રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી CM Vijay Rupani શનિવારે સુરત પહોંચ્યા હતા. તેમણે શહેરમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા કરી હતી. તેમની સાથે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ સુરત આવ્યા છે. તેમણે આ તબક્કે પ્રેસ કોન્ફરન્સને પણ સંબોધન કર્યું હતું. જેમાં તેમણે મહત્વની જાહેરાત કરતા કહ્યું હતું કે હાલ સુરતમાં સંપૂર્ણ લોકડાઉનની કોઈ યોજના નથી. પરંતુ સુરતની સ્થિતિ પર તંત્ર ચાંપતી નજર રાખશે. તેમણે કહ્યું હતું કે સુરતમાં 100 કરોડ રુપિયાના ખર્ચે બે કોવિડ હોસ્પિટલોનું નિર્માણ કરાશે. એટલું જ નહીં બે જ દિવસમાં સુરતમાં 200 વેન્ટીલેટર પહોંચાડવામાં આવશે. ઉપરાંત હવે સુરતની કોરોનાની સ્થિતિ અંગે દરરોજ સાંજે વીડિયો કોન્ફરન્સ દ્વારા સ્થિતિ પર નજર રાખી સમીક્ષા કરવા પણ જણાવ્યું હતું. બીજી તરફ મુખ્યમંત્રી સમક્ષ સાંસદ સી.આર.પાટીલે નવી સિવિલના જવાબદાર અધિકારી તરીકે ફૂલ ટાઈમ સુપ્રિન્ટેનડેન્ટની નિમણુંક કરવા માંગ કરી હતી.
સુરતની મુલાકાત બાદ CM રૂપાણીએ કરેલી મહત્વની જાહેરાત
- રૂ.100નાં ખર્ચે બે કોવિડ હોસ્પિટલનું નિર્માણ
- કોરોનાનાં દર્દીને અદ્યતન સારવાર અપાશે
- સુરતમાં 100 ધન્વતરી રથ 500 સ્થળોએ ફરશે
- સુરતમાં બે દિવસમાં 200 વેન્ટિલેટર પહોંચાડાશે
- કોરોના દર્દીને મોબાઇલ વાપરવાની અપાઇ છૂટ
- બેડ ઓછા હોય તેવી કયાંય ફરિયાદ નહીં આવે
- રોજ સાંજે વીડિયો કોન્ફરન્સથી સ્થિતિ પર સમીક્ષા
- સંક્રમણ રોકવા નિયમ નહીં પળાય તો ફેકટરી બંધ કરાશે
- ડાયમંડ-ટેક્ષટાઇલ ફેકટરી અંગે આગામી સમયમાં લેવાશે નિર્ણય
- મુખ્ય સચિવ કે. કૈલાસનાથન અને આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ પણ આ બેઠકમાં સામેલ રહ્યાં હતા. આ ઉપરાંત સુરત પાલિકા કમિશર, ધારાસભ્યો, આરોગ્ય કમિશનર, સરકારી હોસ્પિટલોના ડીન, સુપ્રીટેન્ડન્ટ, ડોક્ટરો પણ પહોંચ્યા હતા. તમામ લોકો સાથે સુરતની બગડતી જતી પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હતી. સુરત એરપોર્ટથી કલેક્ટર કચેરી પહોંચ્યા બાદ સુરત મહાનગર પાલિકા કમિશનર, અધિકારીઓ અને ડોક્ટરો Doctors સાથે બેઠક યોજાઈ હતી. બેઠકમાં તેમણે જે વિસ્તારોમાં વધુ કેસ આવી રહ્યાં છે તે વિસ્તારોની જાણકારી મેળવી હતી. સાથેજ સુરતમાં થઈ રહેલા ટેસ્ટિંગ, હોસ્પિટલોની સ્થિતિ, હોસ્પિટલોમાં કોરોના વોર્ડની જાણકારી મેળવી હતી. ઉપરાંત વધતાં કેસોને જોતા શહેરમાં વધુ બેડ અને વેન્ટીલેટરની સુવિધા બાબતે પણ પણ અધિકારીઓ પાસેથી માહિતી મેળવી હતી.