કોરોનાની મહામારીને કારણે પોઝિટિવ કેસના આધારે સુરત મહાપાલિકા દ્વારા નિયત કરવામાં આવેલા ક્લસ્ટર ઝોનમાં ગઈકાલે અન્ય વિસ્તારો બાદ આજે હોટસ્પોટ સમાન કોટ વિસ્તારના વિસ્તારોમાં પણ ક્લસ્ટરમાં ફેરફારો કરવામાં આવ્યા હતા. કોટવિસ્તારમાં અગાઉ નવ જ ક્લસ્ટર હતા પરંતુ તેનો વ્યાપ ઘણો જ મોટો હતો. આશરે સાડા ચાર લાખ લોકો ક્લસ્ટરમાં હતા. ક્લસ્ટરને જ મનપા દ્વારા કન્ટેન્મેન્ટ ઝોન બનાવી દેવામાં આવ્યા હોવાથી 90 ટકા જેટલા કોટવિસ્તારમાં કન્ટેન્મેન્ટ ઝોનના નિયમો લાગુ પડતા હતા અને કોઈ જ છૂટછાટ મળતી નહોતી.
હાલમાં જ્યારે અન્ય વિસ્તારોને છૂટ આપવામાં આવી ત્યારે કોટ વિસ્તારમાં પણ સ્થિતિની સમીક્ષા કરીને ક્લસ્ટરમાં પણ ફેરફાર કરવાની માંગ ઉઠી હતી. ધારાસભ્ય અરવિંદ રાણાની સાથે અન્ય કોર્પોરેટરો દ્વારા પણ માંગણી કરવામાં આવતા આખરે મનપાના શાસકો દ્વારા મ્યુનિ.કમિ. સાથે મીટિંગ કરીને ક્લસ્ટર વિસ્તાર ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ગઈકાલે અન્ય વિસ્તારો જાહેર થયા હતા અને આજે કોટવિસ્તારના ક્લસ્ટરમાં પણ ઘટાડાની જાહેરાત કરવામાં આવી હતી. અગાઉ નવની જગ્યાએ નાના-નાના 23 ક્લસ્ટર કોટ વિસ્તારમાં કરી દેવામાં આવ્યા હતા. અગાઉ આશરે સાડા ચાર લાખ જેટલા લોકો એટલે કે મોટાભાગનો કોટવિસ્તાર ક્લસ્ટરમાં હતો પરંતુ હવે તેમાં ફેરફાર કરી દેવામાં આવ્યો છે. નવા આયોજન પ્રમાણે જૂના ક્લસ્ટરમાંથી 42 હજાર ઘરોના દોઢ લાખથી પણ વધુ લોકોને બાકાત કરી દેવામાં આવ્યા છે. જ્યારે હવે 58 હજાર ઘરના 2.86 લાખ લોકો જ ક્લસ્ટરમાં રહેશે. આ એવા વિસ્તારો છે કે જેમાં કોરોનાના વધુ કેસ આવ્યા છે. જેને કારણે તેમને હજુ પણ ક્લસ્ટર કે કન્ટેન્મેન્ટ ઝોનમાંથી મુક્ત કરવામાં આવ્યા નથી.