કોરોનાની મહામારી વચ્ચે સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલો (Privet Hospitals) હાઉસફુલ થઇ ગઇ છે તેવામાં કોરોનાના દર્દીઅોની રોગપ્રતિકારક શક્તિ વધે અને તે માટે શહેરમાં આયુર્વેદિક (Ayurvedic) પદ્ધતિથી કોરોનાની સારવાર કરવા માટેની શરૂઆત થઇ ગઇ છે. શહેરમાં ૧૭૭ દર્દીઅોને આયુર્વેદિક સારવાર આપવામાં આવી હતી. સુરતમાં સિવિલ (Surat Civil) અને સમરસ હોસ્ટેલમાં આયુર્વેદિક સારવારના સારા પરિણામો મળવાથી સ્મીમેર હોસ્પિટલમાં ઍલોપેથિક સારવારની સાથે દર્દીઓની સંમતિથી આયુર્વેદિક અને હોમિયોપેથિક સારવાર (Homoeopathic treatment) થઈ રહી છે.
શહેરમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. પ્રાઈવેટ હોસ્પિટલો (Privet Hospitals) જાણે કોરોનાના દર્દીઓથી ઉભરાઈ ગઈ છે. ત્યારે હવે એલોપેથિક સારવાર સાથે લોકો આયુર્વેદિક સારવાર તરફ પણ વળ્યા છે. જિલ્લા આયુર્વેદ અધિકારી વૈદ્ય મિલન દશોંદીઍ જણાવ્યું કે, સ્મીમેરમાં દર્દીઓને આયુર્વેદિક અને હોમિયોપેથી સારવાર કરવા માટે તાપી જિલ્લામાંથી બે વૈદ્ય નિલેષ સભાડીયા અને વૈદ્ય આશિષ ખેની તેમજ નવસારી જિલ્લાના બે વૈદ્ય ચિરાગ ડોબરિયા અને વૈદ્ય દિલીપ આહિર, અને વૈદ્ય શેલેષભાઈ ડુંગરાણીને બોલાવવામાં આવ્યા હતા. સંક્રમિત દર્દીઓની સંમતિથી તપાસ કરીને તેમની શારીરિક સ્થિતિ મુજબ આયુર્વેદિક કે હોમિયોપેથિકની દવાઓ આપવામાં આવે છે. દર્દીઓની રોગપ્રતિકારક શક્તિ વધારવા આયુર્વેદિક ઉકાળો અને ઔષધિઓ ખુબ જ કારગર સાબિત થઈ રહી છે.
વૈદ્ય મિલન દશોંદીઍ જણાવ્યું કે, દરરોજ સવારે આયુર્વેદિક ઉકાળો પીવાથી ભૂખ સારી લાગે અને ઈમ્યુન પાવરમાં સુધારો થાય છે. ગત તા.૦૬ જુલાઈથી અત્યાર સુધીમાં કુલ આયુર્વેદિક અને હોમિયોપેથિકની સારવારથી કોરોનાની હળવી અસર ધરાવતાં કુલ ૩૦૫ દર્દીઓમાંથી ૧૨૮ દર્દીઓને રજા આપવામાં આવી છે. અન્ય ૧૭૭ ની સારવાર ચાલી રહી છે. ગાંધીનગર અને સુરત શહેરી અને જિલ્લા તંત્રના માર્ગદર્શન હેઠળ તા.૬ જુલાઈથી દરરોજ વહેલી સવારે દર્દીઓને ભૂખ્યા પેટે ઉકાળાનો ૪૦ મિલીગ્રામનો ડોઝ આપવામાં આવે છે. આ આયુર્વેદિક ઉકાળામાં પથ્યાદી કવાથ ૨૦ મિલી + દશમુલ કવાથ ૨૦ મિલી ઉકાળીને તેમાં ૦૩ ગ્રામ ત્રિકટુ ચૂર્ણ મિશ્રણ કરીને દર્દીઓને સેવન કરાવવામાં આવે છે. સાથે જ સાત દિવસ માટે ત્રણ પ્રકારની આયુર્વેદિક ગોળી આપવામાં આવે છે. સવારે અને સાંજે બે ટાઈમ બે સંશમની વટી, સવારે અને સાંજે ઍક આયુ-૬૪, દર બે કલાકે ઍક-ઍક ગોળી યષ્ટિમધુ ઘનવટી ચુસવા માટે આપવામાં આવે છે.