શહેરમાં મોટી ગણાતી ત્રણ હોસ્પિટલ(Hospital), સિવિલ અને સ્મિમેર સહીતના કર્મચારીઓ કોરોના(Corona)ની ચપેટમાં આવી ચૂકયા છે, હજુ પણ તબીબ, નર્સ, લેબ ટેકનિશયન,ફાર્માસિસ્ટ વિગેરેમાં જે રીતે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે તે ચિંતા ઉપજાવનારૂં છે. કેમ કે લોકડાઉન વખતે કેસ સતત વધી રહ્યા હતા. તે જ આરોગ્યતંત્ર માટે મોટો પડકાર હતો પરંતુ હવે તો અનલોક સાથે જ શહેરમાં લોકોની ગતિવિધીઓ પુરબહારમાં ચાલુ થઇ ગઇ છે. જે રીતે કેસ વધી રહ્યા છે તે જોતા આગામી સમય કપરો હશે. તેમાં પણ જો તબીબી કર્મીઓ જ કોરોના(Corona)ની ચપેટમાં હશે તો ચિત્ર ભયાવહ બનશે. અગાઉથી લગભગ બમણા કેસ રોજે રોજ મળવા માંડયા છે.
આગામી સમયમાં આ દર્દીઓની સંખ્યા એટલી મોટી થઇ જશે કે શહેરમાં સરકારી તો ઠીક ખાનગી તબીબો અને હોસ્પિટલો(Hospital)ની પણ સેવા લેવી પડે તેવી સ્થિતિની આશંકા છે. તેથી ખાનગી હોસ્પિટલોને પણ તેના 50 ટકા બેડ ખાલી રાખવા સૂચના આપી દેવાઇ છે. આવી સ્થિતિમાં આરોગ્ય ક્ષેત્રમાં વધી રહેલું સંક્રમણ તંત્રની ચિંતા વધારી રહ્યું છે, કેમકે છેલ્લા એક અઠવાડીયામાં તબીબો અને નર્સની સાથે સાથે લેબ આસિસ્ટન્ટ, મેડિકલ સ્ટોર સંચાલકો અને ફાર્માસિસ્ટોમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું હોવાનું જણાયું છે. બુધવારે પણ એક નર્સ, એક લેબ આસ્ટિટન્ટ અને બે ફાર્માસિસ્ટોને કોરોના(Corona)નો ચેપ હોવાનું બહાર આવ્યું છે.
શહેરમાં કોરોના(Corona)ના કેસો દિવસે ને દિવસે વધી રહ્યા છે. જેમાં ફ્રન્ટલાઈન વોરિયર્સ પણ કોરોનાની ચપેટમાં સપડાઈ રહ્યા છે. વરાછા ઝોન-એમાં મગોબ ખાતે ધનવર્ષા સોસાયટીમાં રહેતા અને સિવિલ હોસ્પિટલ(Hospital)માં નર્સ તરીકે ફરજ બજાવતા લીલાવતી હર્ષદભાઈ પટેલ (ઉ.વ.56), જયારે સ્મીમેર હોસ્પિટલમાં ફોરેન્સિક ડિપાર્ટમેન્ટમાં લેબ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા અને ડુંભાલ સુમન સિધ્ધી ખાતે રહેતા પ્રકાશ એકનાથ ઠાકુર (ઉ.વ.૪૦)ને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, આ સાથે એપલ હોસ્પિટલના ફાર્માસિસ્ટ હસમુખભાઇ નટવરભાઇ પટેલ (ઉ.વ.૪૮) (રહે. સુભાષ નગર લિબાયત) અને સનશાઈન ગ્લોબલ હોસ્પિટલના ફાર્માસિસ્ટ ભાવિક પરેશભાઈ શાહ (ઉ.વ.૨૭) (રહે. પ્રભુનગર સોસાયટી, પાલનપુર પાટીયા રાંદેર ઝોન)નો રિપોર્ટ પણ પોઝિટિવ આવતા આરોગ્ય સેવાઓ સાથે જોડાયેલા લોકોમાં વધી રહેલા કોરોના સંક્રમણ આગામી સમયમાં મોટી ચિંતા ઉભી કરે તેવા આસાર દેખાઇ રહ્યા છે.