સુરતમાં ભવાની વડમાં આવેલી આંબાના હૂલામણા નામથી જાણીતી આંગડીયા પેઢીની ઓફિસ ત્રણ દિવસથી ન ખુલતાં માર્કેટમાં તરેહ તરેહની ચર્ચાઓએ જોર પકડ્યું છે. કથિત રીતે આંગડીયા પેઢીએ 350 કરોડથી 400 કરોડમાં ઉઠમણું કરી લીધું છે. જેથી હીરા ઉદ્યોગના પાર્સલો પણ અટવાયા છે. હીરા ઉદ્યોગના માલ આ પેઢીથી થકી આવતો હોવાથી તેણે ઉઠમણું કરી લેતા હીરા ઉદ્યોગને પડ્યા પર પાટા સમાન સ્થિતિ સર્જાઈ તેવી સ્થતિ થઈ છે.
સુરતની વર્ષો જૂની આંગડીયા પેઢીએ ઉઠમણું કર્યું હોવાની ચર્ચાએ વેગ પકડતા હીરા ઉદ્યોગમાં ભૂકંપ આવ્યો છે. સુરતના ભવાની વાડ વિસ્તારમાં આવેલી આંગડીયા પેઢીએ ઉઠમણું કર્યું હોવાની વાત વાયુવેગે ફેલાતા પેઢીની ઓફીસ પર લોકોનો જમેલો જામ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
હીરા ઉદ્યોગમાં ચાલી રહેલી ચર્ચા મુજબ આંગડીયા પેઢીએ એક હજાર કરોડમાં ઉઠમણું કર્યું છે. સૌથી જૂની આંગડીયા પેઢી હોવાનું માનવામાં આવે છે. સુરત સહિતના અન્ય શહેરોમાં આવેલી પેઢીની ઓફિસો પર તાળા લાગી ગયેલા જોવા મળી રહ્યા છે. આંગડિયા પેઢીના સંચાલકો ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે. શહેરના હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા મોટા માથાઓના રૂપિયા સલવાયા હોવાની ચર્ચા ચાલી રહી છે.
આંગડિયા પેઢી નોટબંધી વખતે ભીંસમાં આવી હતી. તે સમયે લેણદારોને 40થી 45 ટકામાં સમાધાન કરવાની ફરજ પડી હતી. એવી ચર્ચાઓ આજે પણ શરૂ થઈ છે. જો કે હજુ સુધી ચિત્ર સ્પષ્ટ થયું નથી. અમુક લોકોનું માનવું છે કે કાચી પડેલી હીરાની કંપનીમાં રોકાણ કરવા જતાં આંગડીયા પેઢીને નુકસાન થયું છે.