સુરતમાં આંજણા અને ભાઠેનામાં પીપી સ્કીમ લાગુ કરી ત્યાં 17 માળના ટાવરો બાંધી ઝુંપડપટ્ટી ખસેડવાના મામલે ભારે ઊહાપોહ થઈ રહ્યો છે. આ ઊહાપોહ અંગે સુરતના કોંગ્રેસ સાથે સંકળાયેલા જાણીતા વકીલ અને પીપી યોજનાની તરફેણ કરતા કોંગ્રેસના કોર્પોરેટર વચ્ચે છુટ્ટાહાથની મારામારી થઈ હોવાની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે. બન્ને જણાએ એકબીજાને માર માર્યો હોવાની વિગતો આધારભૂત સુત્રો પાસેથી જાણવા મળી છે. જોકે, હજુ સુધી બન્નેમાંથી એક પણ જણાએ પોલીસ ફરીયાદ કરી નથી.
હાલ આ ઘટનાને લઈ બન્ને આગેવાનોના કાર્યકરો વચ્ચે તણખલા ઝરી રહ્યા છે. પાછલા 6 મહિનાથી કોંગ્રેસના કોર્પોરેટર વિરુદ્વ વકીલે સોશિયલ મીડિયામાં એકપછી એક પોસ્ટ વાયરલ કરી હતી. સોશિયલ મીડિયા પર ચાલેલી જંગ હવે રસ્તા પર આવી ગઈ છે અને મારામારી સુધી પહોંચી ગઈ છે.
વકીલની પોસ્ટ જોતાં તેઓ પીપી સ્કીમમાં ઝુંપડાવાસીઓની તરફેણ કરી રહ્યા છે અને 17 માળના તોતીંગ ટાવરોનો વિરોધ કરી રહ્યા છે. વકીલનું કહેવું છે કે કોંગ્રેસના કોર્પોરેટર દ્વારા ભાજપ અને બિલ્ડર લોબી સાથે સાંઠગાંઠ રચી ગરીબ ઝુંપડાવાસીઓ સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે. ઝુંપડાવાસીઓને લોભ લાલચ આપી તેમના ઘરો લખાવી લેવામાં આવી રહ્યા છે અને જે જમીન ખાલી પડશે તેના પર માર્કેટો બનાવવાનું પ્લાનિંગ કરવામાં આવી રહ્યં છે.
બીજી તરફ કોંગ્રેસના કોર્પોરેટરે સોશિયલ મીડિયા પર જે વાતો લખી છે તે પ્રમાણે જોઈએ તેમનું કહેવું છે કે ટેનામેન્ટ જર્જરિત થઈ ગયા છે. ઝુંપડાવાસીઓને સુવિધા સાથેના ફલેટ મળશે. કોર્ટમાં પણ ઝુંપડાવાસીઓ હારી ગયા છે અને તમેને સ્ટે મળ્યો નથી. તેવામાં વકીલ અને તેના મળતીયાઓ દ્વારા ઝુંપડાવાસીઓને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે.
વકીલ અને કોંગ્રેસના નેતા વચ્ચેની લડાઈ ગઈ રાત્રે માનદરવાજા ખાતે મારા-મારીમાં પરિણમી હતી. પ્રથમ કોંગ્રેસના કોર્પોરેટરનો દાવો છે કે મેં વકીલને ખૂબ માર માર્યો છે અને તેની કિંમતી ટી-શર્ટ પણ ફાડી નાંખી છે જ્યારે વકીલનો દાવો છે કે કોંગ્રેસના કોર્પોરેટરને મેં માર માર્યો છે અને સ્થળ પરથી કોર્પોરેટરને ભાગી જવાની ફરજ પડી હતી.
સોશિયલ મીડિયા પર મારામારીની આ ઘટના વાયરલ થઈ છે. હવે આ ઘટના અંગે પોલીસ પોતે કોઈ કાર્યવાહી કરે છે કે કેમ તે એક પ્રશ્ન છે. ઘટના જોતાં ભવિષ્યમાં વધુ તણખા ઝરે એવી દહેશત ઉભી થઈ છે.