે, ઈશ્વરકૃપા સોસાયટી, ગીરીરાજ સોસાયટી આ તમામ સ્થળોએ છેલ્લા ઘણા દિવસથી કચરાના ઢગ પડેલા છે. રસ્તા પર જ કચરાના ઢગ પડી રહેતાં વાહનચાલકોને પણ પરેશાની થઈ રહી છે. સાથે સાથે સ્થાનિકો પણ ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. એકબાજુ શાસકો સ્વચ્છ સુરતના નારા લગાવતા થાકી રહ્યા નથી. તો બીજી બાજુ શહેરીજનો રસ્તા પર પડી રહેલા કચરાના ઢગને કારણે પરેશાન થઈ રહ્યા છે. સ્થાનિક નગરસેવકો દ્વારા મનપા કમિશનરને પણ આ અંગે ફરિયાદો કરવામાં આવી છે. પરંતુ સમસ્યાનો નિવેડો આવી રહ્યો નથી. અડાજણ પાટિયા વિસ્તારના એસ.આઈ. પોતાની મરજી પ્રમાણે કામ કરવાવાળા હોવાથી કોઈને ગાંઠતા નથી. અને તેથી જ અડાજણ પાટિયા વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય થઈ રહ્યું છે.
ભેસ્તાનમાં રસ્તા ઉપર ગંદા પાણી ભરાતાં મચ્છરોનો ઉપદ્રવ
ઉધના ઝોનમાં ભેસ્તાન વિસ્તારમાં વડોદ પાસે સાઈ મોહન રો-હાઉસ પાસે રસ્તા પર છેલ્લા કેટલાક દિવસોથી પાણીનો ભરાવો થતાં મચ્છરોનો ઉપદ્વવ થઈ રહ્યો છે. પાણીનો નિકાલ યોગ્ય રીતે ન થતાં રસ્તા પર જ પાણી જમા થઈ રહ્યું છે. જેથી રસ્તા પર લીલ જામી ગઈ છે તેમજ મચ્છરોનો ઉપદ્વવ પણ થઈ રહ્યો છે. જેના કારણે સ્થાનિક લોકોમાં રોગચાળો ફેલાવવાની પણ ભીતિ વકરી રહી છે. ઘણી રજૂઆતો કરવા છતાં પણ રસ્તા પરના પાણીનો યોગ્ય નિકાલ કરવામાં આવી રહ્યો નથી. જેથી સ્થાનિકો પણ રોષે ભરાયા છે. એકબાજુ કોરોના મહામારીને કારણે લોકો હોસ્પિટલના ધક્કા ખાઈ રહ્યા છે. તો બીજી બાજુ ચોમાસામાં વરસાદના પાણી ભરાવાને કારણે પણ શહેરીજનો બીમાર પડી રહ્યા છે. તંત્ર દ્વારા કામ ન કરાતાં પ્રજાજનોમાં રોષ ફાટી નીકળ્યો છે.