પશ્ચિમ બંગાળમાં તબીબો પર થયેલા હુમલાના વિરોધમાં સમગ્ર દેશના તબીબો આજે હડતાળ પર ઉતરી ગયા છે. જેમાં સુરત શહેરના તબીબોએ પણ આ હડતાળને ટેકો જાહેર કર્યો છે. આજે સવારથી જ સિવિલ હોસ્પિટલમાં ઓપીડી બહાર લાઈન લાગવાની શરૂઆત થઈ ગઈ છે.સવારે આઠ વાગ્યે રેસિડેન્ટ તબીબો આવી જતા હોય છે. જોકે, આજે હડતાળ પર હોવાથી કોઈ આવ્યું નથી. અને એપી એસોશિએટ, પ્રોફેસર અને એચઓડી પર સારવારની જવાબદારી આવી ગઈ છે.
પશ્ચિમ બંગાળમાં તબીબો પર થયેલા જીવલેણ હુમલાના વિરોધમાં ઈન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા દેશ વ્યાપી હડતાળનું એલાન કરાયું છે. જેમાં સુરત શહેરમાં ઈન્ડિયન મેડિકલ એસોસિએશન સાથે જોડાયેલા 3500 તબીબો તેમજ સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલના 500 જેટલા રેસિડેન્ટ તબીબો પણ આ હડતાળમાં જોડાયા છે. જેની સીધી અસર શહેરમાં રોજ ઓપીડી સારવાર લેતા દર્દીઓની સારવાર પર અસર થવાની શરૂઆત થઈ ગઈ છે. સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલમાં ઓપીડી બહાર લાઈનો લાગવાની શરૂઆત થઈ ગઈ છે. વોર્ડમાં ચાલતી સારવારનું ફોલો અપ લેવાનું પણ ચાલું કરી દેવામાં આવ્યું છે. જોકે, તમામ સારવારની જવાબદારી એપી એસોશિએટ, મેડિકલ કોલેજના પ્રોફેસર અને એચઓડી પર હોવા છતા ઓપીડીઓમાં એકપણ ડોક્ટર હાજર નથી. માત્ર સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં જ 250 જેટલા ઓપરેશન થાય છે. ત્યારે રેસિડેન્ટ ડોક્ટરો હડતાળ પર હોવાથી ઓપીડીના ઓપરેશન પણ ટાળવામાં આવ્યા છે.
હોસ્પિટલોમાં ઈમર્જન્સી સારવાર ચાલુ રહેશે
શહેરની તમામ હોસ્પિટલોમાં ઈમરજન્સી સારવાર ચાલુ રહેશે. જેમાં હાર્ટએટેક, રોડ એક્સીડન્ટ, પ્રસૂતિ જેવી સારવાર તેમજ ઓપરેશન કરવામાં આવશે. હોસ્પિટલ તંત્ર દ્વારા આ માટે તમામ મેડિકલ ઓફિસર અને અન્ય તબીબોની રજાઓ રદ કરી ઈમરજન્સી સારવાર માટે તૈનાત કરવામાં આવ્યા છે. તેવી જ રીતે હોસ્પિટલમાં ઈમરજન્સી સારવાર માટે જરૂરી લોહી તેમજ અન્ય પરિક્ષણો પણ થશે.