રાંદેર ચાંદ કમિટી દ્વારા એલાન કરવામાં આવ્યું છે કે માહે શવ્વાલ સન હિજરી-1442નો ચાંદ તારીખ 12-05-21ને બુધવારની સાંજે દેખાયો ન હોવાથી શવ્વાલનો પહેલો ચાંદ તા.14-05-21ને શુક્રવારે ગણવો. એવીજ રીતે સુરત રૂયતે હિલાલ(ચાંદ) કમિટીના પ્રમુખ મીર સૈય્યદ ફિરોઝ મીર સૈય્યદ ઇબ્રાહિમે એક અખબારી યાદીમાં જણાવ્યુ છે કે હિજરી સન 1442ના માહે શવ્વાલ મુબારકનો ચાંદ અંગ્રેજ તા.12-05-21ના બુધવારે સાંજે દેખાયો નથી. તેથી ચાંદની પહેલી તારીખ 14-05-21 શુક્રવારની ગણવી. એટલે કે રમજાન ઇદની ઉજવણી શુક્રવારે કરવામાં આવશે.
કોરોના સંક્રમણની બીજી લહેરને જોતા મુસ્લિમ ધર્મગુરૂઓએ રમજાનઇદની ઉજવણી સાદગીપૂર્ણ રીતે કરવા અપીલ કરી છે. તથા ગરીબોને ઉદાર હાથે જકાત, સદકાનું દાન કરવા પણ અપીલ કરી છે.કોરોનાને લીધે રાંદેર ઇદગાહનું સંચાલન કરનાર ટ્રસ્ટ રાંદેર મહેફિલે ઇસ્લામ કુતુબખાના ચાલુ વર્ષે પણ ઇદની નમાજ રાંદેર ઇદગાહમાં નહીં યોજવાની જાહેરાત કરી છે.ટ્રસ્ટના મંત્રી ઐય્યુબ મોહંમદ યાકુબ અલીએ જણાવ્યું હતું કે કોવિડ-19 ની ગાઇડલાઇનને ધ્યાનમાં રાખી ઇદગાહ મેદાનમાં ઇદુલફિત્રની નમાજ થશે નહી.