શહેરમાં હવે કોરોનાની ગતિ ધીમી પડી રહી છે. તંત્રના અથાગ પ્રયત્નો બાદ અને શહેરીજનોના સહયોગને કારણે શહેરમાં કોરોનાનું સંક્રમણ નબળું પડ્યું છે. અને શહેરમાં રિકવરી રેટ વધી રહ્યો છે. શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી નવા નોંધાતા પોઝિટિવ કેસના આંક સામે ડિસ્ચાર્જ થતા દર્દીઓની સંખ્યા લગભગ બમણી જેટલી નોંધાતી હતી.
પરંતુ મંગળવારે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યામાં ખુબ જ ઘટાડો જોવા મળ્યો હતો. મંગળવારે શહેરમાં 169 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેની સામે માત્ર 82 દર્દીઓ સાજા થયા હતા. શહેરમાં હાલમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 15,424 પર પહોંચી છે. જ્યારે વધુ 3 મોત સાથે કુલ મૃત્યુઆંક 602 પર પહોંચ્યો છે. તેમજ મંગળવારે શહેરમાં વધુ 82 દર્દીઓ સાજા થયા હતા અને અત્યાર સુધીમાં કુલ 12,821 દર્દીઓ સાજા થયા છે.
મંગળવારે નોંધાયેલા પોઝિટિવ કેસમાં સેન્ટ્રલ ઝોનમાં 14, વરાછા-એ ઝોનમાં 12, વરાછા-બી ઝોનમાં 08, રાંદેર ઝોનમાં 38, કતારગામમાં 22, લિંબાયતમાં 21, ઉધનામાં 21, તેમજ અઠવા ઝોનમાં 33 પોઝિટિવ કેસ નોંધાયા હતા. મંગળવારે નોઁધાયેલા પોઝિટિવ કેસમાં મનપાના વધુ એક ચીફ એસ.આઈ, એક એસ.એસ.આઈ અને એસ.આઈ કોરોનામાં સપડાયા હતા.
તે ઉપરાંત મસ્કતિ હોસ્પિટલના સફાઈ કામદાર, સ્મીમેરના વોર્ડ બોય, રાંદેર ઝોનમાં મનપાના વીબીડીસી વિભાગના કર્મચારી પણ કોરોનાની ચપેટમાં આવ્યા હતા. તેમજ લિંબાયત પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારી, પલસાણા તલાટી ઓફિસના કર્મચારી, નાનપુરાના પોસ્ટ માસ્ટર, નવી સિવિલના તબીબ, મજુરા આઈટીસીમાં એક સી.એ પણ કોરોનામાં સપડાયા હતા.